
રાજેશ વસાવે :- દાહોદ
*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજાઇ બેઠક*
*આદિવાસી લોકોના વિકાસ તેમજ સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા આયોગ દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવશે – અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્ય*
દાહોદ તા. ૬
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્ય દાહોદ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુવા સંવાદ, વૃક્ષારોપણ તેમજ સિકલસેલ એનીમિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજરોજ તેમની અધ્યક્ષતામાં દાહોદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા આદિવાસી યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન ટ્રાઇબલ વિભાગ તરફથી આદિવાસી વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ જેવી કે, આદર્શ નિવાસી શાળા , સરકારી છાત્રાલય , આશ્રમશાળાઓમાં મળતી સુવિધાઓ , વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ ,ગણવેશ આપવા અંગેની વિગતો , વિદ્યા સાધના યોજના , પ્રિ મેટ્રિક યોજના , પોસ્ટ મેટ્રિક યોજના અંગેની માહિતી આયોગ સમક્ષ પીપીટી દ્વારા રજુ કરવામાં આવી હતી
આ સાથે મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના , પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, તેમજ આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમિયાન અધ્યક્ષશ્રીએ દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોની હાલની સ્થિતિ શું છે, તેમજ આદિવાસીઓ માટેના વિકાસ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકેલ યોજનાઓ આદિવાસી લોકો સુધી પહોંચી કે કેમ એ બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી આંકડાકીય માહિતી મેળવીને ચર્ચા કરવા સહિત માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે , આદિવાસીઓના વિકાસ માટે કરવામાં આવતી તમામ કામગીરી ગંભીરતાથી લઇને તમામ અધિકારીઓ સમય મર્યાદામાં પુર્ણ કરે તે જરૂરી છે. આદિવાસીઓના વિકાસ અને તેમને સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા આયોગ દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં સિકલસેલ એનીમિયાના કેસ વધારે હોવાથી સ્ક્રિનિગ વધુમાં વધુ કરવામાં આવે જેથી સિકલસેલ ધરાવતા લોકોને ઓળખી તેમની વહેલી તકે યોગ્ય સારવાર આપી શકાય.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પ્રાયોજના વહિવટદારશ્રી દેવેન્દ્રસિંહ મીણા, આયોગની ટીમ , સહિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