
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં વન્યપ્રાણી દીપડાનો આતંક: દીપડાએ વડવા ઝરી બુઝર્ગ,બાદ અભલોડમાં ઘરના આંગણે બાંધેલા બકરાનું મારણ કર્યું..
રાત્રિ દરમિયાન દીપડાએ બકરાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ..
ગરબાડા રેન્જમાં 10 થી વધુ દીપડાઓનું આશ્રય સ્થાન :- વનવિભાગ
ગરબાડા પંથકમાં તાજેતરમાં વડવા, ઝરી બુઝર્ગ, બાદ અભલોડમાં દીપડો દેખાયો:વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાના પ્રયાસો હાથ ધર્યા
ગરબાડા તાં.02
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વન્ય પ્રાણી દિપડાઓના હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ગરબાડા પંથકના જુદા-જુદા ગામોમાં શિકારની શોધમાં માનવ વસાહતમાં આવી ચડેલા દીપડાએ મૂંગા પશુઓનો શિકાર કરતા આસપાસના ગામોમાં દીપડાના હુમલાના પગલે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દીપડાના હુમલા થી ભયભીત બનેલા ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરી પાંજરો મૂકવાની માંગણી પણ કરવામાં આવી છે.
અફાટ વનરાજી ધરાવતા દાહોદ જિલ્લામાં વન્યપ્રાણી દીપડા સહિત અનેક પશુઓનો આશ્રય સ્થાન
બે રાજ્યોની સરહદે આવેલો દાહોદ જિલ્લો અફાટ વનરાજી થી ઘેરાયેલો છે. દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ તેમજ છોટાઉદેપુર સુધી ગીચ જંગલ વિસ્તાર તેમજ રતન મહાલ અભ્યારણ હોવાના કારણે આ વનરાજીમાં વન્ય પ્રાણી દીપડો, રીંછ, ઝરખ, નીલ ગાય સહીતના પશુઓ વસવાટ કરે છે. બદલાતા સમયના વહેણમાં સિમેન્ટ કોંક્રેટના જંગલો ઉભા થતા વનમાં વસવાટ કરતાં હિંસક પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી શિકાર કરવાનાં બનાવો ભૂતકાળમાં બનેલા છે. શિકારની શોધમાં આવતા દીપડા ઘણી વખત માનવ વસ્તીમાં પ્રવેશી મૂંગા પશુઓ, તેમજ માનવ જાતના હુમલાઓ વધવા પામ્યા છે.તાજેતરમાં ગરબાડા પંથકમાં વન્ય પ્રાણી દીપડાઓના બનાવોમાં વધારો જોવા મળ્યું છે. ગરબાડા પંથકમાં થોડા દિવસ પહેલા જ વડવા તેમજ ઝરીબુઝર્ગ,ગામોમાં દીપડાના હુમલાના બનાવો નોંધાયા છે. જેમાં વન્યપ્રાણી દીપડાએ મૂંગા પશુઓનો શિકાર કરતા ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે પાંજરા મુકવાની માંગણી કરતા વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતાં. અને દીપડા પણ પાંજરે પુરાઈ ગયા હતા.
ગરબાડા રેન્જમાં 10 થી વધુ દિપડાઓ વસવાટ કરતા હોવાનું જણાવતું વન વિભાગ: અભલોડમાં ઘરના આંગણે બાંધેલા બકરાઓનું મારાણ કર્યું.
વન વિભાગના સર્વે મુજબ એકલા ગરબાડા રેન્જમાં 10 થી વધારે દિપડાઓનું આશ્રય સ્થાન હોવાનું નોંધાવા પામી છે.પરંતુ બદલાતા સમયના વેણમાં આ સંખ્યામાં વધારો પણ થયો છે. ત્યારે ગઈકાલે જ ગરબાડા તાલુકાના અભલોડ ગામના ખોબરા ફળિયામાં દરમિયાન દીપડાનો આતંક જોવા મળ્યો હતો.જેમાં રાત્રી દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાએ ઘરના આંગણામાં બાંધેલા બકરાઓનું મારણ કરવા આવેલ દીપડાને ઘર માલિક કે જોતા દીપડો બકરું લઈને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ દિપડો બકરું લઈને નાસતા ઘર માલિક દ્વારા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને દીપડાને પાછળ દોડતા દીપડો બકરાનું મારણ કરીને નાસી છૂટ્યો હતો.ત્યારબાદ પુનઃ સવારના સમયે દીપડો ફરીવાર જોવા મળતા આજુબાજુમાં ના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ તાલુકા સભ્ય મયુર ભાભોર ને થતા તેઓ પણ ઘટના દોડી આવ્યા હતા.અને મયુરભાઈ ભાભોર દ્વારા વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી.
વન વિભાગ દ્વારા દીપડાને ઝબ્બે કરવા પાંજરો મૂકવાની માંગ:
જેમાં વન વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.જોકે આંબલી ફળિયામાં દીપડો જોવા મળ્યો હતો ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.અને રાત્રે ખોબરા ફળિયા ખાતે પણ પાંજરું મૂકવામાં આવશે તેમ જણાવ્યું એને જે દીપડો છે એ 10 કિલોમીટરના એરિયામાં શીકાર કરે છે જેને પકડવા માટે વન વિભાગની ટીમ કામે લાગેલી છે અત્રે ઉલ્લેખેનિય છે કે દિપડા દ્વારા ત્રણ દિવસ અગાઉ ખેડા ફળિયામાં પણ કૂતરાનું મારણ કર્યું હતું.વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.