લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારમાં મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ,અંધકારના કારણે સ્થાનિકોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓ..

Editor Dahod Live
3 Min Read

લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારમાં મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ,અંધકારના કારણે સ્થાનિકોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓ..

દાહોદ તા. ૫

લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા ચોરી થવાનો ભય ફેલાઈ રહ્યો છે. ઝાલોદ રોડ વિસ્તારની 15થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા ગ્રામજનો તોબા પોકારી ગયા છે. ઝાલોદ રોડ વિસ્તારની મોટાભાગની સ્ટ્રીટલાઈટો લાંબા સમયથી બંધ રહેતા ગ્રામ પંચાયતની પોલ ખુલ્લી પડી ગઈ છે.

લીમખેડા નગરના ઝાલોદ રોડ વિસ્તાર, તેમજ પાછળના ભાગની સ્ટ્રીટ લાઈટો ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે બંધ રહેતા અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે, ઝાલોદ રોડ પર આવેલ IIFL ગોલ્ડ લોનની ઓફિસ થી આર્ટસ કોલેજ લીમખેડા સુધીના વિસ્તારની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમા છે, લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ઝાલોદ રોડ વિસ્તારમા અંધારપટ છવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો લોકોને રાત્રિ દરમ્યાન અવર જવર કરવામા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા તસ્કરો અંધારાનો લાભ લઈ ચોરી થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે લીમખેડા ગ્રામ પંચાયત વહેલી તકે ઝાલોદ રોડ પરની બંધ સ્ટ્રીટ લાઈટોની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માગ ઉઠી છે.

 *લીમખેડા ઝાલોદ રોડ પર 15 થી વધુ સ્ટેટ લાઈટો બંધ હોવાથી ચોર તસ્કરોને મોકળું મેદાન, વાહન ચાલકોને હાલાકી:- કમલેશ ભાભોર સ્થાનિક*

આ મામલે લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારના રહીશ કમલેશ ભાભોરે જણાવ્યું હતું કે, આર્ટસ કોલેજથી લઈને નિતેશ પ્રજાપતિના ઘર સુધીની 15 થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમા છે, તેમજ પાછળના ભાગે આવેલ સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાથી અવર જવર કરવામા મુશ્કેલી પડે છે, અને અંધારાના કારણે રાત્રે ચોર પણ આવી શકે છે, બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ગ્રામ પંચાયત તાત્કાલિક ચાલુ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

*સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે :- હરેશ બારીયા તલાટી ગ્રામ પંચાયત લીમખેડા.*

લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારની બંધ સ્ટ્રીટ લાઈટ બાબતે ગ્રામ પંચાયતના તલાટી હરેશ બારીઆએ જણાવ્યું હતું કે, ઝાલોદ રોડ પરની તમામ બંધ સ્ટ્રીટ લાઈટને ચાલુ કરવા માટે ગ્રામ પંચાયતના હેલ્પરને સુચના આપવામા આવી છે, જ્યા પણ લાઈટ બંધ હશે તેને રીપેરીંગ અથવા નવિન લગાવીને લાઈટ ચાલુ કરી દેવામા આવશે.

Share This Article