
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત.
સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બે વાર મંજૂર થવા છતાં બિસ્માર હાલત ?
આ રસ્તા ઉપરથી દૈનિક પાંચસો ઉપરાંત રાહદારીઓ તથા વાહનચાલકો પસાર થાય છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૭
ગુજરાત રાજ્યના રસ્તાઓ સરકાર દ્વારા પૂરી પડાતી સારી સુવિધા માટે વખાણાય છે.તેમજ રાજ્યમાંથી પસાર થતા સ્ટેટ તથા નેશનલ હાઈવે માર્ગો અન્ય રાજ્યોની સરખામણીમાં સારા કહી શકાય તેવા છે.પરંતુ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ વિતવા છતાં આજ દિન સુધી રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી.તે પણ એક નિર્વિવાદ બાબત છે.જેમાં સુખસર પાસે આવેલ સુખસર થી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના જાહેર માર્ગની હાલત જોતા સરકારી તંત્રો હજી અનેક ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શક્યા ન હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પ્રત્યે સરકાર સહિત તેમના તંત્રોએ ધ્યાન આપવાની ખાસ જરૂર જણાઈ રહી છે.
જાણવા મળેલી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના સુખસરને અડીને આવેલ રાવળના વરુણા માત્ર એક થી બે કિલોમીટરના અંતરે આવેલું ગામ છે.જ્યાં રાવળના વરૂણાથી સુખસર આવવા માટે ખારી નદીના પુલ પાસેથી રાવળના વરુણા સુધી ધૂળિયો માર્ગ વર્ષોથી આવેલો છે. તેમજ આ રસ્તા ઉપરથી રાવળ ના વરુણા,નાનાબોરીદા, નાની ઢઢેલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તરફ જવા માટે સોટકટ રસ્તો છે.અને આ રસ્તા ઉપરથી દૈનિક ૫૦૦થી વધુ લોકોની અવરજવર રહે છે.તેમજ અનેક નાના વાહનો પણ અવર-જવર કરતાં હોય છે.તેમ છતાં આ રસ્તા પ્રત્યે સ્થાનિક લાગતા-વળગતા તંત્ર દ્વારા કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી.જેના લીધે ચોમાસા જેવા સમયમાં આ રસ્તા ઉપર કાદવ કીચડ થતા રાહદારીઓ તથા વાહન ચાલકો મોટી મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે આ રસ્તાને વહેલી તકે આર.સી.સી અથવા ડામર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામેલ છે.
સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ રાવળના વરણા થી સુખસર ખારી નદીના પુલ સુધીનો રસ્તો બબ્બે વાર મંજુર થયેલ હતો.પરંતુ કયા કારણોસર આ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી?તેની પણ તપાસ થવી જોઇએ.
રાવળના વરુણા ગામથી સુખસર આવવા માટે બે કિલો મીટરનો ધૂળિયો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે :- પ્રકાશભાઈ રાવળ (રાવળના વરુણા,સ્થાનિક)
અમારા રાવળના વરુણા ગામથી સુખસર આવવા માટે બે કિલો મીટરનો ધૂળિયો માર્ગ વર્ષોથી આર.સી.સી થવાની રાહ જોઇ રહ્યો છે.હાલ આ રસ્તા ઉપરથી દૈનિક ૫૦૦થી વધુ માણસો તથા વાહનચાલકો પસાર થઇ રહ્યા છે.પરંતુ ચોમાસા જેવા વખતમાં આ રસ્તા ઉપર કાદવ કીચડ વધતા અમો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે આ રસ્તાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી અમારી માંગ પ્રત્યે લાગતા- વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.