બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના મનસ્વી વહીવટથી તૂટતાં ગામડાં: વહીવટીતંત્રોની સજાગતા આવશ્યક.
સરકારની વિવિધ યોજનાઓ ગામડાના ભોળા લોકો સુધી પહોંચતી નહીં હોવાનો આક્ષેપ.
ગ્રામ્ય વિસ્તારોના ભોળા લોકોના ભુલકણા કાનથી સાંભળતી વિવિધ યોજનાઓ તેમના મજબુત હાથોમાં ગલગલિયા કરાવે છે.પરંતુ સ્થાનિક જગ્યાએ આયોજનનો અભાવ.
ગ્રામ સભા વર્ષમાં ચાર વાર ઓછામાં ઓછા 50 સભ્યોની હાજરીમાં ભરવાની હોય છે.
સુખસર,તા.04
રાજ્ય તથા કેન્દ્ર સરકાર ગામડાઓના વિકાસ માટે અબજો રૂપિયા ખર્ચ કરી ચૂકી હોવા છતાં તૂટતા ગામડાઓને બચાવી શકી નથી. સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોના ભૂલકણા કાનથી સાંભળતા તેમના મજબુત હાથોમાં ગલગલિયાં કરાવે છે.પરંતુ આ યોજનાઓ પૈકી કેટલીક યોજનાઓ કેટલાક સ્થાનિક જવાબદારોની હોશિયારીના કારણે કેટલાક આયોજનો સરકારી ચોપડા પૂરતા મર્યાદિત બની રહે છે.જોકે ગ્રામ્ય વિસ્તારની કોઈપણ યોજનાનો જે-તે ગામ માટે સરકારના આયોજન મુજબ પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો છે,તેવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેવી પારદર્શકતાનો અભાવ છે.
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં જાગૃતિએ પગરવ માંડતાં પરિવર્તન ઝંખે છે.અને ગ્રામ્ય વિસ્તારોને પ્રાધાન્ય મળે તેમ પ્રજા ઈચ્છે છે.ગત દાયકાઓથી પ્રજાલક્ષી કાર્યો માત્ર કાગળ ઉપર બતાવીને પ્રજાને અંધારામાં રાખવામાં આવતી હતી.પરંતુ ગ્રામસભાના આયોજન દ્વારા ગામના વિકાસમાં ગ્રામ પંચાયત દ્વારા થતી વિકાસકાર્યોથી લોકો વાકેફ બની રહ્યા છે.જો કે હજી પણ અનેક ગ્રામ પંચાયતો ગ્રામસભાઓ ભરવા તરફ દુર્લક્ષ સેવે છે.પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં ગ્રામ સભા એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મોટી મૂળભૂત સુવિધા છે. પરંતુ પોતાના વહીવટની ગેરરીતિઓ જાહેર જનતા સુધી પહોંચી ન જાય તે માટે સત્તાલોલુપ કેટલાક સરપંચો તથા તલાટીઓ માત્ર કાગળ ઉપર જ ગ્રામસભાનું આયોજન કરી દેતા હોય છે.આમ પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં મુળભુત પ્રમાણનો વ્યાપક રીતે ભંગ થતો હોય છે.જેથી માત્ર કાગળ ઉપર ગ્રામસભાઓ ભરી ગ્રામ્ય પ્રજાને ઉલ્લુ બનાવતા ગ્રામ પંચાયત સત્તાધીશો સામે કાયદેસર કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા જોઇએ.
ગ્રામ પંચાયતની સભામાં ગામનો દરેક નાગરિક સભ્ય છે.અને ગામના વિકાસ અને સમસ્યાનો પ્રશ્ન પૂછવાનો તેને બંધારણીય હક છે.અને ગ્રામ પંચાયત સત્તાધીશો તેનો જવાબ આપવા બંધાયેલા હોય છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, મોટાભાગના તલાટી કમ-મંત્રીઓને એકથી વધુ પંચાયતોનો ચાર્જ સંભાળતા હોય પ્રજાના સમયસર કામો થતા નહીં હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામે છે.અને લોકોને સામાન્ય દાખલા જેવી બાબત માટે સમય અને નાણાનો વ્યય કરી અઠવાડિયાઓ સુધી ધરમ ધક્કા ખાવા પડતા હોય છે. જ્યારે ગ્રામ સેવકો તો જાણે સરકારનું છુપુ ઘરેણું હોય તેમ ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના દર્શન દુર્લભ થઈ પડતા હોય છે.ઉપરોક્ત બાબતે તાલુકા- જિલ્લા તથા રાજ્ય સત્તાધીશો ધ્યાન આપી તપાસ હાથ ધરે તો ગ્રામ્ય વિસ્તારના પ્રજાને અનેક સળગતા પ્રશ્નો હલ થઇ શકે તેમ છે.
*ગ્રામસભામાં ઓછામાં ઓછા 50 સભ્યોની હાજરી અનિવાર્ય હોય છે*
પંચાયતોની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામ સભા એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટેની મૂળભૂત સુવિધા છે.ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ-4 પ્રમાણે દરેક ગ્રામ પંચાયતોને વર્ષમાં ચારવાર ફરજિયાત ગ્રામસભા ભરવાની હોય છે.જેમાં પ્રથમ ગ્રામસભા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે,બીજી ગ્રામ સભા 1લી મેં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે,ત્રીજી ગ્રામસભા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વે ભરવાની હોય છે.અને ચોથી અને વર્ષની છેલ્લી ગ્રામ સભા 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ભરવાની જોગવાઈ છે.તેમજ ગ્રામ સભામાં ઓછામાં ઓછા 50 સભ્યોની હાજરી અનિવાર્ય છે.જો હાજરી પૂરી થતી ન હોય તો થોડા સમય પછી તેજ દિવસે પુનઃ ગ્રામ પંચાયત સભા યોજવાની હોય છે.જોકે ગ્રામસભામાં તકરાર નિવારણના તમામ હક્કો ગ્રામ સભા અધ્યક્ષને હોય છે.અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે.