
યુક્રેનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા દાહોદના ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા:પરિવારજનો ચિંતિત
પ્રાંત અધિકારી, ડીવાયએસપી દાહોદ તેમજ દાહોદ ટાઉન પોલીસ મથકની ટીમ બાળકો ના ઘરે પહોંચી: માતા-પિતા તેમજ પરિવારજનોને સાંત્વના આપી..
યુક્રેનમાં ફસાયેલા ત્રણ યુવકોને પરત લાવવા તંત્ર દ્વારા માહિતી એકઠી કરી..
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાંથી યુક્રેન અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી ૦૩ વિદ્યાર્થી હાલ પણ યુક્રેનમાં ફસાયેલા છે જેને અનુસંધાન દાહોદ પ્રાંત અધિકારી, ડિવાયએસપી અને દાહોદ શહેર પોલીસ મથકના પી.આઈ.ની ટીમ આજે ૦૩ વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓના બાળકોને લાવવાની સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી તેઓને સાત્વના પાઠવી હતી.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાંથી કુલ ૧૦ વિદ્યાર્થી યુક્રેન એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા માટે ગયાં હતાં. હાલ યુક્રેન અને રશીયા વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી છેડાયેલ યુધ્ધને પગલે સૌ કોઈ ચિંતિત છે. યુક્રેનમાં પરિસ્થિતિ ખુબજ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકો અને ખાસ કરીને ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ વતન આવવા માટે રવાના થઈ રહ્યાં છે અને રસ્તામાં ઘણા ઠેકાણે વિદ્યાર્થીઓ ફસાઈ પણ ગયાં છે. ખાસ કરીને દાહોદ શહેરના ૧૦ વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયાં હતાં જે પૈકી ૦૩ વિદ્યાર્થીઓ હાલ પમ યુક્રેનમાં ફસાયાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આજરોજ દાહોદ પ્રાત અધિકારી, ડિવાયએસપી અને દાહોદ શહેર પોલીસ મથકના પી.આઈ. ની ટીમ દાહોદ શહેરમાં આવેલ ૦૩ વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓના બાળકો હાલ ક્યાં છે અને કંઈ પરિસ્થિતીમાં છે , કંઈ જગ્યાએ રોકાયેલ છે વિગેરે માહિતી પરિવારજનો પાસેથી મેળવી ફોર્મેટમાં ભરી મેળવી લીધેલ છે અને પરિવારજનોને સાત્વના પાઠવવામાં આવી છે. સરકાર દ્વારા આ માટે વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે તેમ જણાવ્યું હતું