સૌરભ ગેલોત
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૬મી એપ્રિલના રોજ અનિલકુમાર સરદારસિંહ ચૌહાણ (રહે. પીપોદરા, ચૌહાણ ફળિયુ, તા.ધાનપુર, જિ.દાહોદ) ના પોતાના કબજાની મોટરસાઈકલ લઈ આગાસવાણી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અનિલકુમારની મોટરસાઈકલને અડફેટમાં લેતાં અનીલકુમાર મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે પીપોદરા ગામે ચૌહાણ ફળિયામાં રહેતાં સરદારભાઈ છગનભાઈ ચૌહાણે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.