રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્માર્ટ સિટીની કમિટીમાં સામેલ કરવા દાહોદ ધારાસભ્યની વિધાનસભામાં રજૂઆત
વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન દાહોદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા નેશનલ કોરિડોર નો મુદ્દો ઉઠાવ્યો..
દાહોદની સ્માર્ટ સીટી માટેની કમિટીમાં સ્થાનિક ધારાસભ્ય તરીકે સમાવેશ કરવા ધારાસભ્ય વજેસિંગ પણદાની માંગણી
કોરોના બાદ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખતમ થઈ ગયું છે : વજેસિંગ પણદા
દાહોદ તા.10
વિધાનસભા ગૃહમાં આજે પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં દાહોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી વજેસિંગભાઈ પણદાએ જણાવ્યું હતું કે, દાહોદ શહેર છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સીટી તરીકે જાહેર થયેલ છે, તેના માટે કરોડો રૂપિયા વપરાયા છે, પરંતુ આજે દાહોદ શહેર ચારેકોર ખાડા પાડીને ખોદી નાંખવામાં આવ્યું છે. દાહોદ સ્માર્ટ સીટી નહીં પરંતુ ખાડા સટી બની ગયું છે. સ્માર્ટ સીટીની કમિટી બની તેમાં વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે મારો સમાવેશ થવો જોઈતો હતો પરંતુ ઈરાદાપૂર્વક મને બહાર રાખવામાં આવ્યો. છાબ તળાવ બનાવવા માટે રૂા. ૧૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તો શું સોનાનું તળાવ બનાવવાનું છે કે શું ? આટલી રકમમાંથી તો આવા ૧૦ તળાવ ખોદાઈ જાય. સ્માર્ટ સીટીના નામે ૧૦-૧૦ ફુટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે અને આ સાઈન બોર્ડમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. સંકલન સમિતિમાં કઈ કંપનીઓને કયા પ્રોજેક્ટના કામ સોંપાયા ? કેટલા કામ પૂર્ણ થયા ? કેટલા કામ બાકી છે ? એજન્સીની સમયમર્યાદા કેટલી છે ? વગેરે પ્રશ્ન પૂછાય તો અધિકારીઓ જવાબ આપતા નથી. દાહોદની સ્માર્ટ સીટી માટેની કમિટીમાં વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે સમાવેશ કરવા શ્રી વજેસિંગ પણદાએ માંગણી કરી હતી.
બે વર્ષ અગાઉ લોકડાઉન જાહેર કરવામાં આવેલ. રાજ્યના ખૂણેખૂણેથી દાહોદ જિલ્લાના આદિવાસીઓ પગપાળા ચાલતા વતનમાં આવેલા, તેમાન પગલાં છાલા પડી ગયા, રખડતા થઈ ગયા અને રડતા થઈ ગયા છે, છતાં સરકારે કોઈ સુનવાઈ કરી નથી. દાહોદ જિલ્લામાં કોરોનામાં અઢી-ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા, તેમાં પણ કેટલાય મૃતકોના પરિવારજનોને આજદિન સુધી રૂા. ૫૦ હજારની સહાય પણ ચૂકવવામાં આવી નથી. લોકડાઉન જાહેર થયા બાદ આદિવાસી વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, પરંતુ મોબાઈલ નેટવર્ક ન પકડાય, મોંઘા સ્માર્ટ ફોન ન હોય ત્યારે ઓનલાઈન શિક્ષણ ક્યાંથી શક્ય બને ? આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખતમ થઈ ગયું છે.
વનબંધુ કલ્યાણ યોજનાની વાતો થાય છે પરંતુ દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કોઈ સુવિધા નથી. લોકો આજે પણ શિક્ષણ માટે વલખા મારે છે, પાણી માટે વલખા મારે છે, સિંચાઈના પાણી માટે વલખા મારે છે. હવે વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ આવે છે. હવે ફેઝ-૨માં શું થાય છે ? એ ભગવાન જ જાણે.
આદિવાસી વિસ્તારોમાંથી જુદા-જુદા પ્રોજક્ટો બનાવીને આદિવાસીઓની જમીન પડાવી લેવાનું સરકારનું ષડયંત્ર છે અને તેમાં પણ એકને ખોળ અને બીજાને ગોળ. વલસાડમાં આદિવાસીઓને બુલેટ ટ્રેનનો જુદો ભાવ અને દાહોદ જિલ્લામાં આદિવાસીઓને જુદો ભાવ. આદિવાસીઓ પાસેથી સસ્તા ભાવે જમીન પડાવી લેવામાં આવે છે. આદિવાસીઓ જમીનના બદલે જમીન જ માંગશે, નહીંતર આંદોલન કરતા-લડાઈ કરતા વિચારશે નહીં.