બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં આફવા રોડ તથા ઝાલોદ જતા જાહેર માર્ગ ઉપર પડેલા ખાડાનુ વૈકલ્પિક રીતે પુરાણ કરી સંતોષ માની મોટી જાનહાનિ ની રાહ જોતું વહીવટી તંત્ર!?*
*સુખસરમાં ઝાલોદ જતા હાઇવે માર્ગ સુકી નદી પુલ પાસે માટી પુરાણ કરી તથા આફવા જતા માર્ગ ઉપર પંચાલ ફળીયા પાસે માત્ર કાંકરા પાથરી સંતોષ માનવામાં આવી રહ્યા છે!*
સુખસર,તા. ૧૫

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન રસ્તાઓ તથા રસ્તાના રીપેરીંગ કામ માટે સરકાર દ્વારા વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ ફાળવવામાં આવે છે.તેમ છતાં સુખસર તાલુકામાં કેટલાક જાહેર માર્ગો ખખડધજ હાલતમાં જોવા મળે છે.અને જેમાં એ ખાસ કરીને જે રસ્તાઓ ઉપર ચોવીસ કલાક વાહનોની અવર-જવર હોય તેવા રસ્તાઓ ઉપર ખાડા પડી જતા વાહન ચાલકો સહિત મુસાફર જનતાને મોટી મુશ્કેલી ઊભી થાય છે. અને તેવી બાબતો માટે પ્રજા દ્વારા જાહેર રજૂઆતો પણ કરવામાં આવતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કામગીરી નહીં કરી”સબ ચલતા હૈ” ની નીતિ અપનાવી આંખ આડા કાન કરવામાં આવતા તંત્ર જાણે મોટી જાનહાનિની રાહ જોતું હોય તેવી સ્થિતિ સુખસરમાં ઝાલોદ જતા હાઇવે માર્ગ સુકી નદીના પુલ પાસે તથા આફવા જતા માર્ગ ઉપર પંચાલ ફળીયા ખાતે જોવા મળી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે આફવા રોડ ઉપર છેલ્લા એક વર્ષથી પંચાલ ફળિયાથી પસાર થતા માર્ગ ઉપર ખાડા પડી જતા પાણીનો ભરાવો થાય છે.અને જેમાં કેટલાક ટુ-વ્હીલર વાહનો સ્લીપ ખાતા વાહન ચાલકો
શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા હતા.ત્યારે વાહન ચાલકો સહિત સ્થાનિકો દ્વારા દૈનિક સમાચાર પત્રોના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ લાગતા-વળગતા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાની રીપેરીંગ કામગીરી કરવાના બદલે માત્ર કાંકરા નાખી રસ્તો રીપેરીંગ થઈ ગયો હોવાનો સંતોષ માનવામાં આવ્યો હતો.ત્યારબાદ અહીંયાથી ભારદારી વાહનો પસાર થતાં કાકરાઓ ખસી જતા ફરીથી ખાડા પડી ગયા છે.જોકે આ રસ્તાઓ સુખસરથી આફવા તરફ જાય છે અને આ રસ્તા ઉપર નીકળતા ટુ વ્હીલર વાહનો પસાર કરવા મુશ્કેલ પડે છે. તેમજ રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે.જોકે આ રસ્તા ઉપર પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ખાડા નજરે નહીં પડતા ખાસ કરીને મુસાફરો વહન કરતા થ્રી- ફોર વ્હીલર વાહનો ખાડા ઓના લીધે પલટી ખાવાની પણ શક્યતા જણાય છે.અને જેના લીધે મોટી જાનહાનિ થવાનો ભય પણ નકારી શકાય તેમ નથી.ત્યારે સુખસરના પંચાલ ફળિયા થી પસાર થતા માર્ગમાં પડેલા ખાડાઓની ડામરથી રીપેરીંગ કામગીરી કરી રસ્તાને સુધારવામાં આવે તેવી વાહન ચાલકો સહિત સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠવા પામેલ છે.
ચોવીસ કલાક એસ.ટી બસો,ખાનગી પેસેન્જર વાહનો સહિત અનેક ટુ-ફોર વ્હીલર વાહનથી ધમધમતા સુખસરથી ઝાલોદ જતા હાઇવે માર્ગ સુકી નદીના પુલની કામગીરી કરી ગત બે વર્ષ અગાઉ કરવામાં આવેલ છે.આ પુલ પાસે રસ્તાના નવીનીકરણ બાદ થોડો સમય જતા હાઇવે માર્ગ ઉપર ખાડા પડી ગયા હતા.અને આ ખાડાઓમાં જાહેર રજૂઆતો બાદ પણ કામગીરી નહીં થતા સ્થાનિકો દ્વારા માટી પુરાણ કરી વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે.જેથી તંત્ર દ્વારા સંતોષ માની લેતા વાહનચાલકો જીવના જોખમે વાહનો હંકારી રહ્યા છે.જ્યારે કેટલાક વાહન ચાલકો આ પુલ પાસે પડેલા ખાડા નજરે નહીં પડતા પોતાના કબજાના વાહનો સ્લીપ થવાના બનાવો બને છે.અને જેમાંયે ખાસ કરીને ટુ વ્હિલર વાહન ચાલકો સ્લીપ થતા શારીરિક ઈજાઓના શિકાર પણ બની રહ્યા છે.જ્યારે કોઈ પેસેન્જર વહન કરતા અજાણ્યો વાહન ચાલક હાઇવે માર્ગને ધ્યાનમાં રાખીને પોતાના કબજાનું વાહન હંકારે અને આ ખાડાઓના લીધે વાહનને અકસ્માત નડે તો મોટી જાનહાનિ થવાનો ભય સતાવી રહ્યો છે.જો કે સુખસર ગામમાં જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાની રીપેરીંગ કામગીરી કરવાના બદલે માટી પુરાણ કરી અથવા માત્ર કાંકરા પાથરી તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે.પરંતુ આ ખાડાઓના લીધે જ્યારે કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તેના માટે લાગતા-વળગતા તંત્ર સિવાય અન્ય કોઈની જવાબદારી નહીં હોય તે તંત્ર દ્વારા સમજવાની જરૂરત છે.અને આ પડેલા ખાડાઓ પ્રત્યે ધ્યાન આપી તાત્કાલિક ડામરથી રીપેરીંગ કામગીરી કરી આવનાર સમયમાં થનાર અકસ્માતને નિવારવા જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રા છોડી સજાગ બને તેવી વાહન ચાલકો સહિત સ્થાનિક પ્રજાની માંગ ઉઠવા પામેલ છે.
