લીમખેડામાં આઝાદીના 78 વર્ષ બાદ પણ લીમખેડાના ગ્રામજનો સ્મશાન વિહોણા, હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર ચોમાસામાં વધે છે મુશ્કેલીઓ, પાકા રસ્તા અને સ્મશાનની સુવિધા માટે વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય; ગ્રામજનોમાં ભારે રોષ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડામાં આઝાદીના 78 વર્ષ બાદ પણ લીમખેડાના ગ્રામજનો સ્મશાન વિહોણા, હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર

ચોમાસામાં વધે છે મુશ્કેલીઓ, પાકા રસ્તા અને સ્મશાનની સુવિધા માટે વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય; ગ્રામજનોમાં ભારે રોષ

સાંસદ-ધારાસભ્યના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ, આદિવાસી અને પ્રજાપતિ સમાજે ઉઠાવ્યા સવાલ

દાહોદ તા.12

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામના લોકોને સ્મશાન જેવી પાયાની સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે. પરિણામે સ્થાનિક લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં તો સ્થિતિ વધુ વિકટ બની જાય છે. ગ્રામજનોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સ્મશાન અને રસ્તાની સુવિધા ઉભી કરવાની માંગ કરી છે.

એક તરફ સરકાર ગામડાઓમાં વિકાસના મોટા મોટા દાવા કરે છે, ત્યારે લીમખેડા તાલુકાના આ ગામમાં આજે પણ સ્મશાન જેવી મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગામમાં સ્મશાન માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો વર્ષોથી હડફ નદીના પટમાં અંતિમ વિધિ કરવા મજબૂર બન્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ કફોડી બની જાય છે. નદીમાં પાણી ભરાઈ જતાં અંતિમ સંસ્કાર માટે પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે. અનેક વખત ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.સ્મશાન સુધી પહોંચવા માટે પાકા રસ્તાની પણ સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે અંતિમયાત્રા દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ અને ધારાસભ્ય હોવા છતાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે.

આ મુદ્દે આદિવાસી સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે મૃત્યુ બાદની અંતિમ વિધિ માટે પણ જો યોગ્ય વ્યવસ્થા ન હોય તો વિકાસના દાવાઓનો કોઈ અર્થ રહેતો નથી.હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બનેલા ગ્રામજનો હવે સરકાર, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો અંત ક્યારે આવશે અને ગ્રામજનોને સ્મશાન જેવી પાયાની સુવિધા ક્યારે મળશે તે જોવું રહ્યું.

Share This Article