ધાનપુરના મહુનાળા ગામે એમજીવીસીએલ ની ડીપી પર કામ કરતા ઈલેક્ટ્રીશીયનનું વીજ કરંટ લાગતા મોત,
ધાનપૂર તા ૩૦
દાહોદ જિલ્લાના ધાનપુરના મહુનાળા ગામે એક ઈલેક્ટ્રિશિયન ઈલેક્ટ્રીક ડીપી પર કામ કરતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થતાં ઈલેક્ટ્રિશિયનને વીજ કરંટ લાગ્યો હતો.જેને પગલે તેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવાતા સારવાર દરમિયાન ઇલેક્ટ્રિશિયનનું મોત નીપજ્યું હતું.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મછેલાઈ ગામે વડેલીયા ફળિયામાં રહેતા 28 વર્ષીય રાજેશકુમાર રમણભાઈ પટેલિયા જેવો ઇલેક્ટ્રીશન હોય મજૂરી કામ માટે ધાનપુર તાલુકાના મહુનાળા ગામે ગયા હતા, જ્યાં ઇલેક્ટ્રીક ડીપી પર કામ કરતી વખતે કોઈ અગમ્ય કારણોસર ડીપીમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેને પગલે રાજેશ કુમારને શરીરે વીજ કરંટ લાગ્યો હતો. જેથી રાજેશ કુમારને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાજેશકુમારનું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે રમણભાઈ કાળુભાઈ પટેલિયાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.