Wednesday, 23/10/2024
Dark Mode

જમીનની જીવંત ફળદ્રુપ શક્તિનો માપદંડ એટલે ‘જીવદ્રવ્ય’ જમીનની ગુણવત્તા સુધારવામાં જીવદ્રવ્યનો ભાગ મહત્વનો

October 22, 2024
        227
જમીનની જીવંત ફળદ્રુપ શક્તિનો માપદંડ એટલે ‘જીવદ્રવ્ય’ જમીનની ગુણવત્તા સુધારવામાં જીવદ્રવ્યનો ભાગ મહત્વનો

રાજેશ વસાવે :- દાહોદ 

જમીનની જીવંત ફળદ્રુપ શક્તિનો માપદંડ એટલે ‘જીવદ્રવ્ય’ જમીનની ગુણવત્તા સુધારવામાં જીવદ્રવ્યનો ભાગ મહત્વનો

જમીનમાં જીવદ્રવ્યની હાજરીથી જમીન મુલાયમ,  કણાકાર અને હવાની અવર-જવર ઝડપી બને છે

જીવદ્રવ્યના લીધે જમીનની સારી સંરચના થાય છે અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે

એક દેશી ગાયના ૦૧ ગ્રામ છાણમાં ૩૦૦-૫૦૦ કરોડ સુક્ષ્મજીવાણુ હોય છે

દાહોદ તા. ૨૨

 રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. ખેડૂતોને, પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં ઝાડ-છોડ મૂળનો ખોરાક ભંડાર જીવદ્રવ્ય (હ્યુમસ)ને કહેવામાં આવે છે. જીવદ્રવ્ય એ અમૃત છે. જમીનની જીવંત ફળદ્રુપ શક્તિને માપવાના માપદંડને ‘જીવદ્રવ્ય’ કહેવામાં આવે છે. ખેડૂતો સુક્ષ્મજીવાણુ અને જીવદ્રવ્યના મહત્ત્વને સમજે તો જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ મળી શકે છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લખવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના પુસ્તકમાં જીવદ્રવ્યના પ્રાકૃતિક ખેતીમાં મહત્વ વિશે સમજાવવામાં આવ્યું છે.

      જીવદ્રવ્ય શું છે?

 જીવદ્રવ્ય એ થોડાં લાલશ અને ઘેરા કાળા રંગનો અસંખ્ય પદાર્થોથી બનેલો એક એવો સમૂહ છે, જેમાં વનસ્પતિ પદાર્થ, પ્રાણી, જીવાણું, કીટકો અને સુક્ષ્મજીવાણું આ બધા મરેલા શરીરને સુક્ષ્મજીવાણુઓથી વિઘટીત કરીને મુક્ત કરવામાં આવે છે. એના પછી જીવદ્રવ્યમાં ૫૦ થી ૬૦ ટકા કાર્બન અને ૦૬ ટકા નાઈટ્રોજન હોય છે. જેમાં કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ ૧૦:૧ હોય છે. આ પ્રમાણ સૌથી સારી ફળદ્રુપ અને ઉપજાઉ જમીનમાં રહેલું હોય છે. જ્યારે ૧૦ કિલો કાર્બનથી ૧ કિલો નાઈટ્રોજન હવામાં ભળે છે, ત્યારે જીવદ્રવ્ય બને છે. જીવદ્રવ્યનાં નિર્માણમાં વનસ્પતિઓનું મૃત શરીર અગત્યની ભૂમિકા ભજવે છે.

           કાર્બન, નાઈટ્રોજન પ્રમાણને (૧૦ : ૧) સ્થિર રાખવા માટે છાયડામાં એક અથવા બે પ્રકારના આવરણ ઢાંકવા જરુરી છે.

  જે માટે શેરડીનું ભૂસું, ઘઉંનું ભૂસુ, ચણા, મસુર, તુવેર, અડદ, મગનાં ભૂસાનું મિશ્રણ કરવાથી કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ બનાવી શકાય છે. જેથી વધારેમાં વધારે જીવદ્રવ્યનું નિર્માણ થઈ શકે. એક દળીય અને દ્વિદળીયવાળા પાકોને ઢાંકવાથી વધારેમાં વધારે જીવાણું વધે છે.

           દેશી ગાયના છાણમાં સૌથી વધારે જીવાણુનું મેળવણ (જામન) હોય છે. કેમ કે એક દેશી ગાયના ૦૧ ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુક્ષ્મજીવાણુ હોય છે. વધારે જીવાણુ હોવાને લીધે વધારેમાં વધારે જીવાણુઓના મૃત્યુ પછી તેના શરીર પ્રક્રિયાઓના અંતે સડે છે અને કાર્બન અને નાઈટ્રોજનનનું પ્રમાણ ૧૦:૦૧ હોવાથી હ્યુમસનું નિર્માણ વધારેમાં વધારે થાય છે.

જીવદ્રવ્યની અગત્યતા:

 જીવદ્રવ્યમાં સર્જન અને વિઘટન બન્ને પ્રક્રિયા એક સાથે સંળગ ચાલતી રહે છે. જીવદ્રવ્ય પાકના મૂળને ખોરાક આપતો અગત્યનો સ્રોત જ નથી પરંતુ અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓના માધ્યમથી ખોરાક આપવાવાળો સ્રોત પણ છે. જીવદ્રવ્યમાં ખોરાક તત્વોને અદલ-બદલ કરવાની અદભુત ક્ષમતા હોય છે. જમીનમાં જીવદ્રવ્યની હાજરીથી જમીન બહુ જ નરમ, મુલાયમ, કોમળ, મૃદુ, કણાકાર અને હવાની અવર-જવર કરવા વાળી બને છે. જેનાથી જમીનની સારી સંરચના હોવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે અને જમીનના જળ સ્રોતોમાં જમા થઈ જાય છે. 

   ૦૧ દિવસમાં ૦૧ કિલો જીવદ્રવ્ય હવાથી ૦૬ લીટર પાણી શોષી લે છે. હવામાં આખા વર્ષ દરમ્યાન ૩૫ થી ૯૦ ટકા સુધીનો ભેજ હોય છે. જીવદ્રવ્ય તેને હવામાંથી શોષી છોડના મૂળ અને જીવાણુઓ સુધી પહોચાડી દે છે. જીવદ્રવ્ય વાતાવરણ અને જમીનમાંથી મોટા પ્રમાણમાં જે ભેજ લે છે એ ભેજને પોતાના શરીરમાં સંગ્રહ કરે છે. 

        જીવદ્રવ્યનું શરીર સ્પંજ જેવું હોય છે જે પાણી શોષે છે અને એમનામાંથી થોડું પાણી છોડના મૂળ માટે તથા થોડું પાણી સુક્ષ્મજીવાણુઓના ઉપયોગ માટે કરે છે. જીવદ્રવ્ય માટીના કણોની સાથે પોતાને બાંધીને તેને કણોનાં સ્વરૂપમાં બદલી નાખે છે અને સાથે ચીકણા કણોની ચિકાશ પણ સમાપ્ત કરી દે છે. આ પ્રકિયાથી જીવદ્રવ્ય માટીના કણોને ગોળાકાર, કણાકાર, મુલાયમ અને હવાદાર બનાવે છે. જીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પુરતી કરે છે. જીવદ્રવ્ય સુક્ષ્મજીવાણુંઓના વિકાસ માટે જરૂરી ખોરાક, તત્વ અને ઉર્જા આપવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!