નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.14
દાહોદ શહેરના મંડાવાવ રોડ ઉપર નમકીનની ફેકટરીમાં અકસ્માતે શોર્ટસર્કીટના કારણે લાગેલી આગમાં ફેક્ટરીમાં મુકેલ લાખો વીજ ઉપકરણો,સહીત લાખો રૂપિયાનું સરસામાન બળીને રાખ થઇ જતા ફેક્ટરીના માલિકને લાખો રૂપિયાનું નુકશાન પહોચ્યાંનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોવિંનગર વિસ્તારના રહેવાસી અને મંડાવ રોડ પર સ્થિત કૈલાશ નમકીનના માલિક મોનુ ખંડેલવાલની ફેકટરીમાં ગતરોજ રાત્રીના સુમારે એગજ્સ્ટ ફેનમાં એકાએક શોર્ટસર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી.રાત્રીના સમયે લાગેલી આગમાં કોઈક કઈ સમજે તે પહેલા આગે જોતાજોતામાં પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું..ત્યારે આગ લાગ્યાની જાણ આસપાસના લોકોમાં થતા લોકોએ દાહોદ ફાયરફાયટરને જાણ કરાતાં અગ્નિશામક દળના લાશ્કરોએ તાબડતોડ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.જોકે આ આગના બનાવમાં નમકીનના કારખાનામાં મુકેલા સાડા પાંચ લાખ ઉપરાંતની નમકીનની પ્લાસ્ટિકની થેલીઓ, અઢી લાખ ઉપરાંતનું વેસન, સવા લાખ રૂપિયા ઉપરાંતની ખાંડની ગુણો,તૈયાર નમકીન, તેમજ યાંત્રિક ઉપકરણો સહીતનો સમાન બળીને ખાખ થઇ જતા નમકીનના માલિકને આઠ થી દસ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે.