
સુમિત વણઝારા
ફતેપુરા તાલુકાના હિંગલા ગામે વીજ કરંટથી બાળકીના મોતના કેસમાં કોર્ટે MGVCL ને 2.10 લાખ ચૂકવવા હુકમ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હીંગલા ગામે એક બાળકીનું વર્ષ 2017 માં વીજ થાંભલાના કરંટથી મોત નીપજ્યું હતું . આ મામલે મૃત બાળકીના પિતાએ મધ્ય ગુજરાત વીજ કંપની લિ . સામે કોર્ટમાં કેસ કર્યો હતો . જેમાં પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ પરિવારજનોને ન્યાય મળતાં ઝાલોદ કોર્ટે આ મામલે મધ્ય ગુજરાત વિજ કંપની લિ.ને રૂા 2 લાખ 10 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કરતાં પરિવારજનોને ખરા અર્થમાં ન્યાય મળ્યો હતો . ગત તા . 3 ફેબ્રુઆરી , 2017 ના રોજ ફતેપુરા તાલુકાના હીંગલા ગામના રહેવાસી ચંદુભાઈ સડીયાભાઈ કામોળની પુત્રી તૃપ્તિબેન પોતાના ખેતરમાં જતાં હતાં . તે સમયે પગદંડી રસ્તાની બાજુમાં આવેલી ઈલેક્ટ્રીક લાઈનની ડી.પી. નજીકમાંથી પસાર થતાં તૃપ્તિબેનનો હાથ ડી.પી. થાંભલાને અડી જતાં તૃપ્તિબેનનું ઈલેક્ટ્રીક કરંટ લાગતાં મોત નીપજ્યું હતું . જેથી તૃપ્તિબેનનું મોત બદલ એમ.જી.વી.સી.એલ. કંપનીની નિષ્કાળજીના કારણે થયેલું હોવાથી તૃપ્તિબેનના મૃત્યુ બદલ તેમના માતા – પિતા ચંદુભાઈ સળીયાભાઈ કામોળ તથા કમળાબેન ચંદુભાઈ કામોળે મધ્ય ગુજરાત વીજ કંપની લિ . વિરૂદ્ધ વળતર મેળવવા દાહોદ જિલ્લાની ઝાલોદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો . આ કેસ ઝાલોદના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ કે.સી.ની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચંદુભાઈના વકીલ જાવેદ મન્સુરી તથા અલતાફ મનસુરીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે વીજ કંપનીને તૃપ્તિબેનના મૃત્યુ બદલ જવાબદાર ઠેરવી હતી . તેમજ તેમના માતા – પિતાને વળતર પેટે રૂા . 2 લાખ 10 હજાર વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો .