
રાજેશ વસાવે :- દાહોદ
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદથી રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત – લોકાર્પણ*
*દાહોદમાં નિર્મિત આધુનિક રેલ્વે એન્જીન ડી – ૯ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી*
– *વડાપ્રધાનશ્રી*-
*દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી એ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે*
*આજે ભારતના રેલવે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે*
*૧૪૦ કરોડ ભારતીયોએ સાથે મળી વિકાસશીલ ભારત માટે કમર કસી છે, આત્મનિર્ભર બનવું જરૂરી છે*
*દેશમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્થાન અભિયાન હેઠળ ૬૦ હજારથી વધુ ગામોમાં વીજળી, પાણી, રસ્તા અને શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે*
*ગુજરાત આજે શિક્ષણ, આઈટી, સેમીકન્ડક્ટર, ટુરિઝમ જેવા તમામ ક્ષેત્રોમાં આગળ છે, લાખો યુવાઓને રોજગારની તક મળી*
*ઓપરેશન સિંદુર એ ભારતની ભાવના અને અભિવ્યક્તિનું પ્રતિક*
– *મુખ્યમંત્રીશ્રી* –
*વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂરથી આંતકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નિયત કર્યા છે*
*વડાપ્રધાનશ્રી દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે*
*વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ કાર્યસંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે*
દાહોદ તા. ૨૬
આદિવાસી સમાજના ઉત્થાન પર ભાર મૂકતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. એકલવ્ય મોડેલ સ્કૂલો, આઈટીઆઈ, મેડિકલ કોલેજો અને ટ્રાઇબલ યુનિવર્સિટીઓની સ્થાપનાથી આદિવાસી યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસની નવી તકો મળી છે. પીએમ જનમન યોજના દ્વારા આદિવાસી સમાજના સૌથી પછાત વર્ગો માટે ઘર, શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે.
વડાપ્રધાનશ્રીએ સિકલ સેલ એનિમિયા જેવા રોગો સામે લડવા માટે ચાલી રહેલા મિશન મોડના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આ યોજના હેઠળ લાખો આદિવાસી ભાઈ-બહેનોનું સ્ક્રીનિંગ અને સારવાર કરવામાં આવી રહી છે. દેશના ૧૦૦ પછાત જિલ્લાઓ પૈકી દાહોદ જેવા આદિવાસી જિલ્લાના વિકાસ માટે સરકારે વ્યાપક આયોજન કર્યું છે. દેશમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્થાન અભિયાન હેઠળ ૬૦ હજારથી વધુ ગામોમાં વીજળી, પાણી, રસ્તા અને શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
વડાપ્રધાનશ્રીએ દેશની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મૂકી ભારતના સંસ્કારો અને ભાવનાઓની અભિવ્યક્તિ રૂપ ‘ઓપરેશન સિંદુંર’નો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી, જે ૧૪૦ કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે જણાવ્યું કે ભારત આતંકવાદનો જવાબ ચૂપ રહીને નહીં, પરંતુ કડક પગલાં લઈને આપે છે. આ ઓપરેશન એ દેશની સેનાઓના શૌર્ય અને નિર્ણાયકતાનું પ્રમાણ છે.
શ્રી મોદીએ કહ્યું કે, મારા માટે તો આદિવાસી સમાજ એ મારી સેવા યાત્રાનો મજબૂત આધાર રહ્યું છે. દાહોદથી લઇને સમગ્ર પૂર્વ ગુજરાતમાં મેં સેવાકાર્ય કર્યું છે. આજે દાહોદ સમૃદ્ધ બન્યું છે એ જોઈને મને ગર્વ થાય છે. દાહોદની આ ધરતી, ત્યાગ અને બલિદાનની ધરતી છે. મહર્ષિ દધીચિએ આ ધરતી પર દેહાહુતિ આપી સૃષ્ટિની રક્ષા માટે તપ કર્યું હતું. તાત્યા ટોપે હોય કે માનગઢ ધામના શહિદો, આ ધરતીને ભારત માતાના સંતાનોના બલિદાને પવિત્ર બનાવી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપરેશન સિંદુર બદલ વડાપ્રધાનશ્રી અને સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂરથી આંતકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નિયત કર્યા છે. હવે આંતકનો જવાબ ત્વરિત સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે તેવો નિર્દેશ તેમણે આપ્યો છે. તેઓ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના આદિવાસી વિસ્તારોમાં રોડ, રેલ્વે, એરપોર્ટ જેવી કનેક્ટિવિટીની જેવી સુવિધાઓમાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ખર્ચમાં પણ છ ગણો વધારો થયો છે. પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળી જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યા છે.
