Monday, 19/05/2025
Dark Mode

*દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમ:વર્ષો પછી પણ પ્રજાને સેવાભાવી કાર્યકરની તલાશ!* *સેવા કરવા માટે ચૂંટણી જીતવી પડે તેવું માનવું કે મનાવવું એ સ્વતંત્ર ભારતની કમનસીબી*

May 4, 2025
        2156
*દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમ:વર્ષો પછી પણ પ્રજાને સેવાભાવી કાર્યકરની તલાશ!*  *સેવા કરવા માટે ચૂંટણી જીતવી પડે તેવું માનવું કે મનાવવું એ સ્વતંત્ર ભારતની કમનસીબી*

બાબુ સોલંકી:- સુખસર

*દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમ:વર્ષો પછી પણ પ્રજાને સેવાભાવી કાર્યકરની તલાશ!*

*સેવા કરવા માટે ચૂંટણી જીતવી પડે તેવું માનવું કે મનાવવું એ સ્વતંત્ર ભારતની કમનસીબી*

*સરપંચના ભાવિ ઉમેદવારો દ્વારા ઠાલા વચનો આપી પાંચ વર્ષ માટે ગામનો કારભાર કરવા સત્તા મેળવવાની ખટપટો શરૂ*

સુખસર,તા.4

દાહોદ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં સરપંચની ચૂંટણી ના પડધમ વાગી રહ્યા છે જ્યારે ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોનો ઉત્સાહ દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાનું જાણવા મળે છે. ચૂંટણી ઉત્સુક ઉમેદવારો ગ્રામ્ય પ્રજાને હાલથી જ કોણીએ ગોળ ચોટાડી પોતાની જીત થાય તેવી નિતનવી તરકીબો અજમાવી લોકોને અવનવા લાભો અપાવવા પ્રલોભાનો આપી રહ્યા હોવાનું જોવા અને જાણવા મળે છે.પરંતુ આઝાદીના દાયકાઓ વિતવા છતાં ગ્રામ્ય પ્રજાનો કેટલો વિકાસ થયો છે તે પ્રજા પોતાની નજરે નિહાળતી હોય સતર્ક લોકો આવા ઠાલા વચનોને ઉજ્જડ ગામમાં ઢોલ વાગતો હોવા બરાબર સમજી રહ્યા છે.

       મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં લોક જાગૃતિનો અભાવ જોવા મળે છે ત્યાં સરપંચની એક સીટ માટે અનેક ઉમેદવારો ચૂંટણી જંગમાં પોતાનું નસીબ અજમાવતા હોય છે. જો એકજ ગામડામાંથી અનેક ઉમેદવારો ચૂંટણી જીતી સરપંચ બનવાની ક્ષમતા ધરાવતા હોત તો આઝાદીના દાયકાઓ બાદ ભારતના ગામડા ગરીબીમાં સબડતા ન હોત! સરપંચ બનવાની લાયકાત ધરાવતા ઉમેદવારને બાદ કરતાં મોટાભાગના ઉમેદવારોને ગ્રામ પંચાયતના નીતિ નિયમોની જાણકારી હોતી નથી.છતાં મોટા ભાગના સરપંચની ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારોના મનમાં એક લઘુતાગ્રંથિ ઘર કરી ગયેલી હોય છે કે, સરપંચની સીટ એક વગર મહેનતે અબુધ લોકોના નસીબનું ગરીબ લોકોના હાથમાંથી કોળિયો ઝુટવવા માટેનું અને માલદાર થવા માટેનું આસાન પદ છે!તેમ સમજી લાયક ના લાયક ઉમેદવારો હજારો રૂપિયાનો ધુમાડો કરી સરપંચના પદ માટે લડતા હોય છે.પરંતુ જો ચૂંટણી જીત્યા તો ગઢ જીત્યા અને હાર્યા તો કરેલ ખર્ચની ભરપાઈ કરવા માટે પાંચ વર્ષ સુધી ભીખ માગવાનો વારો આવે છે.આપણે એ વિચારવા જેવી બાબત છે કે,જો એક જ ગામડામાંથી ચૂંટણીમાં ઊભા રહેતા અનેક ઉમેદવારો સરપંચ બનવાને લાયક હોય,અનુભવી હોય, સેવા કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તો આઝાદીના દાયકાઓ બાદ પણ ગામડાનો વિકાસ કેમ થયો નહીં હોય?અને આવા ઉમેદવારોને ચૂંટણીના સમયે જ ગ્રામ્ય પ્રજાની સેવા કરવાનો વિચાર કેવી રીતે આવે?જો ગરીબોની સેવા કરવી હોય તો સરપંચના પદની તેઓને શી જરૂર પડે?દિન દુ:ખીયાની સેવા કરવી હોય તો આખા દેશના દરવાજા ખુલ્લા છે. છતાં સેવા કરવા માટે ચૂંટણી જીતવી પડે તેવું માનવું કે મનાવવું એ સ્વતંત્ર ભારત માટે કમનસીબી છે તેમ બાબુભાઈ સોલંકી જણાવ્યું હતું. 

