
રિપોર્ટર :- બાબુ સોલંકી /શબ્બીર સુનેલવાલ
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે સગીર વયની કિશોરી સાથે બાળ લગ્ન થતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા રોક લગાવ્યો.
જુવેનાઈઝ જસ્ટીસ એક્ટ 2015 સુધારા અધિનિયમ 2021 મુજબ સગીરાના શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ કુટુંબમાં પુનઃસ્થાપન કરવા આદેશ કરાયો.
સુખસર,તા.21
દાહોદ જીલ્લા માં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ દાહોદ લાઇવ સહિત જાહેર સમાચાર પત્રોમાં બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવેલ હતું.તેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં સંભવિત બાળ લગ્ન અંગે જાણ કરેલ.બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીનાં માર્ગદર્શન અને સુચનાથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા ફતેપુરા પી. એસ. આઈ.શ્રી જી.કે.ભરવાડ અને તેમની ટીમે એક બીજા નાં સહયોગથી સ્થળ મુલાકાત કરી સંભવિત બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ભાવરા ગામના રહેવાસી વિજયભાઈ વલ્લભભાઈ કરકર ફતેપુરા તાલુકાના પાટવેલ ગામની સગીર કન્યા સાથે સંભવિત બાળ લગ્ન માટે આવવાના હતા.સગીર કન્યાની જાન સંભવિત લગ્નના સ્થળે પહોંચે તે પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમે સ્થળ ઉપરથી સગીર કન્યાના પિતા અને માતાનો સંપર્ક કરી સદર બાળકીના ઉંમરના પુરાવા અંગે પૃચ્છા કરેલ.ઉમરના પુરાવા ચકાસતા બાળકી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ સગીર વયની છે.તેવું જાણવા મળેલ.ટીમ દ્વારા તાત્કાલિક બાળકીનું રેસ્ક્યુ કરી અને તેના માતા પિતાની અટક કરી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ આવેલા.સગીર બાળકીનાં વાલી વિરુદ્ધ બાળ લગ્ન અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવેલ.બાળકીનું રેસ્કયું કરી બાળકીને બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રભાઈ સોની સમક્ષ રજુ કરવાની તજવીજ પૂર્ણ કરવામાં આવી હતી.અને જુવેનાઈઝ જસ્ટીસ એક્ટ 2015 સુધારા અધિનિયમ 2021 મુજબ બાળકનાં શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ બાળકીને કુટુંબમાં પુનઃસ્થાપન કરેલ હોવાનું જાણવા મળે છે.