Thursday, 25/04/2024
Dark Mode

ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

April 21, 2022
        715
ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

સુમિત વણઝારા

 

ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

દાહોદમાં વિરાટ આદિવાસી જનસમુદાયના સાક્ષાત્કાર સાથે રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની સોગાદ ધરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

-વડાપ્રધાનશ્રી –

 

દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે

 

દાહોદમાં આધુનિક રેલ્વે એન્જીન બનવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે 

ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે

 

દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને નળ જોડાણ અપાયા, પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે

 

આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો કર્યા છે 

-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. 

વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું કે, દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અહીં ૯ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેઇક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે યોજાયેલ વિશાળ આદિજાતિ મહાસંમેલનમાં દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ. ૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ પંચમહાલ જિલ્લામાં જન સુખાકારી અને જન સુવિધાના રૂ. ૧૫૯.૭૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેઇક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નોકરીની તકો ઉભી થશે. વડાપ્રધાનશ્રીએ દાહોદ જિલ્લામાં કુલ રૂ.૨૧૯૬૯.૫૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. 

 

તેમણે ઉમેર્યું કે, ભારત વિશ્વના ચુનંદા દેશો પૈકીનો એક દેશ છે કે જે ૯ હજાર હોર્સ પાવરના લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવે છે. દાહોદમાં આ આધુનિક રેલ્વે એન્જીન બનાવવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે આ મૂડી રોકાણથી હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. તેની સાથે, નિષ્પ્રાણ બની રહેલા દાહોદના પરેલ વિસ્તાર પણ ધમધમતો થશે. 

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. જેના પરિણામે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે. પ્રગતિ, વિકાસની નવી દિશા અમે કંડારી છે. 

આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદ્રઢ અમલીકરણ વિશે જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું કે, પાણીની સમસ્યા હોઇ ત્યારે તેને સૌથી વધુ સહન આપણી માતા અને બહેનોએ કરવું પડે છે. એક સમય હતો જ્યારે, પાણી માટે દરદર ભટકવું પડતું હતું. પણ હવે નલ સે જલ મિશન હેઠળ ઘરેઘરે નળમાં પાણી આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના ૫ લાખ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે. 

 

શ્રી મોદીએ આરોગ્ય સેવાઓ અંગે જણાવતા કહ્યું કે, હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે મને આદિવાસી વિસ્તારોમાંથી એવી રજૂઆત મળતી કે ઝેરી સાંપ કરડવાના કારણે માનવ મૃત્યું થાય છે. ત્યારે અમે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં એન્ટી વેનમ ઇન્જેક્શનની સુવિધા પણ રખાવી હતી. હવે તેની સામે આદિવાસી ક્ષેત્રોમાં વેલનેસ સેન્ટર પણ ખુલી રહ્યા છે. દૂરદરાજના ગામોના લોકોને ઘરથી નજીક આરોગ્યલક્ષી સેવા મળી રહી છે. 

 

આદિવાસી યુવાનો અને યુવતીઓ ડોક્ટર, ઇજનેર બને તે માટે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી બેલ્ટના દરેક તાલુકા મથકે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરાવી હતી. આજે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી છાત્રો ભણીને તબીબ અને ઇજનેર બની રહ્યા છે. એટલું જ આ છાત્રો સરકારની સહાયથી વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું. 

તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા કરી દેશમાં ૭૫૦ એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સાત દાયકા પૂર્વે દેશમાં માત્ર ૧૮ આદિવાસી સંશોધન કેન્દ્રો હતા, તેની સાપેક્ષે માત્ર છેલ્લા સાત વર્ષમાં ૯ સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. 

 

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાની ગંભીર સમસ્યા છે. તેની સૌથી વધુ અસર યુવાનો ઉપર થાય છે. આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા છે. એ દિશામાં કામગીરી પણ રાજ્ય સરકાર કરી રહી છે. 

તેમણે જણાવ્યું કે, આદિવાસી ક્ષેત્રના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અહીંના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મોટા શહેરોમાં વધુ કિંમતથી વેચાઇ રહ્યા છે. જેના પરિણામે ખેડૂતોની આવક વધી છે. એક સમય હતો જ્યારે દાહોદની ફૂલની ખેતી ખૂબ જ વખણાતી હતી. દાહોદના ફૂલો છેક મુંબઇ સુધી જતાં અને ત્યાં આ ફૂલોથી પૂજાબંદગી થતી હતી. હવે તેના સ્થાને પ્રાકૃતિક ખેતી કૃષિકારો અપનાવી રહ્યા છે. 

