
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં મોતના છાપરા નીચે દિવસો પસાર કરતાં પંચાલ પરિવારના મા-દીકરાના માથે ભમતું મોત!?*
*મહિનાઓ આગાઉ કાચા છાપરાનું તાલુકા તંત્ર તથા પંચાયત દ્વારા બબ્બે વાર સર્વે થયું પરંતુ લાભ આપવા ઉણું ઉતરતું તંત્ર લાચાર કેમ?*
*આવાસ યોજનાનો લાભ આપવા કરતા અકસ્માતે ઝુંપડું પડતા દબાઈને મોતને ભેટ્યા બાદ મૃતકનો લાભ આપવા તંત્રને વધુ રસ હોય તેવી પ્રતીતિ કરતો પરિવાર*
સુખસર,તા.8
સરકાર દ્વારા કાચા ઝૂંપડાઓમાં વસવાટ કરતા પરિવારોને આવાસ યોજનાનો લાભ આપી પાકા મકાન બનાવવા સહાય આપવામાં આવે છે. પરંતુ હજી પણ ફતેપુરા તાલુકામાં અનેક પરિવારો કાચા ઝુંપડાઓમાં જીવન વ્યતિત કરી રહ્યા છે.અને જેઓને સ્થાનિક જવાબદાર તંત્રો દ્વારા આવાસ યોજનાનો લાભ મળી રહે તેના માટે આંખ આડા કાન કરતાં કેટલાય પરિવારોના માથે મોત ભમી રહ્યું છે.ત્યારે ખરેખર જે લોકોને રહેઠાણ માટે મકાનની જરૂરિયાત હોય તેવા પરિવારોને જવાબદાર તંત્રની બેદરકારીના લીધે નુકસાન પહોંચે તે પહેલા આવાસનો લાભ આપવો તે સરકારની જવાબદારી છે.તાલુકામાં અનેક પરિવારો મકાન વિહોણા દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે.તેવીજ રીતે સુખસરમાં એક પંચાલ પરિવારના મા-બેટાના માથે મોતનું છાપરું પડે અને જાનહાની થાય તેવા સંજોગો સર્જાયેલ હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.
પ્રત્યક્ષ જાણકારી મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પ્રજાપતિ વાસમાં એક પંચાલ પરિવાર દારુણ ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યો છે.અને મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.જેઓ વર્ષોથી માટીના કાચા ઝૂંપડામાં જીવન વિતાવી રહ્યા છે.અને આ છાપરાની માટી ખરી રહી છે.અને આ છાપરું ક્યારે જમીન દોસ્ત થાય તે કાંઈ નક્કી નથી.જોકે હાલ આવેલા વાવાઝોડા તથા સામાન્ય વરસાદથી છાપરાની માટી રાત્રિના સમયે ખરી પડી હતી.તેવા સમયે પરિવાર મકાનમાં ઊંઘેલો હતો.તેમજ આ છાપરાની ચારે બાજુની દીવાલો અને વચ્ચેની દિવાલ ક્યારે જમીને દોસ્ત થાય તે કાંઈ નક્કી નથી.છતાં મજબૂરી ખાતર મા-દીકરો આ મોતની છત નીચે વસવાટ કરી રહ્યા છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે મહિનાઓ અગાઉ આ મકાનના સમાચારો દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતા તાલુકા તંત્ર દ્વારા સ્થળ ઉપર આવી તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસ કરનાર જવાબદારો પણ મકાનની કફોડી સ્થિતિ જોઈએ ચોકી ગયા હતા.અને વહેલી તકે મકાન સહાય આપવાની બાહેધરી પણ આપી ગયા હતા. ત્યારબાદ તાલુકામાં માટીના કાચા મકાનોમાં વસવાટ કરતા પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં પણ આ પંચાલ પરિવારના મકાનનું સર્વે કરવામાં આવેલ છે તેમ છતાં જાનહાનિની રાહ જોવાતી હોય તેમ સર્વે કર્યા બાદ આવાસ નો લાભ આપવા વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ જણાઈ રહ્યું છે.ત્યારે પ્રશ્ન થાય કે ગરીબ લોકોને આવાસ યોજનાના લાભ આપવા કરતા વહીવટી તંત્રને આવા ઝુપડાઓમાં વસવાટ કરતા લોકો ઝુંપડું પડતા મોતને ભેટે ત્યારે મરણ ગયેલા લોકોના નામે જવાબદાર તંત્ર દ્વારા પરિવારને મૃતકનો લાભ આપવા માટે વધુ રસ ધરાવતું હોય તેમ જણાય છે.
*અમો વર્ષોથી મા-બેટો કાચા ઝૂંપડામાં વસવાટ કરીએ છીએ.અને મારો પુત્ર છૂટકામ ધંધો કરે છે.તેના દ્વારા અમો ઘરનું ગુજરાન ચલાવીએ છીએ.અમારા માટીના કાચા ઝૂંપડાની માટી ખરી રહી છે.છતાં અમો ના છૂટકે મજબૂરીથી આ મકાનમાં દિવસો ગુજારીએ છીએ.અમારા મકાનનું બબ્બે વાર સર્વે કરવામાં આવેલ છે.પરંતુ અમોને આવાસનો લાભ આપવામાં આવ્યો નથી.અમારા પાસે મકાન બાંધકામના નાણા નથી.અને અમો કુદરતના ભરોસે આ મકાનમાં રહીએ છીએ.ભગવાન જે પણ કરશે તે સારા માટે કરશે તેમ માની દિવસો પસાર કરી રહ્યા છીએ.*
*(ઉર્વશીબેન પંચાલ,પ્રજાપતિ ફળિયા, સુખસર)*