Editor in chief…Dr. bhavesh rathod
દે.બારીયા પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપની ભવાઈ:ડો.ચાર્મી સોની માટે હવેલી લેવા જતા ગુજરાત ખોયું જેવો ઘાટ સર્જાયું:પ્રમુખપદ માટે બગાવત કરતા ઉપપ્રમુખ પદ ગુમાવવું પડ્યુ, ઉપપ્રમુખ પદ માટે ફરી બે લોકો દાવેદારી નોંધાવતા આખરે ગૌરાંગ પંડ્યાનો વિજય, ચૂંટણી હારેલા ડો. ચાર્મી સોનીના રાજ્ય કક્ષાના મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટ
દાહોદ તા.26
દે.બારીયા નગરપાલિકા સભાખંડમાં ગતરોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં બીજેપી દ્વારા નગરપાલિકામાં સત્તા ટકાવી રાખવા કુલ ૨૪ બેઠકો અને દે.બારીયા નગરપાલિકાના 22 સભ્યોની પહેલેથી જ વાડાબંધી કરી દેવામાં આવી હતી.અને છેલ્લા એક મહિનાનાં સસ્પેન્સ બાદ ચૂંટણીના એક દિવસ પહેલાઅલગ સભ્યો દ્વારા વાડાબંધી કરાયેલા ૨૨ સભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં લાવવામાં આવ્યા હતા.અને પાલિકાની ચૂંટણીને લઈને વહીપ આપવામાં આવ્યુ હતું. અને ત્યારબાદ ચૂંટણીના દિવસે નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી તેમજ ઉપપ્રમુખ તરીકે પૂર્વ પ્રમુખ ડો. ચાર્મી સોનીના નામનું મેન્ડેટ આવ્યું હતું.જોકે ડો.ચાર્મી સોનીએ ઉપ-પ્રમુખના મેન્ડેટનો અસ્વીકાર કરી પક્ષ જોડે બગાવત કરી પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવતા સભાખંડમાં હાજર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સહિત અન્ય સભ્યોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ત્યારબાદ યોજાયેલ ચૂંટણીમાં ડો.ચાર્મી સોની તેમજ દક્ષાબેન નાથાણીને સરખા વોટ મળ્યા હતા.અને ટાઈ થતાં એક તબક્કે ભારે રસાકસી જોવા મળી હતી.જોકે ચૂંટણી અધિકારીએ નિયમ પ્રમાણે ચિઠ્ઠી ઉછાળતા નસીબના જોરે દક્ષાબેન નાથાણી પ્રમુખ તરીકે જાહેર થતા ડો.ચાર્મી સોની સભાખંડમાંથી બહાર જતા રહ્યા હતા.જોકે પ્રમુખ બનવાની લાલચમાં ડો.ચાર્મી સોનીને ઉપપ્રમુખ તરીકેનો તાજ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.જોકે ત્યારબાદ ઉપ પ્રમુખ તરીકે પણ ભાજપના બે સભ્યોએ દાવેદારી નોંધાવતા નગરપાલિકા સભાખંડમાં ફરી એક વખત સન્નાટો વ્યાપી ગયો હતો.જોકે ઉપ પ્રમુખ તરીકે ગૌરાંગ પંડ્યા વિજેતા જાહેર થયા હતા.અને અક્ષય જૈનનો પરાજય થતાં તેઓ પણ સભાખંડમાંથી બહાર આવી ગયા હતા. અને ભાજપના ચાર્મીબેન સોનીએ મીડિયા સમક્ષ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો લગાવી મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.અને અને ભાજપના અક્ષય જૈન દ્વારા પણ પોતાના જ પક્ષના સંગઠનના હોદ્દેદારો વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
- ભાજપના સભ્યો દ્વારા ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો લગાવતા શહેર સહીત જિલ્લાના રાજકારણમાં ખળભળાટ