ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં MGVCLના કંગાળ વહીવટના કારણે વીજ ટ્રાન્સફાર્મર (ડીપી) ભંગાર હાલતમાં:અકસ્માતની જોવાતી રાહ..

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં MGVCLના કંગાળ વહીવટના કારણે વીજ ડીપીઓ ભંગાર હાલતમાં.
  •   સુખસર પંથકમાં વીજપોલ ઉપર જમીનથી માત્ર બે થી ત્રણ ફૂટ ની ઊંચાઈએ કોઈપણ પ્રકારની સેફટી વગર ચાલુ વીજ પ્રવાહ વાળી ખુલ્લી ઝરાઈ કટાઈ ગયેલ વીજ બોક્સના કારણે જાનહાનિનો સેવાતો ભય.
  •  સુખસર સહિત પંથકમા ચાલુ વીજ પ્રવાહ વાળા ખુલ્લા ભંગાર હાલતના લટકતા બોક્સ બદલવા પ્રજાની માંગણી

( પ્રતિનિધિ ) સુખસર,તા.૯

 ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા આપવામાં આવતાં વીજ પ્રવાહમાં વીજ ગ્રાહકોને મળવી જોઇતી સુવિધાઓનો અભાવ જણાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને વર્ષો આગાઉ વિજ પોલ ઉપર લગાવવામાં આવેલ તમામે તમામ વીજ બોક્સ ભંગાર હાલતમાં જોવાઈ રહ્યાં છે.જ્યારે આ ચાલુ વીજ પ્રવાહ વાળા બોક્સ જમીનથી માત્ર ૨ થી ૩ ફુટની ઉંચાઈ ઉપર હોય તેમજ ઝરાય-કટાઈ ગયેલી હાલતમાં ખુલ્લા હોઈ જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તે પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપી વીજ બોક્સ બદલી નવીન વીજ બોક્સ ફીટ કરવામાં આવે તેવી પંથકની પ્રજામાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર સહિત પંથકમાં એમ.જી.વી.સી.એલ દ્વારા વર્ષો અગાઉ વીજપોલ સાથે વિજ બોક્સ ફીટ કરવામાં આવેલ છે. જેમાંથી મોટાભાગના ચાલુ વીજ પ્રવાહ વાળા બોક્સ ઝરાઇ-કટાઈ ગયેલ હોય તેમજ આ વીજ બોક્સ જમીનથી માત્ર અઢીથી ત્રણ ફૂટની ઊંચાઈ ઉપર ફીટ કરવામાં આવેલ હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને નાના બાળકો વીજ બોક્સ સુધી પહોંચી જાય તેટલી ઊંચાઈ ઉપર ચાલુ વીજ પ્રવાહ વાળા ખુલ્લા બોક્સ દ્વારા પશુ તથા માણસોને અકસ્માતે વીજ કરંટ લાગવાનો ભય સેવાઈ રહ્યો છે. જ્યારે કેટલાક ગ્રાહકો દ્વારા ભંગાર હાલતમાં જોવાતા બોક્સ બદલવા માટે રજૂઆતો કરવામાં આવે છે.છતાં તે પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.ત્યારે લાગે છે કે,તંત્ર દ્વારા જાનહાની થવાની રાહ જોવાઇ રહી હોય ! જોકે વીજ તંત્ર દ્વારા વીજ વપરાશના ભાવમા સમયાંતરે ભાવ વધારો કરવામાં આવે છે.ત્યારે વીજ પ્રવાહ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વસૂલાત કરવામાં આવતા વીજ બીલની દ્રષ્ટિએ જોઈ પ્રજાને સગવડ પણ મળવી જોઈએ.પરંતુ તે પ્રત્યે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. વીજ વપરાશ કરતા ગ્રાહક દ્વારા વીજ બિલમાં વિલંબ થતા તેવા ગ્રાહકનું વિજ કનેક્શન કાપી નાખવામાં આવે છે.અને ફરી મેળવવા માટે નવેસરથી પ્રોસિજર કરવી પડતી હોય છે.બીજી બાજુ જોઈએ તો જે લોકો વીજ ચોરી કરતા ઝડપાય છે,તેમની પાસેથી દંડ પેટેની મોટી રકમ વસુલ કરવામાં આવે છે.અને તે યોગ્ય પણ છે.પરંતુ વીજચોરી કરતાં ઝડપાયેલ વ્યક્તિ પાસેથી તેના ગજા બહારનો દંડ કરવામાં આવતો હોય છે.અને તેના માટે પણ વાંધો ન હોઈ શકે.પરંતુ કોઈપણ પ્રકારે પ્રજા પાસેથી વસૂલાત કરેલ નાણા દ્વારા વીજગ્રાહકોને સગવડ પણ મળવી જોઈએ.અને તંત્ર દ્વારા આપવામાં આવતી સેવામા કોઈ ઉણપ હોય કે તંત્રની બેદરકારીથી કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી લેવાની પણ તંત્રની જવાબદારી હોવી જોઈએ.જેમાં સુખસર પંથકમાં તંત્ર દ્વારા પોતાના તંત્રની જવાબદારી નિભાવવામાં જવાબદારો નિષ્ફળ નીવડયા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.

Share This Article