રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદમાં સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ વડોદરાની ટીમનો સપાટો:મિશ્કાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં ૧૨.૮૦ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ, કંપનીના સંચાલકની કરી ધરપકડ,અદાલતમાં રજૂ કરાશે,મીસકાત ઇન્ડસ્ટ્રીઝમાં કરચોરીના ઘસ્ફોટક બાદ સંચાલકને ગાઇડલાઇન મુજબ કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલમાં લવાયો:છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દાખલ કરાયો:નામાંકિત અગ્રણીઓ વેપારીઓનો હોસ્પિટલ ખાતે જમાવડો,મીડિયા કર્મીઓ જોડે ગેરવર્તુણક કરવામાં આવતા એક તબક્કે મીડિયા કર્મીઓ તેમજ અધિકારીઓ વચ્ચે સામાન્ય ચકમક જોવા મળી
દાહોદ તા.૨૭
સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ, વડોદરા – 2 દ્વારા ઇન્ટેલીજન્સ અને ડેટા એનાલીસીસ દ્વારા ગતરોજ દાહોદના મેસર્સ મિશ્કત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડમાં ધામા નાખી રૂ. 12.80 કરોડની કરચોરી પકડી પાડતા સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જીએસટી ચોરીમાં સંડોવાયેલા કંપનીના સંચાલક ઇદ્રીસ યુસુફભાઇ માલવસીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, વડોદરા સમક્ષ હાજર કરવામાં આવશે હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના મેસર્સ મિશ્કત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા વિવિધ પ્રકારના ખાદ્ય લોટનો વેપાર કરવામાં આવે છે.કંપનીનું બ્રાન્ડ નામ મિશ્કતને ટ્રેડમાર્ક એક્ટ, 1999 અંતર્ગત રજીસ્ટર્ડ કરાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ટેક્સના નોટીફીકેશન 01/2017માં તારીખ 28/06/2017ના રોજ કરવામાં આવેલા સુધારા અનુસાર કંપની પર જીએસટી લાગુ થાય છે. કારણ કે, કંપની દ્વારા રજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ અંતર્ગત ગુડ્સનું વેચાણ કરવામાં આવતું હતું. મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા રૂ. 310 કરોડના મુલ્ય પર જીએસટી ટેક્સ લાગુ પડે છે. કંપની દ્વારા રૂ. 12.80 કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ, વડોદરા – 2 ના અધિકારીઓ દ્વારા માલુમ પડતાની સાથે જ આ ટીમ દાહોદ ખાતે આવી પહોંચી હતી.ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઓચિંતી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અને ઉપરોક્ત કર ચોરી પકડી પાડવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે કંપની દ્વારા જુલાઇ -2017 થી સપ્ટેમ્બર – 2020 સુધીમાં જીએસટી ભરપાઇ કરવામાં આવ્યું ન હતું. કંપની સંચાલક દ્વારા સ્વેચ્છાએ રૂ. 75 લાખ જીએસટી કર પેટે ભરપાઇ કરી દીધા હતા.જોકે મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક ઇદ્રીસ યુસુફભાઇ માલવસીની ટેક્સ ચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે. નિયમાનુસાર ઇદ્રીસ યુસુફભાઇ માલવસીનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી ટેરીફ એક્ટ 2017 મુજબ વિવિધ પ્રકારના લોટ ને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા રજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ અંતર્ગત વેચાણ કરતું હોવાને કારણે તેના પર જીએસટી લાગુ થાય છે.
દાહોદની મીસકાત ઇન્ડસ્ટ્રીઝમાં કરચોરીના ઘસ્ફોટક બાદ સંચાલકને ગાઇડલાઇન મુજબ કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલમાં લવાયો:છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દાખલ કરાયો:નામાંકિત અગ્રણીઓ વેપારીઓનો હોસ્પિટલ ખાતે જમાવડો,
દાહોદની નામાંકિત મીસકાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે જીએસટી વિભાગ વડોદરાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.આ રેડ દરમિયાન મીસકાત એગ્રો ઈંડસ્ટ્રીઝ ના સંચાલક ઈદ્રીશ મલવાસી દ્વારા 12.80 કરોડની જીએસટી ચોરીનું ઘસ્ફોટક થતાંની સાથે શહેરના વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ત્યારબાદ કંપનીના સંચાલકની અટકાયત બાદ કોરોના ગાઈડ લાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવવા માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ઈદ્રીશભાઈને ચેસ્ટ પેઈન હોવાની ફરિયાદ કરતા તેમના જરૂરી રિપોર્ટ કરાવી વડોદરા ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન દાહોદ એપીએમસીના વેપારીઓ તેમજ દાહોદના નામાંકિત અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.તેમજ હોસ્પિટલ ખાતે કેટલાક મળતીયાઓ દ્વારા સમગ્ર મામલામાં ભીનું સંકેલવાના નિષ્ફળ પ્રયાસોમાં જોતરાયા હોવાની વાતો વહેતી થઇ હતી.જોકે મોડીરાત્રે ઇન્ડસ્ટ્રીઝના સંચાલકને વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને આજરોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મીડિયા કર્મીઓ જોડે અમાનવીય વ્યવહાર કરવામાં આવતા એક આ તબક્કે મીડિયા કર્મીઓ તેમજ અધિકારીઓ વચ્ચે સામાન્ય ચકમક જોવા મળી
દાહોદની નામાંકિત મીસકાત ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા.અને તેમના સંચાલકનો કોરોના રિપોર્ટ કરાવવા આવ્યા હોવાની વાતો વાયુવેગે મીડિયા સહીત શહેરના વેપારીઓને થતાં મીડિયાકર્મીઓ તેમજ કેટલાક વેપારીઓ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં કેટલાક મળતીયાઓ દ્વારા એક પ્રકારનું આવરણ બનાવી સમગ્ર્ર મામલાને દબાવી દેવા માટે મીડિયા કર્મીઓને અટકાવવાના પ્રયાસો હતા.જયારે સંચાલકના મળતિયા વેપારીઓને કોરોનાના સેમ્પલિંગના વિભાગ સુધી જવા દેવામાં આવ્યા હતા.જેના પગલે ત્યાં ઉપસ્થિત અધિકારીઓ તેમજ મીડિયાકર્મીઓ વચ્ચે સામાન્ય ચકમક જોવા મળી હતી.