Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી કરાઈ

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી કરાઈ

Dahod Live Desk..

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી,જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી,જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સનું મંચ પર સન્માન કરાયું

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ, તા. ૧૫ :

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણી પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ઉપસ્થિત તમામ નાગરિકોએ રાષ્ટ્રગાનની ધૂન ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટીય પર્વના આ પાવન પ્રસંગે જિલ્લાના ૩૦ થી પણ વધુ કોરોના વોરિયર્સ સહિત પ્રસંનીય કામગીરી કરનારા કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનાં માહિતી કચેરીના સોશિયલ મિડિયા પર જીવંત પ્રસારણ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રતા કાજે લડનારા નામી અનામી તમામ સ્વાતંત્ર વીરોને આ અવસરે વંદન કરૂ છું. આજના કોરોના મહામારીના સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની યોગ્ય દિશાદર્શન સાથે આખી દુનયાને પ્રેરક એવી આગેવાની કરી છે. લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય અને કટોકટીના સમયમાં પણ યોગ્ય નિર્ણયો લઇને દેશને સતત પ્રગતિને માર્ગે ધપાવ્યો છે. આત્મનિર્ભર ભારત માટે રૂ.૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને દેશને ફરીથી વિકાસની દિશામાં આગેકુચ આરંભી છે. ૫૦૦ વર્ષથી ચાલતા આવતા રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ અને દેશમાં કલમ ૩૭૦ની કલમ નાબુદ કરીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે.
તેમણે જણાવ્યું કે, વિકાસની બાબતમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગ, સેવા કે કૃષિ ક્ષેત્રે ગુજરાત વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાતે પાછી પાની કરી નથી અને આપત્તિને અવસરમાં ફેરવી દેવાની ગુજરાતની પ્રજાની ઓળખ બરકરાર રહી છે. રાજયના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સમયે અસરકારક જનહિતલક્ષી નિર્ણયો લઇ કોરોનાને હરાવવા મક્કમ પગલાં લીધા છે. ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાની કોવીડ હોસ્પીટલો, સાથે દરેક જિલ્લામાં ૧૦૦ બેડની ક્ષમતાની કોવીડ હોસ્પીટલો તાબડતોબ કાર્યરત કરવામાં આવી છે. ૫૦ હજારથી પણ વધુ પથારીની ક્ષમતાની ખાસ કોવીડ હોસ્પીટલો, કોવીડ કેર સેન્ટર, કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાયા છે. આખા રાજયમાં ૧૧૦૦ જેટલા ધન્વંતરિ રથની કામગીરી વિશ્વભરમાં અનુકરણીય અને પ્રશંસનીય બની છે.
તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આ સમયમાં આપણે સૌ પણ જિલ્લામાંથી કોરોનાને નાબુદ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ. આ માટે દરેક નાગરિક S-M-S એટલે કે સોશિયલ ડિસ્ટશન્સ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગના સૂત્રનું પાલન કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે દિન રાત અથગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે સૌ પણ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અદા કરીએ.
તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લાએ કોરોનાના સંકટ સમયમાં આવી પડેલી તમામ પડકારોનો બખૂબી સામનો કર્યો છે. છેલ્લા ચાર માસમાં જિલ્લાના બે લાખથી પણ વધુ પરીવારોને નિ:શુલ્ક રાશન પહોંચતું કરાયું છે. લોકડાઉનમાં ફસાયેલા ચાર હજાર જેટલા શ્રમિકોને તમામ સુવિધાઓ સાથે વતન પહોંચતા કરાયા હતા. જિલ્લાના ૫૫ ધન્વંતરિ રથો નાગરિકોની આરોગ્યસેવા કરી રહ્યાં છે. કોરોના સંક્રમણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દિવસરાત એક કરી રહ્યું છે.
રાજયમંત્રી શ્રી ખાબડે જિલ્લાના વિવિધ વિકાસકાર્યો વિશે પણ નાગરિકોને માહિતી આપી હતી. તેમણે સૌ નાગરિકોને આ કપરા સમયમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે જણાવ્યું હતું.

 

સીંગવડ તાલુકાના ૭૪માં માં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રણધીકપુર સિંગવડમાં કરવામાં આવી 

