
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર: 8 ગામોમાં આગ અને ભારે તારાજી:એક બાળકીનું મોત..
કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી, 45 મિનિટ સુધી વાવાઝોડુ ચાલ્યુ : 27 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાયુ
200 જેટલા પોપટ મરણ પામ્યા, વીજ કેબલો તૂટી જતા શહેરમાં અંધારપટ..
કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી: નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ, તેમજ પૂરો કારોબારી ચેરમેન મદદ માટે રસ્તા પર આવ્યા.
દાહોદ તા.05
દાહોદ જિલ્લામાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે.દાહોદ શહેર સહિત જિલ્લામાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાયુ હતું. પ્રચંડ વાવાઝોડાની શરૂઆત થયા બાદ જિલ્લાના જુદા જુદા આઠ ગામોમાં આગની ઘટનાઓ નોંધાઈ છે.સૌથી વધુ અસર લીમખેડા ના ચીલાકોટા, અને ધાનપુરના પીપોદરા ગામમાં જોવા મળી છે જેમાં ચિલાકોટામા દસ ઘરો, દાંતીયામાં પાંચ, તથા ધાનપુરના પીપોદરા માં પાંચ ઘરો આગની લપેટમાં આવી ગયા હતા. આ ઉપરાંત, દાહોદ તાલુકાના છાપરી, ચોસાલા, વણભોરી, અને બોરખેડા તેમજ સંજેલી, લીમખેડાના ચીલાકોટા, દાંતિયા, ધાનપુરના પીપોદરા ગામમાં પણ ઘરોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે.આગ લાગવાના કારણો અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી હતી જ્યારે અન્ય સ્થળોએ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ચૂલાઓમાંથી ઉડેલા તણખા આગનું કારણ બન્યા હતા. જો કે, સત્તાવાર તપાસ બાદ જ આગના ચોક્કસ કારણો જાણી શકાશે. આગની ઘટનાઓની જાણ થતાં જ દાહોદ શહેરમાંથી તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. લાયબંબાઓના સાયરનના અવાજથી દાહોદનો સ્ટેશન રોડ ગુંજી ઉઠ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતાં.વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઘરોના છાપરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. લગભગ પોણા કલાક સુધી ચાલેલા આ વિનાશક વાવાઝોડા બાદ હળવા વરસાદી છાંટા પણ નોંધાયા હતા.આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચિંતાનું મોજું ફેલાવી દીધું હતુ. કુદરતી આફત સામે લોકો લાચાર બનેલા જોવા મળ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રચંડ વાવાઝોડા અને કમોસમી વરસાદથી દાહોદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ કેબલો તૂટી જતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે. સાથે સાથે વાવાઝોડાના પગલે 200 ઉપરાંત પોપટ મૃત્યુ પામ્યા છે. જ્યારે દર્પણ રોડ ઉપર એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ધાનપુરના રૂવાબારી ગામે એક બાળકી ઉપર ઝાડ પડતા બાળકીનું મૃત્યુ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.