
દાહોદમાં મનરેગા કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન ડીઆરડીએ નિયામક,તેમજ ધાનપુરના ટીડીઓની ઓચિંતિ બદલીથી આશ્ચર્ય ફેલાયું.
તપાસની ગતિ ઘટાડવા અથવા મનરેગા કૌભાંડમાં ભીનો સંકેલવાની આશંકાઓ વચ્ચે ચર્ચાઓ શરૂ…
દાહોદ તા.04
દાહોદ શહેર સહિત ગુજરાત ભરમાં ચકચાર મચાવનાર મનરેગા કૌભાંડમાં એક તરફ પોલીસ તપાસ તો ધમધમાટનો ચાલી રહ્યો છે. સાથે સાથે જિલ્લા પંચાયત , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા હેઠળ થયેલા કામોમાં સ્થળ તપાસણી તેમજ બિલોના ચુકવણા સંદર્ભે સમાંતર તપાસો ચાલી રહી છે.હજી સુધી જે એજન્સીઓના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી તેમના પ્રોપરાઇટરોના નામ સાર્વજનિક થયા નથી.દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ તેમજ ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા કૌભાંડની તપાસ કરનાર તાલુકા વિકાસ અધિકારીની ઓચિંતી બદલી નો ઓર્ડર આવી જતા તપાસોમાં ભીનું સંકેલવાની શંકા કુશંકાઓ વચ્ચે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
દેવગઢબારિયા તથા ધાનપુર તાલુકામાં મનરેગામા 71 કરોડની ગેરરીતી સામે આવી હતી. જે મામલે 35 એજન્સીઓ સામે નામજોગ ગુના દાખલ થયા છે. પોલીસે ચાર સરકારી કર્મચારીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.મંત્રીપુત્રો તેમજ ભાજપના નજીક ગણાતા વ્યક્તિઓના નામે એજન્સીઓ ચાલી રહી હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારબાદ બંને મંત્રીપુત્રો બળવા તને કિરણ ખાબડ દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી. દરમિયાન ફરિયાદ દાખલ થયાના અઠવાડિયા બાદ પણ એજન્સીના પ્રોપોરેટરના નામ પોલીસ કે જિલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા નથી. તે અરસામાં ગુજરાત સરકારે 22 આઈએએસ અધિકારીઓને બદલીઓ કરતા આ બદલીઓના દોરમાં દાહોદના ડીઆરડીએ નિયામક જેમની તાબાની કચેરીમાં ત્રણ ગામોમાં 71 કરોડનું કૌભાંડ થઈ ગયું. તેઓ પોતે ફરિયાદી બન્યા છે. તેમ છતાં તેઓની બદલી ગાંધીનગર મ્યુન્સિપાલટીમાં ઓરિજનલ ઓફિસર એટલે કે આરસીએમ તરીકે કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મનરેગાના કૌભાંડમાં ધાનપુરની તપાસ જેમની પાસે હતી તેવા તાલુકા પંચાયત અધિકારી રવચંદ નુરાભાઈ રાઠવાને આચાર્ય તાલીમ કેન્દ્ર જુનાગઢ ખાતે સાઈડ પોસ્ટિંગ આપી દેતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે. શું આ બદલી સંયોગ છે કે કોઈક ના ઇશારે મનરેગા કૌભાંડની તપાસોની ગતિને બ્રેક મારવા અથવા ભીનું સંકેલવાના પ્રયાસોથી ઈરાદાપૂર્વક કરાવવામાં આવી છે. તે પ્રકારની ચર્ચાઓ હવે જનમાનસમાં ઉઠવા પામી છે.