રાજેશ વસાવે :- દાહોદ
ઘરફોડ ચોરીઃદાહોદના રળિયાતીમાં અજાણ્યા તસ્કર છતના પતરા તોડી 5.25 લાખના દાગીના-રોકડ લઈ ફરાર
રળીયાતી અર્બન બેંક સામે આવેલા મકાનમાં તસ્કર ત્રાટક્યા:સોનાં-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી,
એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
દાહોદ તા.29
દાહોદ શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરની રળીયાતી અર્બન બેંક સામે આવેલા એક મકાનમાં અજાણ્યા તસ્કરે છતના સિમેન્ટના પતરા તોડી બપોરના સમયે ઘરમાં પ્રવેશ કરી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, દાહોદ શહેરમાં રળીયાતી અર્બન બેંક સામે રહેતા મનુ બામનિયા બેલીયા સાસીના નિવાસસ્થાને અજાણ્યા તસ્કરે બપોરના સમયે મકાનની છતના સિમેન્ટના પતરા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરે લોખંડની તિજોરીને નિશાન બનાવી તેમાં મુકેલા અંદાજે રૂપિયા 2,25,786 કિંમતના સવા બે તોલાના સોનાના દાગીના, રૂપિયા 2,49,775 કિંમતના ચાંદીના દાગીના તેમજ રૂપિયા 50 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,25,561ના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હતો.ચોરીની ઘટના અંગે જાણ થતાં ઘરમાલિક મનુ બામનિયા બેલીયા સાસીએ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
