
રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ હેઠળ પાણી સમિતિની મિટિંગ યોજાઈ*
*પીવાના પાણી સંબંધિત લોક ફરિયાદોને પ્રાધાન્ય આપી તાત્કાલિક રિસોલ્વ કરવાની ઝુંબેશ હાથ ધરવા સુચના અપાઈ*
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઉનાળા ઋતુને ધ્યાને રાખીને પીવાના પાણી માટેની આવેલ ફરિયાદોના નિરાકરણ માટે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ હેઠળ પાણી સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી.
આ દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, હાલ દાહોદમાં ઉદ્ભવી રહેલ પીવાના પાણીની સમસ્યા અંગે લોકો દ્વારા આવેલ ફરિયાદોનું જલ્દી નિરાકરણ આવે તેમજ તેઓ સુધી તાત્કાલિકપણે પાણી પહોંચે તેવી વ્યવસ્થા થાય તે મુજબ કામગીરી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. લોક પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે જરૂરી નિર્ણય લઈને કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી.
આ સાથે દાહોદ જિલ્લાના તાલુકા મુજબ પીવાના પાણી માટેની આવેલ ફરિયાદો તેમજ તે માટે હાથ ધરેલ કામગીરી, પેન્ડીંગ કામગીરી સહિત રોજ-બ-રોજ આવતી પાણીની ફરિયાદો વિશેની માહિતી સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં વન વિભાગ તરફથી પણ વન્ય જીવો માટે પીવાના પાણી માટે કરેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ મિટિંગ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, વાસ્મો યુનિટ મેનેજરશ્રી સૌમિલ ભૈયા, અન્ય પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
*