
સુમિત વણઝારા
ખેડા-આણંદમાં ચોરીના 8 ગુનામાં વોન્ટેડ છરછોડાનો રતન ઝડપાયો
નડીયાદમાં 1-1, વિદ્યાનગર, ભાદરણમાં 2-2 ગુનામાં વોન્ટેડ હતો
દાહોદ એસ.પી. બલરામ મીણાએ જીલ્લામા ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ- ઝડપી પાડવા માટે ડ્રાઇવનુ આયોજન કરી તેની અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પીઆઇ બી.ડી.શાહને સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને એલસીબી પીઆઇ બી.ડી.શાહ તથા પીએસઆઇ એમ.એફ. ડામોર, પીએસઆઇ એન.એન. પરમાર અને સ્ટાફ જિલ્લામા ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરી તેઓને ઝડપવા માટે પ્લાન બનાવી ડ્રાઇવની કામગીરીમાં હતા. તે દરમિયાન બુધવારના રોજ એલ.સી.બી.ની ટીમ જેસાવાડા વિસ્તારમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઇવમા નીકળી હતી.
તે દરમિયાન ખેડા જિલ્લા તેમજ આણંદ જિલ્લાના ઘરફોડ ચોરીના ગુનાઓમા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ગરબાડા તાલુકાના છરછોડાનો રતના નારસિંગ ભાભોર તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેડા જિલ્લાના નડીયાદ પશ્વિમ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલો આરોપી સામે નડીયાદ પશ્ચિમમાં અને રૂરલમાં 1-1, નડીયાદ ટાઉન, વિદ્યાનગર, ભાદરણ પોલીસમાં 2-2 ગુના મળી કુલ 8 ગુના નોંધાયેલા છે.