દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચ પુત્રે પીએચસી સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ સાથે અને ડોક્ટર સાથે આમાનવીય અને અણછાજતું વર્તન કરતા અત્રેના જિલ્લાવિકાસ અધિકારી રચિતરાજે આજે મારગાળા ગ્રામ પંચાયતના સરપંચ સુરસીંગભાઈ રામસિંગભાઈ ભાભોરને શો-કોઝ નોટિસ આપી પોતાની ઓફિસમાં હાજર રહેવાનું જણાવી તમને સરપંચ પદેથી દુર કેમ ન કરવા તેવી નોટિસ ફટકારી દેતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે.જિલ્લા વિકાસ અધિકારીએ આપેલ લેખિત નોટિસમાં જણાવાયુ છે કે સરપંચ તરીકે પ્રથમ નાગરિકને છાજે નહીં તેવું વર્તન કરી સત્તાનો દુરુપયોગ કર્યો છે. ડબલ્યુએચઓએ જ્યારે કોરોના વૈશ્વીક મહામારી ઘોષિત કરી છે.ત્યારે જે તે કક્ષાએથી આરોગ્ય કર્મચારીને સાથ સહકાર આપવાનું વારંવાર સૂચન કરવા છતાં આપના પુત્ર દ્વારા ડોક્ટર તથા કર્મચારી સાથે ખૂબ જ અમાનવીય વર્તન કરેલ છે.આ બાબતની આરોગ્ય કર્મચારીઓ એ વિડિયો ક્લિપ સહિત રજૂઆત કરેલ છે.સરકાર શ્રીની સુચના મુજબ આરોગ્ય કર્મી સાથે અમાનવીય વર્તન કરનાર સામે કડક પગલાં લેવાનું જણાવેલ છે જેથી આપની સામે પંચાયત અધિનિયમ કલમ 57(1) હેઠળ પગલા લઈ સરપંચ પદેથી દૂર કેમ ન કરવા તમારા આ વર્તન અંગે લેખિત અથવા મૌખિક જો કોઇ રજૂઆત કરવી હોય તો સ્વયં અથવા કોઇ અધિકૃત વ્યક્તિ દ્વારા આગામી તારીખ સોળમી એપ્રિલના રોજ કચેરીમાં હાજર રહેવાનું જણાવી એક નોટિસ આપી છે જો આ તારીખે સરપંચ અથવા તેના અધિકૃત વ્યક્તિ હાજર નહીં રહે તો પંચાયત અધિનિયમ મુજબ કચેરી દ્વારા એક તરફી નિર્ણય લઈ પગલાં લેવાનાર હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે આ બાબતે જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે