બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના વલુંડા ગામના 43 વર્ષીય ઇસમની હત્યા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભુવો ઝડપાયો
મૃતકની પત્નીએ પ્રેમમાં આડખીલી રૂપ બનતા પતિનો કાંટો કાઢવા મંત્ર-તંત્ર નો આશરો લીધો હતો.
મંત્ર-તંત્ર દ્વારા પતિ પાગલ નહિ થતા કે મોત નહીં નિપજતા આખરે મૃતકની પત્નીએ પોતાના સગા ભાઈ,તેના પ્રેમી તથા ભુવા સહિત એક અન્ય વ્યક્તિ નો સહકાર લઈ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.
સુખસર,તા.19
ફતેપુરા તાલુકાના વલુંડા ગામના 43 વર્ષીય વ્યક્તિની લાશ ફતેપુરા પાસે આવેલ પીપલારા નદીના પુલ નીચેથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.તેમજ પી.એમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરવામાં આવેલ હોવાનુ પ્રાથમિક તારણ બહાર આવતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝાલોદ ડીવાયએસપી, સીપીઆઇ તથા ફતેપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા હત્યામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.જેમાં ખાનગી રાહે બાતમીદારો તથા પોલીસ તપાસ દરમિયાન મૃતકની પત્નીની તટસ્થ પૂછપરછ કરતા પાપ છાપરે ચડીને પોકારે તેમ એક બાદ એક અંકોડા ઉકેલી આપ્યા હતા.ત્યારબાદ આ હત્યામાં સંડોવાયેલા મૃતકની પત્ની સહિત તેનો સગો ભાઈ,તેનો પ્રેમી તેમજ એક અન્ય વ્યક્તિ સહિત હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ફરાર ભુવાની આનંદપુરી તાલુકાના ખોબલા ગામેથી ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વલુંડા ગામે રહેતા રમણભાઇ નાથાભાઈ બરજોડ ની લાશ 2 ફેબ્રુઆરી-2022 ના રોજ ફતેપુરા પાસે આવેલા પીપલારા નદીના પુલ નીચેથી બિનવારસી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.ત્યારબાદ આ લાશનું પી.એમ કરતા મૃતકનું ગળુ દબાવી તેની હત્યા કરી હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ માટે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.તેમજ ખાનગી બાતમીદારો દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. અને તેમાં કેટલાક સુરાગ મળતા તપાસ દરમિયાન કેટલીક મળી આવેલી કડીઓના આધારે મૃતક રમણભાઈની પત્ની રેશમ બેનની તટસ્થ પૂછપરછ કરતા ગલ્લાતલ્લા કરવા લાગી હતી.અને છેવટે તે ભાગી પડી હતી.અને કરેલા કૃત્યનો એક બાદ એક અંકોડો ઓકી નાખતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.તેમાં મૃતકને પોતાની પત્ની તથા પત્નીના પ્રેમીએ પ્રેમમાં આડખીલીરૂપ બનતા પતિને મંત્ર તંત્ર દ્વારા ગાંડો કરી નાખવા અથવા તો મારી નાખવા માટે વિધિ કરાવી હતી.પરંતુ તેનાથી રમણભાઈ બરજોડને મંત્ર-તંત્રની કોઈ અસર નહી થતા આખરે વિધિના બહાને બોલાવી ઠંડે કલેજે હત્યા કરી લાશને પીપલારા નદીના પુલ નીચે ફેકી ભાગી ગયા હતા.
આ હત્યામાં સંડોવાયેલા મૃતક રમણભાઈ બરજોડની પત્ની રેશમબેન બરજોડ,રાકેશભાઈ ભીમાભાઇ દામા તેનો પ્રેમી બોરીયાભાઈ નારસિંગભાઈ પારગી રહે.ઘુઘસ તળગામ ફળિયા તથા આરોપી રેશમ બેનનો ભાઈ રાકેશભાઈ ભીમાભાઇ દામા રહે ડુંગરા તેમજ ઘુઘસના ચીમનભાઈ સવજીભાઈ બારીયાની ફતેપુરા પોલીસે ધરપકડ કરી હતી.જ્યારે આ હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભુવો હરિચંદ્ર કાંતિલાલ પારગી રહે. ઓબલા,તાલુકો.આનંદપુરી,જિલ્લો બાંસવાડાનો ફરાર થઈ ગયો હતો.જેને ફતેપુરા પોલીસે આજરોજ ધરપકડ કરી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે.