ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે દે.બારિયા વિધાનસભા બેઠક પર રાજકીય ભૂકંપ..
એનસીપીના ઉમેદવાર ગોપસીંગ લવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર
એનસીપીના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ..
ફોર્મ પરત લીધા બાદ બાદ ગોપસીંગ લવાર અંડર ગ્રાઉન્ડ થયા..
દાહોદ તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિધાનસભા બેઠકો પર સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. તેવા સમયે દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી. ત્યારે ગુજરાતની રાજનીતિમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 134 દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર એનસીપી કોંગ્રેસના ગઠબંધન હેઠળ જાહેર કરાયેલા એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે એનસીપીના ઉમેદવાર ગોપસીંગ લવારે આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે પોતાની ઉમેદવારી પરત લેતા દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર હવે નવા વળાંક આવ્યો છે. સાથે સાથે હવે વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થશે. તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.
મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કોળી પટેલ ના પ્રભુત્વ ધરાવતી દેવગઢ બારીયા 134 વિધાનસભાની ઓબીસી બેઠક ઉપર કોંગ્રેસ એનસીપીના ગઠબંધન થયું હતું. જેમાં એનસીપીએ ઉમેદવાર તરીકે ગોપસિંગ કેસરસિંગ લવારને એનસીપીના ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા હતા.અને તેમને ટિકિટ ફાળવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે NCP દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ગોપસિંગ લવાર 1995 થી ભાજપના સક્રિય કાર્યકરથી લઈ પાર્ટીના અનેક હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. અને હાલ માં પણ તેઓ ભાજપના સંગઠનના હોદ્દા ઉપર હોવા છતાં પણ એનસીપીએ તેનો ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ગોપસિંગે મોટી જનમેદની સાથે ઉમેદવારી નોંધાવતા દેવગઢબારિયા 134 વિધાનસભા બેઠક ભાજપ, NCP તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપંખીયો જંગ જામશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે આ તમામ સમીકરણોની વચ્ચે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ગોપસિગ લવારે અચાનક એનસીપીના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે બીજી તરફ આ ગોપસિગ લવારે ફોર્મ ખેંચીને અંડરગ્રાઉન્ડ થઈ જતા તે કોઈના સમર્થનમાં કે પછી કોઈના ધાક ધમકી કે દબાણમાં કે પછી
સ્વેચ્છિક રાજીનામું આપ્યું તે હાલ કહી શકાય તેમ નથી. જોકે હવે એનસીપીના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતા દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર નવા સમીકરણો રચાયા છે જે અંતર્ગત હવે આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થશે. તેમાં કોઈ બે મત નથી..