રાજેશ વસાવે :- દાહોદ
સરકારી શૈક્ષણિક સાધન કૌંભાંડ:ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.!
ખાનગી શાળાના કૌંભાંડ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશ્નરના ફતેપુરામાં ધામા :
જિલ્લાકક્ષાએથી ડીપીઓ તેમજ ડીઓ દ્વારા પણ તપાસમાં જાેડાયા
દાહોદ તા.૨૦

ફતેપુરામાં સરકારી શૈક્ષણિક સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ મામલે ગઈકાલે ઘટસ્ફોટ થયો છે. ગઈકાલે ટીપીઓની ટીમ દ્વારા ટચ ધ લાઈટ ખાનગી શાળામાં તપાસ દરમ્યાન સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવતાં ગઈકાલે ખાનગી શાળાને સીલ કરવામાં આવી હતી. તમામ સરકારી સાધન, સામગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી. જે મામલે હવે રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીરતા દાખવી ગુજરાત રાજ્યના પ્રાદેશીક કમિશ્નર તપાસ અર્થે દાહોદ દોડી આવ્યાં હતાં. સરકારી શૈક્ષણિક સાહિત્યના કૌંભાંડ મામલે હવે પ્રાદેશિક કમીશ્નર કચેરી તેમજ જિલ્લા પ્રાથમીક શિક્ષણ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પેરલલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાનગી શાળામાં સરકારી સાહિત્યના કૌંભાંડમાં હવે ખુદ સરકારી શાળામાં ભણાવતાં શિક્ષકો સામે તપાસ ઉભી થઈ ગઈ છે. જેમાં અલગ અલગ શાળામાં ભણાવતાં શિક્ષકો દ્વારા આ ટચ ધ લાઈટ દ્વારા ખાનગી શાળા શરૂ કરી સરકારી શૈક્ષણિક સામગ્રીનો ગેરકાયદેસર રીતે પોતાની ખાનગી શાળામાં ઉપયોગ કરી રહ્યાં હતાં. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, ઉપરોક્ત ખાનગી શાળામાંથી જપ્ત કરાયેલો શૈક્ષણિક સામગ્રીનો જથ્થો કંઈ સ્કુલમાંથી આ ખાનગી શાળામાં મોકલવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કોઈપણ સરકારી શાળા અથવા કચેરીમાં સાધન સામગ્રી આવતી હોય છે ત્યારે તેની આવક જાવકનો રજીસ્ટાર મેન્ટેન કરવો પડે છે તેના માટે પણ જેતે કચેરીના કર્મચારીની જવાબદારી નક્કી કરવામાં આવે છે. તો આ સરકારી સામગ્રીની હેરફેર અને કૌંભાંડમાં આ શિક્ષકો સિવાય અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે અંગે હવે ઉચ્ચ કક્ષાએથી તેમજ સ્થાનીક લેવલેથી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. નોંધનીય બાબત છે કે, શાળામાંથી ૨૦૨૪-૨૫ની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આક્ષેપ એ પણ છે કે, છેલ્લા ૩-૪ વર્ષથી આ પ્રકારની પ્રવૃતિ ચાલી રહી હતી. અને રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ ક્યાં કારણોસર રજુઆતોને ગંભીરતાથી ન લેવામાં આવી તેવા પણ પ્રશ્નો હવે ચર્ચાને એરણે ઉઠ્યાં છે. આ મામલે વિદ્યાથી નેતાની રજુઆતો બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે અને હવે પ્રાદેશિક કમિશ્નર અને સ્થાનીક લેવલેથી તપાસ શરૂ કરવામાં આવી છે. આતો ફક્ત એક શાળાનો વિષય છે. આવું કૌંભાંડ અન્ય કેટલી જગ્યાએ ચાલી રહ્યું હશે તે પ્રશ્ન જનમાસનમાં ઉઠવા પામ્યો છે. શૈક્ષણિક સામગ્રીનો કૌંભાંડ સામે આવ્યો છે ત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી ઉક્તિ અહીંયા સાર્થક થઈ રહી છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ સમગ્ર શૈક્ષણિક સામગ્રીના કૌંભાંડમાં કેટલાં લોકોની મીલીભગત સામે છે. તે હવે તપાસ બાદ સાર્વજનિક થાય તોજ ખબર પડશે. નહીંતર ભુતકાળમાં પણ આવા પ્રકારની ગેરરીતીઓ ઘણીખરી શાળાઓ તેમજ અન્ય વિભાગોમાં પણ સામે આવી છે જેમાં તપાસો પણ કરવામાં આવી પરંતુ તે તપાસોમાં પણ શું બહાર આવ્યું તેનું સ્પષ્ટીકરણ તેમજ અહેવાલ અત્યાર સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નથી ત્યારે હવે આ શૈક્ષણિક સામગ્રીનો કૌંભાંડ કરનાર ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડશે કે પછી સમય જતાં આ તપાસ ઠંડા રસ્તામાં મુકાઈ જશે. તે હવે જાેવું રહ્યું.