 

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. સાત દાયકા સુધી આઝાદીના મૂળ લડવૈયાઓને અવગણના કરવામાં આવી. આવા વીરોના ઇતિહાસને ભૂલવાડવાનો પ્રયાસ થયો છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જૂના પંચમહાલના આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા ખપી ગયા હતા. માનગઢ હત્યા કાંડ તો જલિયાવાલા બાગ કરતા પણ ભયાનક હતો. ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓની અંગ્રેજો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવા અનેક આદિવાસી સ્વાતંત્ર્ય વીરોને ઉચિત સન્માન આ સરકારે બક્ષ્યું છે. માનગઢમાં ગોવિંદ ગુરુનું સ્મારક, રાંચીમાં ભગવાન બિરસા મુંડાનું સંગ્રહાલય બનાવાયું છે. જે ભાવિ પેઢીને ઇતિહાસ બોધ આપતું રહેશે. 

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શિક્ષણજગત્તને આહ્વાન કરતા શ્રી મોદીએ કહ્યું કે, આવા અનેક અનામી સ્વાતંત્ર્ય વીરોની ગાથા રજૂ કરતા કાવ્યો, નાટકો, ગીતો લખવામાં આવે અને તેનું મંચન કરવામાં આવે. આ કરવાથી ભાવિ પેઢીને આ સેનાનીઓના યોગદાનની જાણકારી મળશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં ૭૫ મોટા તળાવો બનાવવાનું બિડું ઉઠાવવા હાકલ કરી હતી. જેનાથી ચોમાસામાં વહી જતાં જળનો સંગ્રહ કરી શકાશે. ખાસ કરીને આજના યુવાનો જ્યારે દેશની આઝાદીની શતાબ્દિ કાળે આ તળાવો થકી પોતાનું યોગદાન અંકિત કરી શકશે. 

 

કોરોના મહામારી અને બીજી તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ દેશ મક્કતાપૂર્વક આગળ વધી રહ્યો છે, તેમ કહેતા શ્રી મોદીએ ઉમેર્યું કે, કોરોના મહામારીમાં મારા ગરીબ, આદિવાસી, દલિત અને પછાતવર્ગના લોકોના ઘરના ચુલા સળગતા રહે એ માટે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ૮૦ કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. ગરીબોની જઠરાગ્નિ તૃપ્તિનો વિક્રમી યજ્ઞ છે. 

 

જ્યાં રહીએ તે સ્થાનનો પ્રભાવ જીવનમાં આવે છે, ઉક્તિ કહેતા શ્રી મોદીએ કહ્યું કે, મારા પ્રારંભિક જાહેરજીવનમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ રહ્યો છે. આદિવાસીઓ વચ્ચે રહી તેમની સમસ્યા ઓળખી છે. આદિવાસીઓનું જીવન નજીકથી જોયું છે. આદિવાસીઓ પાણી જેવા પવિત્ર અને કૂંપળ જેવા સૌમ્ય હોઇ છે. આ સમાજે મને ઘણું શીખવાડ્યું છે. તેમના આશીર્વાદ મને સતત મળતા રહે છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આટલી વિશાળ સભા જોઇ નહોતી. આ વિરાટ જનસાગરના દર્શન કરવા મારા સૌભાગ્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સાંસદ શ્રી સી. આર. પાટીલે કમાલ કરી છે. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, દાહોદમાં સૂર્યદેવનું પ્રથમ કિરણ પ્રવેશે છે, જે સમગ્ર ગુજરાત ઝળહળતું કરે છે. તે બહુધા આદિવાસી પંથક દાહોદને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂ. ૨૧ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટથી ઝળહળી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ પોતાના યશસ્વી નેતૃત્વથી દુનિયા સમક્ષ વિકાસ કોને કહેવાય અને વિકાસ કેવો હોય તેનું આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

           તેમણે ઉમેર્યું કે, અગાઉની સરકારના સમયે આદિવાસી બાંધવો માટે ૨૨ વર્ષમાં માંડ રૂ. ૨૨૬૭ કરોડનું એટલે વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ બજેટ રહેતું હતું. જયારે આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન કરાયા છે. જ્યારે આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં હજુ રૂ. ૧ લાખ કરોડના વિકાસકામોની ભેટ ધરાશે. 