વડાપ્રધાનશ્રીએ તેમના સમગ્ર સુશાસનમાં ગરીબ વંચિત આદિજાતિ અને છેવાડાના માનવીના કલ્યાણ અને વિકાસને કેન્દ્રમાં રાખ્યા છે. દાહોદમાં આધુનિક રેલ્વે પ્રોડક્શન વર્કશોપ યુનિટ સહિત આદિજાતિ વિસ્તારો મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને કુલ રૂ. ૨૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની ભેટ મળી તે આ દિશામાં વધુ એક કદમ છે. તેમ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના અનેક લાભ મળે છે તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે સાબરમતી – બોટાદ રેલવે લાઈનના વિદ્યુતકરણ સાથે ગુજરાતમાં સો ટકા રેલ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કાર્ય પૂર્ણ થયું છે, એ ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત છે.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ આજે 9000 હોર્સપાવરનું પ્રથમ ઇલેક્ટ્રીક લોકોમેટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે તે બાબત એ સૂચવે છે કે, જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એના લોકાર્પણ પણ આપણે કરીએ છે. વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ કાર્યસંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.
તેમણે જણાવ્યું કે, પીએમ ગતિ શક્તિની સંકલ્પના સાકાર કરતાં કનેક્ટિવિટીના અનેક વિવિધ કામોના આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તથી રાજ્યમાં રોડ નેટવર્ક વિસ્તરણ અને મજબૂતીકરણથી કનેક્ટિવિટી સંગીન બનાવવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. આપણે આ વર્ષના બજેટમાં રાજ્યમાં 12 નવા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે રૂ. ૧૦૩૨ કરોડ ફાળવ્યા છે. દાહોદ, મહીસાગર, પંચમહાલ, અને છોટાઉદેપુરને પણ આ કોરિડોરનો લાભ મળશે. આદિવાસી વિસ્તારના ગામોમાં રોડ રસ્તા સહિત પાણી પુરવઠાનું પણ મજબૂત નેટવર્ક ઊભું થયું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારના ગામોમાં સરફેસ આધારિત પાણી પુરવઠા યોજનાઓનો લાભ મળ્યો છે. દુર્ગમ આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મુશ્કેલ હતું, ત્યાં ઉદવહન યોજનાઓથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ માટે આદિજાતિ વિસ્તારમાં રૂ. ૬૦૭૬ કરોડની ૨૦ જેટલી મોટી ઉદવાહન યોજનાઓ હાથ ધરવામાં આવી છે. એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી પટેલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે, ૨૦૦૭માં આદિજાતિ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજનાની ભેટ આપી હતી આઝાદી પછી દેશના ઇતિહાસમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટેની આવી ઐતિહાસિક યોજના શ્રી નરેન્દ્રભાઈએ તે સમયે શરૂ કરાવીને આ આદિજાતિ વિકાસના દ્વાર ખોલી આપ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વન બંધુ કલ્યાણ યોજના પેકેજ ટુ અંતર્ગત રૂ. એક લાખ કરોડ વનબંધુ વિકાસ માટે ફાળવ્યા છે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો રાજ્ય સરકારે ધ્યેય રાખ્યો છે. આ વિકાસ કામોની ભેટ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટેનું ચાલકબળ બનશે, એવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દાહોદ ખાતે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત વક્તવ્ય રજુ કરતા રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે સ્ટીમ એન્જીનનો યુગ હતો. એ સમયગાળામાં દાહોદ રેલવેનું મોટું અને મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર હતું. પણ જેમ જેમ સ્ટીમ એન્જીન પાછાં ખેંચાયા, તેમ તેમ દાહોદના વિકાસમાં ધીમી ગતિ આવી, અને તેનાથી અહીંની આર્થિક ગતિશીલતામાં પણ ઘટાડો થયો હતો. તે બાબતને ધ્યાને રાખી વડાપ્રધાનશ્રીએ અહીં નવ હજાર હોર્સ પાવરનું આધુનિક ઇલેક્ટ્રીક એન્જીન નિર્માણ કરાવવાનું નિયત કર્યું હતું.
આ કામનો પ્રારંભ ૨૦૨૨માં થયો અને હવે અહીં આધુનિક રેલ્વેનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. એમને ડી-૯ નામ આપવામાં આવ્યું છે. એનો મતલબ કે દાહોદ ૯૦૦૦ દાહોદ નામ સાથે જોડાયેલા રેલ્વે એન્જીન વિદેશમાં પણ દોડશે. આ એન્જીન સંપૂર્ણપણે ડિઝીટલ, અવાજમુક્ત, પાઇલોટ માટે એસી કેબિન અને ટોઇલેટની સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે. આમાંથી વીજળી પણ ઉત્પન કરી શકાશે. આ હવે માત્ર દાહોદ નથી, આ છે ટેક્નોલોજી અને આત્મનિર્ભર ભારતનું પ્રતિક તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સર્વશ્રી કુબેરભાઈ ડીંડોર, કુંવરજી બાવળીયા, મુકેશ પટેલ, તથા વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ આહીર, સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ગરબાડાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડાના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, ફતેપુરાના ધારાસભ્યશ્રી રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર તેમજ દાહોદ નગરપાલિકા પમુખશ્રી નીરજ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા.
*****