ગુજરાત એસ.ટીમાં એમએસિટી કોભાંડમાં નાણાંની ઉચાપતનો મામલો..
લીમખેડામા એસટી નિગમના મહિલા કર્મચારી સહિત 2 વ્યકિત સામે ફરિયાદ,
એસટી બસમાં અકસ્માત થયાની ખોટી વિગતો ઉપજાવી કાઢી 34 ક્લેઈમ મારફતે કોભાંડ આચરાયું હતું
લીમખેડા તા.૩૦
દાહોદ જિલ્લામાં સરકારી એસટી બસને માર્ગ અકસ્માત સર્જાયા બાદ તેમાં સવાર કેટલાક મુસાફરોને ઇજાઓ થવા પામી હતી ત્યારે આ બનાવનો લાભ લઈ એક મહિલા સહિત બે ઈસમોએ આર્થિક લાભ મેળવવા માટે ઈજા પામેલા મુસાફરોને લોન અપાવવા તેમજ પરિવારોને સહાય આપવાની લાલચ આપી તેઓના આધાર પુરાવો લઇ ખોટી કુલ 34 એમ.એસ.સી.ટી. ક્લેમ અરજીઓ કોર્ટમાં દાખલ કરતા આ અંગેની જાણ એસટી વિભાગના સંબંધિતને થતા આ મામલે એસટી વિભાગના કર્મચારી દ્વારા મહિલા સહિત બે ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
પંચમહાલના ગોધરા ખાતે રહેતા અશોકભાઈ કાશીરામ સોલંકી અને દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં રહેતા દિવ્યાબેન અમૃતલાલ પરમારનાઓએ એકબીજાની મદદગારી કરી આર્થિક લાભ માટે ગત તારીખ 02.08. 2011 ના રોજ એસટી ખાતાની જામનગર વિભાગના ધ્રોલ ડેપો ખાતેની સરકારી એસટી બસને દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે માર્ગ અકસ્માત થયો હતો જે માર્ગ અકસ્માતમાં એસ.ટી બસમાં સવાર સાત મુસાફરોને શરીરે ઇજાઓ પહોંચી હતી જે બાબતે જે તે વખતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી ત્યારે આ બનાવનો લાભ લઈ ઉપરોક્ત બંને ઈસમોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઈજા પામેલ મુસાફરોના નામથી ક્લેમ મેળવવા માટે મુસાફરોને લોન અપાવવાના તેમજ આદિવાસી પરિવારોને સહાય આપવાના અને અન્ય સહાય આપવાની લાલચ આપી છેતરપિંડીથી તેઓના પાસેથી જરૂરી આધાર પુરાવા તેમજ કાગળો મેળવી લીમખેડા તથા દાહોદ કોર્ટમાં બનાવટી ખોટી કુલ 34 એમએસીટી ક્લેમ અરજીઓ દાખલ કરાવી ખોટી રીતે એસટી વિભાગના નાણાની ઉચાપત કરવાના ઇરાદે ખોટા ક્લેમ પકવ્યા હતા.ત્યારે આ અંગેની જાણ વિભાગીય પરિવહન અધિક્ષક એસ.ટી વિભાગીય કચેરી ગોધરાના મિતેશભાઇ હસમુખભાઈ સોલંકી ને થતા તેઓ દ્વારા ઉપરોક્ત બંને ઈસમો લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.