
બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન પાર્ક તથા ફાયરસેફ્ટી યોજનામાં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો બાબતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખુલાસો…
દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્પોર્ટસ કિટ તથા ફાયર સેફ્ટીના સાધનોની નિયમોનુસાર ગ્રાન્ટ ફાળવી આપેલ છે.તથા કોઈ ગેરરીતિ આચરવામાં આવેલ નથી: જિલ્લા શિક્ષણાધિકારી.
કોઈ પણ વ્યક્તિ અનઅધિકૃત રીતે ક્યા કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર પડશે:મયુર પારેખ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ.
સુખસર,તા.01
દાહોદ જિલ્લામાં વર્ષ-2021-22માં ન્યુ ગુજરાત પેટર્ન પાર્ક (TASP)તથા ફાયર સેફટી યોજનામાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખાના જવાબદારો દ્વારા કોઈપણ પ્રકારનું ટેન્ડર બહાર પાડ્યા વિના તેમના મળતીયા કોન્ટ્રાકટરને કામગીરી સોંપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવા માં આવ્યો હોવા બાબતે દાહોદ જિલ્લાના એક નાગરિક દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી તેમાં કથિત ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને રૂબરૂ મળી પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે,ધોરણ 1 થી 5 ની શાળાઓને રૂપિયા 5,000/- તથા ધોરણ 1 થી 8 ની શાળાઓને રૂપિયા 10,000/-આપેલા છે.તેમજ નવ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓમાં ફાયરસેફ્ટી એન.ઓ.સી લેવા માટે ફરજિયાત જરૂરી છે.તેની ગ્રાન્ટ પણ જે-તે શાળાને પહોંચતી કરેલ છે.તેમ શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ભ્રષ્ટાચારના આક્ષેપો સામે એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ…
જે આરટીઆઇ મુજબ કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે બાબતે દરેક શાળાઓને અમોએ અવગત કરેલ હોવા સહિત જણાવ્યું હતું કે,કોઈપણ વિક્રેતા કે કોઈ વ્યક્તિ સાથે જિલ્લા કક્ષાએથી સાઠગાંઠ થયેલ નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ આવું કોઈ અનઅધિકૃત કૃત્ય થયેલ નહીં હોવાનું સહિત આ બાબતે કોઈપણ વ્યક્તિ અનઅધિકૃત ક્યાસ કરવાની કોશિશ કરશે તો તેની સામે અમારે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂરત પડશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે,જે વ્યક્તિએ આરટીઆઈ દ્વારા માહિતીની માંગણી કરી છે તેનો વિધિવત જવાબ સમયમર્યાદામાં આપવા માટે અમોએ સમર્થ હોવાનું જણાવ્યું છે.
આમ એક બાજુ દાહોદ જિલ્લા શિક્ષણ શાખા દ્વારા રમત ગમતના સાધનો તથા સ્પોર્ટસ કિટ તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી માટે ટેન્ડર બહાર પડ્યા વિના મળતિયા કોન્ટ્રાકટરને કામગીરી સોંપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની કેફિયત રજૂ કરાઈ છે.જ્યારે બીજી બાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આવી કોઈ ગેરરીતિ થઈ નહીં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.ત્યારે તેની તટસ્થ તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેમ જણાઈ રહ્યું છે.