બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સકવાડાના 20 વર્ષીય યુવાનની વીજ કરંટ ખાધેલી હાલતમાં લખણપુર ગામેથી લાશ મળી આવી.
સુખસર પોલીસ દ્વારા મૃતક યુવાને અગમ્ય કારણોસર ઈલેક્ટ્રીક થાંભલે ચડતા કરંટ લાગ્યો હોવાની જાણવાજોગ નોંધ કરી.
સુખસર,તા.23
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અકસ્માત તથા કમોતના બનાવો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેમાં વધુ એક બનાવ ફતેપુરા તાલુકાના સકવાડાના 20 વર્ષીય યુવાનની લાશ કરંટ લાગવાથી મોત નિપજેલ હાલતમાં લખણપુર સબ સ્ટેશન બાજુથી મળી આવતા ચકચાર મચી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર જામ્બાસર ફળિયાના ઈલેક્ટ્રીક સબ સ્ટેશન પાસે વીજ થાંભલા પાસે વીજ કરંટ લાગવાથી મોતને મોતને ભેટેલ કોઈક યુવાનની લાશ હોવાની સ્થાનિક લોકોને જાણ કરતા તેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.જેથી તાબડતોબ સુખસર પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો.જેના આધારે તપાસ કરતા આ લાશ ફતેપુરા તાલુકાના સકવાડા ગામના ગરાસીયા ફળિયામાં રહેતા રાજુભાઈ રમેશભાઈ ગરાસીયા ઉંમર વર્ષ 20 નાઓની હોવાનું બહાર આવતા તેના વાલીવારસોને જાણ કરવામાં આવી હતી.અને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે આવ્યા હતા. મૃતક યુવાનને વીજ કરંટ લાગવાથી મોત નિપજયુ હોવાનું નજરે જોતાં જણાય આવ્યું હતું.જ્યારે પરિવારજનોએ જણાવ્યું હતું કે,મૃતક રાજુભાઈ છેલ્લા પાંચેક દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ તેણે અગમ્ય કારણોસર પોતાના ગામથી દૂર અવાવરું જગ્યાએ ઈલેક્ટ્રીક થાંભલે ચડી વીજ કરંટથી મોત વ્હાલુ કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ઉપરોક્ત આકસ્મિક મોત સંદર્ભે મૃતકના ભાઇ શુકલાભાઈ રમેશભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ઈલેક્ટ્રીક થાંભલે ચડતા કરંટ લાગવાથી મોત નીપજયું હોવા બાબતે પંચકેસ કરી લાશનુ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કર્યા બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.