ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામેં કૂવામાંથી લાશ મળ્યાનો મામલો: પોલીસે મરણ જનાર ઈસમ તેમજ તેના અને બે સાગરિતો વિરુદ્ધ ગુનો નોંધાયો
ફતેપુરા તા.05
ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે પશુધનની ચોરીના ઇરાદે આવેલા ત્રણ તસ્કરો પૈકી એક તસ્કર નું કુવામાં પડી જતા મોત નીપજ્યું હતું. જ્યારે ફરાર થયેલા અન્ય બે તસ્કરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફતેપુરા તાલુકાના કુંડલા ઉમરી માળ ફળિયાના રહેવાસી સેવા ભાઈ સુરતાન ભાઈ ડામોર, નિલેશભાઈ ભીમા ભાઇ ડામોર, તેમજ રાજુભાઈ જવાબ ભાઈ ડામોર ગત તારીખ 30.01.2022 ના રોજ મધરાત્રીએ ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે હરજીભાઈ શામજીભાઈ મછાર ના ઘરે ચોરીના ઇરાદે આવેલા ઉપરોક્ત તસ્કરોએ મકાનના ઢાળિયા માં બાંધેલા બકરાની ચોરી કરી ભાગી જવાની વેતરણમાં હતા ત્યારે સેવા ભાઈ સુરતાન ભાઈ ડામોર રાત્રિના અંધારામાં બકરી ની ચોરી કરી ભાગવા જતા થાળા વગરના પાણી ભરેલા કૂવામાં ખાબકતાં સેવા ભાઈ ડામોર તેમજ બકરીનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્યારબાદ ગ્રામજનોએ બનાવ સંદર્ભે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતક સેવા ભાઈ ડામોર ના મૃતદેહને ફાયરબ્રિગેડની મદદ લઈ બહાર કાઢી પીએમ અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ મરણ જનાર વ્યક્તિની ઓળખ કરતા સેવાભાઈ સરતાન ભાઇ ડામોર ધાડ લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલો હતો અને જેલમાં સજા કાપી રહ્યો હતો. તેમજ હાલમાં જ બે દિવસથી પહેલા પેરોલ લઈ ઘરે પાછો આવ્યો હતો.
સમગ્ર બનાવ સંદર્ભે ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામના હરજીભાઈ શામજીભાઈ મછારે વિરોધ નોંધાવતા ફતેપુરા પોલીસે ઉપરોક્ત ત્રણેય લોકો વિરુદ્ધ ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી છે.