અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ: સંજેલીથી પેટની આગ ઓલવવા ગયેલો પરિવાર મૃતદેહ બની ઘરે પરત ફર્યો
અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ સંજેલીના ગોવિંદા તળાઈમાં શોકનો માહોલ; એક જ પરિવારના માતા અને ચાર બાળકોના કરુણ મોત, પિતા ગંભીર રીતે ઘાયલ
સિંગવડના મલેકપુરના એક વ્યક્તિનું મોત એક ઇજાગ્રસ્ત, સંજેલીના પીછોડાના બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત,
મહેન્દ્ર ચારેલ સંજેલી
દાહોદ | પ્રતિનિધિ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામમાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. પેટની આગ ઓલવવા અને પરિવારનું ગુજરાન ચલાવવા અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં મજૂરી કરવા ગયેલો પરિવાર જીવતો પરત ફરવાને બદલે મૃતદેહ સ્વરૂપે પોતાના વતનમાં પહોંચતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આ સિવાય

સંજેલીના પીછોડાના બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે સાથે જ આ સિવાય સિંગવડના મલેકપુરના એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા છે ત્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી છે ત્યારે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં મરણ પામેલા બહાર પૈકી 10 લોકો દાહોદના હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ગોવિંદા તળાઈના એક જ પરિવારની માતા અને ચાર બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે પરિવારના વડા ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.મૃતદેહો ગામમાં પહોંચતા પરિવારજનોના આક્રંદ અને હૃદયદ્રાવક દૃશ્યોથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.આ દુર્ઘટનાએ માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને આઘાતમાં મૂકી દીધો છે. રોજગારીના અભાવે પોતાના ગામથી દૂર મજૂરી કરવા જવું પડતું હોય છે અને આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ શ્રમિકો ભોગ બનતા હોવાના મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે ફટાકડા ફેક્ટરીઓમાં વિસ્ફોટ અને આગની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમ છતાં સુરક્ષા ધોરણોના અસરકારક અમલ, નિયમિત નિરીક્ષણ અને ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી અંગે પ્રશ્નો યથાવત છે. આવા બનાવો બાદ તપાસની જાહેરાત તો થાય છે, પરંતુ તેના પરિણામો અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટેના અસરકારક પગલાં અંગે વારંવાર સવાલો ઉઠતા રહ્યા છે.આ ઘટનાએ ફરી એક વખત શ્રમિકોની સુરક્ષા, ફટાકડા ઉદ્યોગમાં સલામતીના નિયમો અને સ્થાનિક સ્તરે રોજગારી સર્જવાની જરૂરિયાત અંગે ગંભીર ચર્ચા શરૂ કરી છે.
