દિલ્હી-મુંબઈ રૂટ પર 160 KM ની સ્પીડ ટ્રેનો ચલાવવાની રેલવેની તૈયારી  રતલામ ગોધરા સેકશન વચ્ચે OHE મોડીફીકેશનથી વધશે ટ્રેનોની ઝડપ..

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દિલ્હી-મુંબઈ રૂટ પર 160 KM ની સ્પીડ ટ્રેનો ચલાવવાની રેલવેની તૈયારી

રતલામ ગોધરા સેકશન વચ્ચે OHE મોડીફીકેશનથી વધશે ટ્રેનોની ઝડપ..

દિલ્હી-મુંબઈ વચ્ચે 5 સેક્શનમાં ચાલવાનું કામ, ટ્રાયલ શરૂ

દાહોદ તા. 11

ભારતીય રેલ્વેએ દેશના મુખ્ય દિલ્હી-મુંબઈ રૂટ પર 160 કિમી/કલાકની ઝડપે ટ્રેન દોડાવવાના મિશનની ઝડપને હવે વેગ આપ્યો છે.જેમાં ખાસ કરીને રતલામ-નાગદા સેક્શનનું કામ પૂર્ણ થવા આવ્યું છે. આવી સ્થિતિમાં હવે રેલવેએ રતલામ-ગોધરા સેક્શન પર ટ્રેનોની ઝડપ વધારવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જેમાં સૌથી મોટું કામ કેબલ એટલે કે OHE (ઓવર હેડ ઇક્વિપમેન્ટ)નું મોડિફિકેશન છે.જે ટ્રેનોને વીજળી પહોંચાડવા માટે પાટા પર નાખવામાં આવે છે.આમાં,1 x25 KV ટ્રેક્શન સિસ્ટમને 2 x 25 KV ટ્રેક્શન સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવશે,જેથી એક વિભાગમાં ચાલતી વિવિધ ટ્રેનોને સમાન પાવર સપ્લાય મળી શકશે.આ કામ માટે ટ્રેકની બંને બાજુએ લગાવવામાં આવેલા ઈલેક્ટ્રીક પોલની સાથે અન્ય સાધનો પણ બદલવામાં આવશે.એકસમાન વીજ પુરવઠા માટે સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે.સાથે સાથે રતલામ ડિવિઝનના ટ્રેક્શન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ (TRD) એ ટેન્ડર બહાર પાડ્યું છે.જે મુજબ રતલામથી ગોધરા સુધીની લગભગ 180 કિલોમીટરની OHE સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે.

*રતલામ ડિવિઝનમાં મિશન રાફતારનું કામ ચાલી રહ્યું છે.*

 રતલામ-નાગદા વિભાગના તમામ પુલને મજબૂત કરવામાં આવ્યા છે.જેના અનુસંધાને રતલામ-ગોધરામાં પણ આવું જ કરવામાં આવશે.જોકે હવે રેલ્વેએ પાંચ વળાંક ફરીથી ગોઠવ્યા છે,બાકીના સુધારાઓ ટૂંક સમયમાં શરૂ થશે. સાથે સાથે ટ્રેકની બંને બાજુએ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી રહી છે, આ કામ પણ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.તેમ હાલ જોવાઈ રહ્યું છે. તો બીજી તરફ રતલામ-નાગદાની OHE સિસ્ટમને પણ અપગ્રેડ કરવામાં આવી છે, જે હવે પૂર્ણ થતા રતલામ-ગોધરામાં કામ શરૂ થશે..

*મિશન રફ્તાર અંતર્ગત ટ્રેનોની ઝડપ વધારવાથી શું લાભો થશે.?*

 દિલ્હીથી મુંબઈની મુસાફરીમાં 13 થી 13.30 કલાકનો સમય લાગશે,જે હાલમાં તે 15 થી 15.30 કલાકનો સમય લઈ રહ્યો છે. એટલું જ નહીં મુસાફરીના સમયમાં ઘટાડાને કારણે નવા વાહનો ચલાવવામાં સરળતા રહેશે.તેમજ મુસાફરોની સંખ્યામાં વધારો થવાથી મુસાફરો અને અન્ય આવકમાં વધારો થશે.તો બીજી તરફ ગુડ્સ ટ્રેનો પણ વધુ દોડશે,જેનાથી રેલવેની આવકમાં વધારો થશે.

*દિલ્હી-મુંબઈ વચ્ચે 5 સેક્શનમાં ચાલવાનું કામ, ટ્રાયલ શરૂ.*

હાલમાં રેલવે દિલ્હી અને મુંબઈ વચ્ચે 5 સેક્શનમાં મિશન રફતાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.જેમાં દિલ્હીથી મથુરા,મથુરાથી કોટા,કોટાથી નાગદા, નાગદાથી ગોધરા અને ગોધરાથી મુંબઈ સુધીના રેલ્વે ટ્રેકનો સમાવેશ થાય છે.તેમાંથી મુંબઈ ડિવિઝનના કેટલાક ભાગોમાં ટ્રાયલ રન પણ કરવામાં આવ્યા છે.જો આ રીતે કામ ચાલુ રહેશે તો પણ 2026 સુધી ટ્રેન 160 કિમીની ઝડપે દોડી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા રેલ્વેએ રાજધાની રૂટ પર સેમી હાઈ સ્પીડ ટ્રેન ચલાવવા માટે મિશન રફ્તાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હાલમાં 1478 કિલોમીટર લાંબા રૂટ પર લગભગ 8 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સાથે સંબંધિત કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમાં રતલામ ડિવિઝન સહિત પશ્ચિમ રેલવેના અંદાજે 792 કિ.મી.ના રેલવે રૂટનો સમાવેશ થાય છે. મિશન સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલા 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર રીતે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવશે.

*દિલ્હી મુંબઈ રેલ ખંડમાં ટ્રેનોની વર્તમાન ગતિ આ છે.*

દિલ્હી-મથુરા-130

મથુરા-કોટા – 130

કોટા-નાગદા – 130

નાગદા-રતલામ -130

રતલામ-મેઘનગર – 100

મેઘનગર-લીમખેડા – 110

લીમખેડા-ગોધરા -120

ગોધરા-મુંબઈ -130

Share This Article