
સુમિત વણઝારા
ચોમાસામાં વરસાદ ખેંચાતા દેડકા દેડકીના લગ્ન કરાવવા ની અનોખી પ્રથા..!!
વરસાદ સારો થાય એ માટે ગ્રામીણ સમાજમાં અનેક માન્યતાઓ અને વિધીઓ..
દાહોદ તા.22
ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી સારા ચોમાસાનું ખૂબ મહત્વ છે . સિંચાઇ માટે બોર , કુવા અને નહેરની સુવિધા હોયતો પણ ચોમાસાના વરસાદ વિના ખેતીનો બેડો પાર થતો નથી . વરસાદ સારો થાય એ માટે ગ્રામીણ સમાજમાં અનેક માન્યતાઓ અને વિધીઓ જોવા મળે છે . લોકો વરસાદના વરતારા માટે સદીઓ જુની પધ્ધતિ અપનાવે છે . ધાર્મિક અનુષ્ઠાનો અને વ્રત તપ પણ કરતા થતા જોવા મળે છે પરંતુ વરસાદ માટે દેડકા અને દેડકીના લગ્ન કરવાની પરંપરા મધ્યપ્રદેશ અને આસામના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે . અસમ ઉપરાંત ત્રિપુરામાં દેડકા – દેડકીના લગ્નથી ઇન્દ્ર રાજા ખૂશ થાય છે એવી માન્યતા છે .લોકો જયારે ઇન્દ્રદેવને વરસાદ આપવા વિનંતી કરી ત્યારે ખુદ ઇન્દ્ર દેવે આ વિધી કહી હોવાની માન્યતા છે . અસમી ભાષામાં તેને બેખુલી બ્યાહ કહેવામાં આવે છે . બેખૂલીનો મતલબ દેડકો અને બ્યાહ એટલે લગ્ન . વરસાદની સિઝનમાં જ નર માંદા દેડકીનું મિલન થાય છે . દેડકો પ્રસન્ન થઇને ઇન્દ્રરાજાને વરસાદની વિનંતી કરે એ પછી જ વરસાદનું આગમન થાય છે . આ એક એવા લગ્નમાં પરંપરા મુજબ દેડકા અને દેડકીને નવડાવવામાં આવે છે . લગ્નવિધી સમયે દેડકા -દેડકી પર લાલ રંગનું કપડુ ઓઢાડવામાં આવે છે જે તેના વિવાહનું પ્રતિક ગણાય છે . માદા દેડકાના ગળામાં હાર પણ પહેરાવવામાં આવે છે . બ્રાહ્મણ દ્વારા દેડકા દેડકીના લગ્નની વિધી અને સમગ્ર કાર્યક્રમ ૩ થી ૪ કલાક સુધી ચાલે છે . લગ્ન થયા પછી આ નવ વિવાહિત જોડાને પાણીમાં છોડવામાં આવે ત્યારે મહિલાઓ મંગલ ગીતો ગાય છે.લોકો હર્ષોલ્લાસથી એક બીજાને અભિનંદન આપે છે . લોકો રાત્રે ભોજન સમારંભ , લોકસંગીત અને નૃત્યનો આનંદ માણે છે.દેડકા દેડકીના લગ્નમાં આબાલ વૃદ્ધ સૌ ભાગ લે છે ને સૌ ભેગા મળીને અનોખા લગ્નનો ખર્ચ ઉઠાવે છે . ||