ફતેપુરા કન્યા કેળવણી મહોત્સવમાં બાળકોને આવકારાયા:સરકારી યોજનાઓનો લાભ લેવા નાયબ સચિવનું આહવાન
માતૃશક્તિ કિશોરી શક્તિ જેવી યોજનાનો મહત્તમ લાભ લેવા બાળકો કિશોરીઓ અને માતાઓને લાભ લેવા માહિતગાર કરાયા
રિપોર્ટર:બાબુ સોલંકી સુખસર
સુખસર,તા.26

ફતેપુરા ખાતે તાલુકા કન્યા શાળામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના નાયબ સચિવ મુકેશ કંથારિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ મહેમાનોને મૂકી અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું તેમ જ શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ કે પટેલે તાળીઓના સાથે શાળા પરિવાર વતી કર્યું.

શ્રી કંથારિયાએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે રાજ્ય સરકારની મધ્યાહ્ન ભોજન યોજના, પૌષ્ટિક આહાર યોજના તેમજ આંગણવાડીની ‘બાલ શક્તિ’, ‘માતૃ શક્તિ’ અને ‘કિશોરી શક્તિ’ જેવી યોજનાઓનો મહત્તમ લાભ બાળકો, કિશોરીઓ અને માતાઓ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાઓ સિકલ સેલ એનિમિયા જેવા રોગોની નાબૂદીમાં મદદરૂપ થઈ શકે છે.આ મહોત્સવ અંતર્ગત આંગણવાડીમાં ૧૫ બાળકો, બાલવાટિકામાં ૧૮ બાળકો અને ધોરણ-૧ માં ૫ બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં NMMS માં ૧ બાળક, CET માં ૭ બાળકો, જ્ઞાન સાધનામાં ૯ બાળકો અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૨ બાળકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા. નવીન પ્રવેશ લેનાર બાળકોને શાળા પરિવાર વતી બેગ સાથે કીટ અર્પણ કરવામાં આવી નવી શિક્ષણ નીતિ (NEP) ના ફોકસ અંગે વાત કરતા, શ્રી કંથારિયાએ ઉમેર્યું કે ફાઉન્ડેશન લર્નિંગ અંતર્ગત બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકોને પ્રાથમિક તબક્કે જ લખતા-વાંચતા અને ગણિતના દાખલા ગણતા આવડી જાય તે પ્રકારનું આયોજન છે.આનો મુખ્ય લક્ષ્યાંક ઉદયમાન બાળકોને પ્રગતિશીલ અને ત્યારબાદ નિપુણ બાળકો બનાવવાનો છે.
માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી.

પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હોવાથી, તેમણે માર્ગ અકસ્માતોમાં થતા જાનમાલના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જીવન ખૂબ જ અમૂલ્ય હોવાનું જણાવી તેમણે ટ્રાફિક સેફ્ટી અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા અંગે શાળાના બાળકો અને ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી.અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે,આ બાળકો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનશે અને ‘વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’ નું સ્વપ્ન સાર્થક કરશે.