તેમણે જણાવ્યું કે, આદિવાસી બાંધવોને તમામ પાયાની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શિક્ષણ થી ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તેના માટેના દ્વાર રાજ્ય સરકારે ખોલી નાખ્યા છે. મેડિકલના શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની આદિવાસી યુવાનોને ઘરઆંગણે તક મળી છે. ઓનલાઈન શિક્ષણનો લાભ પણ આદિવાસી યુવાનો મેળવી શકે તે માટે રૂ. ૧૧૧ કરોડનું નેટવર્ક ઉભું કરાશે તેનું પાકું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. 

તેમણે ઉમેર્યું કે, સર્વે સન્તુ નિરામયના આદર્શોને ચરીતાર્થ કરતા રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારની આરોગ્ય સુખાકારી માટે ૨૭ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૮૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે. તેમજ ૧૭૫ એમ્બ્યુલન્સ રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના આરોગ્ય કલ્યાણ માટે ભેટ આપી છે.  

 તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાગી વિકાસ માટે પાયાના વિકાસ કાર્યો પહોંચતા કર્યા છે. નલ થી જળ યોજના થકી પાંચ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી હવે પહોંચતું થયું છે. આદિવાસી વિસ્તારોમાં ૬ લાખ પરિવારો માટે પાકા આવાસો બનાવાયા છે.

 તેમણે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનોના સન્માનમાં નર્મદાના ગરુડેશ્વર ખાતે રૂ. ૧૩૭ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરાશે. વિકાસ માટે આદિવાસી સમાજ કોઇનો મોહતાજ ના રહે તેવા દ્રઢ નિર્ણયો કરી આદિવાસી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ દ્વારા આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાને સાકાર કરવામાં આવશે. 

 

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવી તેમના સર્વાંગી વિકાસ માટેવનબંધુ કલ્યાણ યોજના ૨૦૦૭ માં અમલમાં મૂકી હતી અને હવે આ યોજના હેઠળ રૂ. એક લાખ કરોડથી વધુની જોગવાઈ કરવામાંઆવી હતી. કોરાનાની મહામારીમાં સમયે કોઈ ગરીબ ભૂખ્યો સુવે નહિ તેની દરકાર લઈ શ્રી નરેન્દ્રભાઈએ વિના મૂલ્યે અનાજ આપવાનું શરૂ કર્યું છે. તેનાથી આદિવાસી સમાજને બહુ ફાયદો થયો છે.

 

આજનો દિવસ આદિવાસીઓ માટે સુવર્ણ અક્ષરે લખાશે એવી લાગણી વ્યક્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની સમસ્યાઓને વાચા આપી પીએમ આવાસ યોજના હેઠળ નિર્માણ થતા આવાસો મહિલાઓને નામે કરી મહિલા શક્તિનું સન્માન કરી મહિલાઓને તેમના અધિકારો આપવાનું કાર્ય કર્યું છે. 

 

વડાપ્રધાનશ્રીએ પ્રારંભે વિવિઘ યોજનાના લાભાર્થી એવા આદિવાસી બાંધવો સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો હતો અને સરકારની યોજનાઓના લાભ થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સંવાદ દરમિયાન આદિવાસી સમાજનાં લાભાર્થીઓના ચહેરા ઉપર આનંદ અને આંખોમાં વડાપ્રધાનશ્રી પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળતી હતી. 

 

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. 

 

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, રાજ્ય મંત્રી મંડળના સદસ્યો શ્રીજીતુભાઈ ચૌધરી, કુબેરભાઈ ડિંડોર, સાંસદ સર્વશ્રી પ્રભુભાઈ વસાવા, રતનસિંહ રાઠોડ, શ્રીમતી રંજનબેન ભટ્ટ, રમીલાબેન બારા, મનસુખભાઈ વસાવા, કે.સી.પટેલ, ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીશ્રીઓ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર,વરિષ્ઠ સચિવો,અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી માનવ મહેરામણ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!