
બાબુ સોલંકી ફતેપુરા
*ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં વન્ય પ્રાણી એ ઘેટાનું મારણ કરતાં ગામમાં ભયનો માહોલ*
મકાન પાસે પશુઓના તબેલામાં બાંધેલા ઘેટાનું મારણ કરતા 15,000 નું નુકસાન પહોચ્યું હોવાનો અંદાજ.
( પ્રતિનિધિ ). સુખસર,તા.2
ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની આસપાસમાં આવેલ જંગલ વિસ્તાર ના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા અને નવીન વૃક્ષોના વાવેતર બાદ જંગલ ખાતાના જવાબદારો દ્વારા તેની માવજત કરવામાં નહીં આવતા જંગલી પશુઓ માનવ વસ્તી તરફ આવી પશુઓ સહિત માણસોને નુકસાન પહોંચાડવાના અનેક બનાવો બનતા હોવાના અહેવાલ દિન પ્રતિદિન પ્રકાશમાં આવે છે.તેવી જ રીતે ગતરાત્રિના ફતેપુરા તાલુકાના ડુંગર ગામે પશુઓના તબેલામાં બાંધેલ એક ઘેટાનું વન્ય પશુ દ્વારા મારણ કરાતાં પશુપાલક ને આશરે 15 હજાર રૂપિયા નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે ટીનાભાઇ પારગી(સામાજિક કાર્યકર) ખેતીવાડી તથા પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.અને પોતે પશુપાલન કરતા હોય તબેલો પણ ધરાવે છે.જેમાં ગાય,ભેંસ,બળદ વગેરે પશુઓ સહિત ઘેટાં-બકરાનો પણ ઉછેર કરે છે.અને રાત્રિના સમયે આ પશુઓ મકાનની નજીક આવેલ તબેલામાં બાંધે છે.તેવી જ રીતે ગતરોજ રાત્રીના તમામ પશુઓ તબેલામાં બાંધવામાં આવેલા હતા. ત્યારે રાત્રિના સમયે આ તબેલામાં કોઈ વન્ય પ્રાણી આવી ચઢતાં એક ઘેટાનું મારણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.ઘેટાનું મરણ થતાં મુકેશભાઈ ઉર્ફે ટીનાભાઇ પારગીને આશરે 15 હજાર રૂપિયાનું નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા તાલુકાનુ ડુંગર ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે.અને અહીંયા રહ્યાં સહ્યાં વૃક્ષો બચેલા છે.ત્યારે વન્ય પશુઓ જંગલ આસપાસના માનવ વસ્તી વાળા વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી ચઢતા હોય છે.અને પશુઓ તથા માણસોને નુકસાન પહોંચાડી રહ્યા છે.અગાઉ પણ વટલી તથા રેલ પૂર્વમાં દીપડો ફરતો હોવાનું અને બકરાઓનું મારણ કરી ભાગી ગયેલ હોવાના બનાવો બનેલા છે.જ્યારે હાલ ડુંગર ગામમાં વન્ય પ્રાણી દ્વારા એક ઘેટાનું મારણ કરાતાં ડુંગર ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.