       ગ્રામ્ય વિસ્તારની ગરીબી હટાવવા પ્રથમ જો જરૂરત હોય તો સરપંચનો ફાળો મહત્વનો છે.જો સરપંચ પોતાની ગ્રામ પંચાયત પ્રત્યે પોતાની ફરજનું પૂરતું ધ્યાન આપે તો ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂર થઈ શકે.પરંતુ આઝાદી બાદ આઠ દાયકા જેટલો સમય વિત્યા બાદ હાલના સંજોગોને જોતા ગ્રામ્ય પ્રજાની જવાબદાર વ્યક્તિ જે સરપંચ પોતાની ફરજ પોતાની પુરતીજ મર્યાદિત રાખતા હોય તેમ જણાય છે. જેથી ગામડાઓનો વિકાસ થઈ શક્યો નથી. 

       જે ગ્રામ પંચાયતમાં આખા ગામની બાગડોર સંભાળનાર સરપંચ જેવી જવાબદાર વ્યક્તિ બાહોશ, ભણેલી,અનુભવી,ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવામાં તત્પર સાથે તે ગ્રામજનોનો સાથ સહકાર હોય તે ગામનો વિકાસ થાય તેમાં બે મત નથી. પરંતુ હાલ દાહોદ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચ જેવી મહત્વની વ્યક્તિ અભણ,બિન અનુભવી,સરકારે ગ્રામ્ય વિસ્તાર માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તેનાથી અજાણ ગામડાનો વિકાસ કઈ રીતે થઈ શકે?ગ્રામ પંચાયતને ફાળે કેટલા નાણા આવ્યા અને આ નાણાંનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે?જેનાથી જ અજાણ હોય ત્યારે ગ્રામ્ય પ્રજાનો વિકાસ કેવો થઈ શકે તે સમજી શકાય તેવી બાબત છે. 

        જે-જે ગ્રામ પંચાયતોના સરપંચો ની વૃતિ ખરાબ હોય અથવા તો ગ્રામ્ય પ્રજામાં જાગૃતિનો અભાવ હોય ત્યારે ગ્રામ પંચાયત ખાતે આવેલ નાણાનો દુરુપયોગ થતા દેશમાં દિન-પ્રતિદિન ગરીબી વધતી જાય છે.જો સરકાર તટસ્થ પણે ગ્રામ્ય વિસ્તારો તરફ નજર રાખી વિકાસ થાય તે પ્રત્યે ધ્યાન આપે તો થોડા ઘણા અંશે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થઈ શકે.માત્ર સરપંચ જેવા એક જ વ્યક્તિનો ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા માટે પ્રજાને આધાર આપવામાં આવે તો વિકાસ અશક્ય છે.અને મોટાભાગની ગ્રામ પંચાયતોમાં પક્ષા પક્ષીના લીધે વિકાસ શક્ય બની શકતો નથી. તે પણ જાણીતી બાબત છે. 

        દાહોદ જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતોમાં જે સીટો બહેનો માટે આરક્ષિત રાખવામાં આવે છે જેમાં મોટાભાગની ગ્રામ પંચાયતમાં તેમનો કારભાર તેમના અંગત વ્યક્તિ સંભાળતા હોવાનું જોવા મળે છે. જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચ જેવી જવાબદાર વ્યક્તિ અભણ હોય તેમનો કારભાર પણ તેમના મળતીયા અને તકવાદી તત્વો સંભાળતા હોવાના પણ અનેક કિસ્સાઓ જોવા અને જાણવા મળે છે.ત્યારે ગ્રામ વિકાસ કરવાની બાગડોર તેવા વ્યક્તિના હાથમાં આપી ગામનો કેવો વિકાસ કરવાની કેવી રીતે આશા રાખી શકાય?ખાનગી સંસ્થામાં પણ પટાવાળાની જગ્યા માટે લાયકાત ની જરૂરત પડે છે.તો સરપંચ જેવી જવાબદારી વ્યક્તિ માટે કેમ નહીં?જો ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવો હોય તો સરપંચ જેવી જવાબદાર વ્યક્તિ ભણેલી,અનુભવી,સરકાર દ્વારા ગ્રામ્ય પ્રજાને મળતા લાભોથી પરિચિત અને ગ્રામ્ય પ્રજાને ઉંચે લાવવાની હામ હોય તેવી હોવી જોઈએ.અને આ બાબતે પ્રજાએ જાગૃતિ દાખવવાની જરૂરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!