
રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા મામલતદાર કચેરીના કર્મીઓની માનવતા દાખવી:એક દિવસનો પગાર સમર્પિત કર્યો..
ચીલાકોટામાં વાવાઝોડા અને આગથી પ્રભાવિત 35 પરિવારોને જીવન જરૂરિયાતની કીટ, માટલા સહિતની ચીજવસ્તુઓ આપી..
દાહોદ તા. 09
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે વાવાઝોડા બાદ લાગેલી આગની દુર્ઘટનાએ 31 મકાનો બળીને ખાખ થઈ ગયા, જેના કારણે 35 પરિવારોનું આખું ઘરવખરી, અનાજ, રોકડ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નાશ પામી. આ દુઃખદ ઘટનામાં લીમખેડા મામલતદાર કચેરીના કર્મચારીઓએ માનવતાનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મામલતદાર અનીલ વસાવાના નેતૃત્વમાં કચેરીના નાયબ મામલતદાર, ક્લાર્ક, પટાવાળા, સફાઈ કામદાર અને કોમ્પ્યુટર ઓપરેટરોએ એક દિવસનો પગાર પીડિત પરિવારોની સહાય માટે સમર્પિત કર્યો.
આ ઘટનાના દિવસથી જ મામલતદાર અનીલ વસાવા અને તેમની ટીમ પીડિતોની મદદ માટે સક્રિય થઈ ગઈ. પરિવારોને તાત્કાલિક ચા, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. વધુમાં, પીડિતોના નુકસાન થયેલા રેશનકાર્ડ અને આધારકાર્ડ તાત્કાલિક ધોરણે ફરીથી બનાવીને વિતરણ કરાયા. કર્મચારીઓએ સ્વેચ્છાએ એક દિવસનો પગાર આપીને જીવન જરૂરિયાતની કીટ તૈયાર કરી, જેમાં ચોખા, દાળ, તેલ, મરચું, મીઠું, હળદર, સાબુ અને લોટ જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રોટલા બનાવવા માટે માટીની તવી અને પાણીના સંગ્રહ માટે માટીના માટલા પણ પીડિત પરિવારોને આપવામાં આવ્યા. આ કીટ અને વસ્તુઓ પીડિત પરિવારોને સહાય તરીકે વિતરિત કરવામાં આવી.