
દાહોદમાં તસ્કરોનો આતંક:ગોદીરોડ પર એક અઠવાડિયામાં ત્રણ સ્થળે ચોરીની ઘટનાથી લોકો ભયભીત…
પોલીસની રાત્રિ પેટ્રોલિંગ તેમજ નેત્રમ કેમેરા હોવા છતાં ચોરીની ઘટનાઓને બિન્દાસ્તપણે અંજામ આપતા તસ્કરો..
ઘરફોડ ચોરીને ડામવી પોલીસ માટે પડકાર, સુરક્ષા માટે સોસાયટીમાં કેમેરા તેમજ બહારગામ જતા પોલીસને જાણ કરવું અનિવાર્ય બન્યું..
ચોરીની ઘટનાને દિવસો વીત્યા બાદ પણ પોલીસે ફરિયાદ ન નોંધતા આશ્ચર્ય…
દાહોદ તા.05
દાહોદ શહેરમાં ઘરફોડ તસ્કરોનો આતંક વધવા પામ્યો છે. ખાસ કરીને ગોદીરોડ વિસ્તારમાં આવેલા બંધ મકાનોને તસ્કરો બિન્દાસ્તપણે ટાર્ગેટ કરી રહ્યા છે. જેના પગલે અત્રેના રહીશોમાં ભય ફેલાવવા પામ્યું છે. ગત અઠવાડિયામાં તસ્કરોએ ગોદી રોડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને બેકોફ રીતે અંજામ આપ્યો છે. સાથે સાથે પોલીસને પણ પડકાર ફેક્યો હોય 4તેમ ચોરીની ઘટના બાદ પણ દાહોદ પોલીસ હજી સુધી તસ્કરોનો પગેરું શોધવામાં સફળ થઈ નથી. ત્યારે શહેરના દરેક વિસ્તારોમાં લાગેલા નેત્રમ કેમેરા પણ વામણા પુરવાર થયા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે પોલીસની રાત્રિ પેટ્રોલિંગ બાદ પણ જો તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપતા હોય તો પ્રજાની સુરક્ષા ઉપર સવાલ તો ઉભા થાય છે.
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલા જુના પોલીસ ચોકીની સામે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ જગદીશભાઈ અગ્રવાલ એક સામાજિક પ્રસંગમાં ઇન્દોર ખાતે હાજરી આપવા ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ બંધ મકાન નો તાળું તોડી મકાનમાં મુકેલા 4000 રોકડા, ચાંદીના સિક્કા, તેમજ ચાંદીની ત્રણ ઝાંઝર વિગેરેની ચોરી કરી ઘરનો સરસ સામાન વેરવિખેર કરી ભાગી છૂટ્યા હતા. તેવી જ રીતે બીજા બનાવમાં ગોદીરોડ પર ઉકરડી રોડ વિસ્તારમાં આવેલા નૂર મહોલ્લા ગેટ નંબર બે ની સામે આવેલા જગદીશ શર્મા ગયા બુધવારે રાત્રિના સમયે રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઓખા નાથદ્વારા ટ્રેનથી બહારગામ ગયા હતા. દરમિયાન રાત્રે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં મુકેલ 90,000 ની રોકડ, દોઢ તોલા સોનું વિગેરે મળી માલમતા પર હાથફેરો કરી ઘરનો સામાન વેર વિખેર કર્યો હતો, તેવી જ રીતે ત્રીજી ઘટનામાં ગોદીરોડના રામનગર વિસ્તારમાં આવેલા પંચાલ પરિવાર શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે બહારગામ જતા ત્યાં પણ તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. પરંતુ સદનસીબે કોઈ ખાસ કીમતી વસ્તુ આ ઘરમાંથી ચોરી થઈ નહોતી પરંતુ તસ્કરોએ ઘરનો સામાન બધો અસ્ત વ્યસ્ત કરી દીધો હતો. આ સિવાય ગોદી રોડના રંગોલી પાર્કમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આમ એક જ અઠવાડિયામાં ગોદીરોડ વિસ્તારમાં તસ્કરોએ એક પછી એક બંધ મકાનોને નિશાન બનાવ્યું હતું. ઉપરોક્ત બનાવો બાદ પણ આ મામલે પોલીસ ઘટના સ્થળે આવી વિગતો બધી કાગળ પર ઉતારી કંઈ પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા એક પ્રકારનું આશ્ચર્ય ફેલાયું છે.
*તસ્કરોની એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી: બંધ મકાનને નિશાન બનાવો,*
ઉપરોક્ત ચોરીના તમામ બનાવોમાં દરેક જગ્યાએ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. મોટાભાગના બનાવમાં જે લોકો આગલી રાત્રે મકાનને બંધ કરીને ગયા હતા. તે જ રાત્રિએ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી છે. હવે આટલી સચોટ માહિતી તસ્કરો સુધી કેવી રીતે પહોંચી.? એક મોટો સવાલ છે. તમામ બનાવોમાં તસ્કરોએ ધારદાર ઓજાર વડે તાળા તોડવાની જગ્યાએ નકુચા કાપી ચોરીની ઘટનાને અંજાર આપી છે.
*દરેક સોસાયટીના એન્ટ્રી એક્ઝિટ પણ સીસીટીવી કેમેરા લગાવો, બહારગામ જતા પોલીસને જાણ કરો.*
આમ તો સ્માર્ટ સિટી અંતર્ગત નેત્રમ કેમેરા લાગેલા છે. પરંતુ હવે દરેક સોસાયટીના એન્ટ્રી અને એક્ઝિટ પર હાઈ રિઝિલેશન ધરાવતા કેમેરા ગોઠવવા જોઈએ. સાથે સાથે જે લોકો બહારગામ જાય છે અને તેમના ઘર બંધ હોય છે. તે લોકો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને જાય. તેમના મકાન અંગેની જાણ કરીને જાય. જેથી કરીને પોલીસ બંધ મકાનો પર પેટ્રોલિંગ વધુ સારી રીતે કરી શકે..
બુધવારે ચોરી થઈ ગુરુવારે પોલીસને જાણ કરી પણ હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી: જગદીશ શર્મા
મારા ઘરે બુધવારે રાત્રે ચોરી થઈ હતી. અમે રાજસ્થાન લગ્ન પ્રસંગમાં બુધવારે ગયા હતા અને ગુરુવારે સાંજે પરત આવી ગયા હતા. દરમિયાન ચોરી થતા અમે પોલીસને જાણ કરી હતી. પોલીસે કાગળમાં વિગત નોધી હતી. આજે સોમવાર થયો હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.