કલ્પેશ શાહ @ સીંગવડ

 સીંગવડ તાલુકાના ૭૪માં સ્વાતંત્ર પર્વની તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં કરવામાં આવી હતી.જેમાં  તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા તાલુકા પંચાયત સ્ટાફ નાયબ મામલતદાર ગઢવી તથા સ્ટાફ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રંધીકપુર સ્ટાફ રણધીકપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ ડીજે પ્રજાપતિ તથા સ્ટાફ ટી.એચ.ઓ ડોક્ટર મછાર તથા ગણમાન્ય નાગરિકો વગેરે હાજર રહ્યા હતા.કોરોના મહામારીને દેખતા ધ્વજવંદન કાર્યક્રમમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું.ધ્વજ વંદન કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ત્યાર પછી પ્રમુખશ્રી દ્વારા 74 સ્વતંત્ર પર્વ નિમિત્તે ઉદબોધન કરવામાં આવ્યું હતું.ત્યાર પછી કોરોના મહામારીના સમયે સિંગવડ તાલુકા ના દરેક પીએચસીના સ્ટાફ દ્વારા હિંમતથી નોકરી કરીને સિંગવડ તાલુકામાં નહિવત પ્રમાણમાં કેસ આવતાં તમામ ડોક્ટરો તથા સ્ટાફ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તથા ડોક્ટર મછાર તથા ડોક્ટર નિલેશ સેલોત પીએચ સી સુપરવાઇઝર ૨ એફ એસ ડબલ્યુ 2 એમ પી એસ ડબલ્યુ ૪ આ બધાને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યા તથા કોરોનાની જંગ સામે સ્વસ્થ થઇ પાછા ઘરે આવેલા પ્રજાપતી મુકેશ માંગીલાલને તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આચાર્ય તથા પી.એસ.આઇ ડી જે પ્રજાપતિ તથા ડોક્ટર મછાર  વગેરે દ્વારા સાળ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર પછી બધા અધિકારીઓ દ્વારા ઉદ્યોગિક તાલીમ કેન્દ્ર ના કમ્પાઉન્ડમાં વૃક્ષ લગાવવામાં આવ્યા હતા. તથા વનખાતાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા સિંગવડ તાલુકાના દરેક પંચાયતો તથા પ્રાથમિક શાળાઓમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી સીંગવડ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી જીવણભાઈ વહોનીયા તલાટીશ્રી સભ્યશ્રીઓ પ્રાથમિક શાળાના શિક્ષકગણ ગ્રામજનો ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સિંગવડ ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા સીંગવડ ની બાલિકા પરમાર મનસ્વી બેન નટુભાઈ ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી ત્યારે દાહોદ જિલ્લામાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવતા સિંગવડ ગ્રામ પંચાયત દ્વારા શાલ ઓઢાડીને રોકડ રકમ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું તથા પ્રજાપતી મુકેશ માંગીલાલ ને પણ ગ્રામ પંચાયત સિંગવડ દ્વારા કોરોના જંગ સામે સ્વસ્થ થઈને પાછા ઘરે આવવા બદલ તેમને પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા તથા રણધીકપુર પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સ્ટાફ તરફથી ધ્વજ વંદન કરવામાં આવ્યું તથા તાલુકા પ્રાથમિક શાળામાં સીંગવડ માં માં ધ્વજ વંદન કરવામાં આવ્યો આ રીતે સમગ્ર સિંગવડ તાલુકાની સરકારી સંસ્થાઓમાં તથા સ્કૂલોમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

ફતેપુરામાં 74 માં સ્વતંત્ર પર્વની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી:ઠેરઠેર સરકારી કચેરીઓ તેમજ અર્ધસરકારી સંસ્થાઓમાં ધ્વજ વંદન કરવામાં આવ્યો 

શબ્બીર સુનેલવાલ, ફતેપુરા

ફતેપુરા નગરમાં સવારથી જ રાષ્ટ્રભક્તિના ગીતો સાંભળવા મળતા હતા.અને વાહનો ઉપર ઝંડા લાગેલા જોવા મળતા હતા. સરકારી કચેરીઓ તેમજ અર્ધસરકારી કચેરીઓમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.નગરમાં આવેલ મામલતદાર કચેરીના પટાંગણમાં મામલતદાર એન.આર.પારગી પરેડની સલામી સાથે ધ્વજવંદન કર્યું હતું.આ પ્રસંગે કોરોના મહામારીની લડાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સેવા આપતા આરોગ્ય કર્મચારીઓ શિક્ષકો પોલીસ કર્મચારી અને પત્રકારોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.જ્યારે કોર્ટના પટાગણમાં જજ શ્રી એ.એ.દવે ધ્વજવંદન કર્યું હતું.તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પ્રમુખ રજનીકાબૅન મછાર અને તાલુકો કુમાર શાળાના પટાંગણમાં ઇશાકભાઇ પટેલ ધ્વજને સલામી આપી હતી. માર્કેટીંગ યાર્ડમાં માર્કેટના ચેરમેન પ્રફુલભાઈ ડામોર તેમજ શ્રી આઈ.કે.દેસાઈ સ્કૂલના પટાંગણમાં શરદભાઈ ઉપાધ્યાય ધ્વજને સલામી આપી હતી. જાગૃતિ કન્યા વિદ્યાલયમાં કપિલાબેન પટેલ તેમાં સહકારી મંડળીમાં ચેરમેન ડોક્ટર અશ્વિનભાઈ પારગી તેમજ ગ્રામ પંચાયતના પટાંગણમાં દિલીપભાઈ પ્રજાપતિ ધ્વજવંદન કર્યું હતું.સુખસર મુકામે આવેલ નૂતન વિદ્યાલય ના પટાંગણમાં પૂર્વ ધારાસભ્ય અને શાળાના પ્રમુખ દિતાભાઈ મછાર તેમજ સુખસર આઈટીઆઈના પટાંગણમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ધ્વજને સલામી આપી હતી. પ્રસંગને અનુરૂપ પ્રવચન કરેલ હતું.સમગ્ર ફતેપુરા નગર સહિત તાલુકામાં ભારે હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં હતી.

લીમડી ગામ માં ૭૪માં સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો: ઠેરઠેર સરકારી તેમજ અર્ધસરકારીઓમાં ધ્વજવંદન સહીત વિવિધ કાર્યક્રમો યોજાયા 

સૌરભ ગેલોત:- લીમડી 

લીમડી ગ્રામ પંચાયત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. લીમડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શીલાબેન મોરી તથા ગ્રામ પંચાયત લીમડીના સભ્ય શ્રી અને લીમડી ગામના પોલીસ ગણ ધ્વજવંદન કાર્યક્રમમાં હજાર રહ્યા હતા.તેમજ પંથકની સરકારી તેમજ અર્ધસરકારી કચેરીઓમાં ધ્વજવંદન નો કાર્યક્રમ ઉજવાયો હતો.

 દેવગઢ બારીયા તાલુકામાં સ્વાતંત્ર દિન નિમિત્તે ઠેરઠર ધ્વજ વંદન સહીત અનેકવિધ કાર્યક્રમો યોજાયા

મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના પ્રાંત કચેરી ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવગઢબારિયા નગરના ગણમાન્ય નાગરિકો તેમજ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાની સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓ સહિત શાળામાં ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

error: Content is protected !!