
#DahodLive#
મનરેગા કૌભાંડ: દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ,
પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા..
પકડાયેલા મંત્રી પુત્રો સહિત કૌભાંડીઓએ સરકારનો કરોડોનું કરી નાખ્યું.
પુરાવા સાથે ચેડાની આશંકાએ મંત્રીપુત્રોની ઓફિસ ઉપર પોલીસ તૈનાત કરાઈ, મનરેગા શાખામાં CCTV ગોઠવાયા
અગાઉ લવારીયામાં મનરેગાના કામોમાં ગેરરીતિ બદલ ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ જીઆરએસને DDO એ છૂટા કર્યા હતા.*
દાહોદ તા.19
દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર મનરેગા કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી મળી છે.જેમાં દાહોદ પોલીસની જુદી જુદી ટીમોએ રાજ્યના અલગ અલગ શહેરોમાં ત્રાટકી મનરેગા કૌભાંડમાં પોલીસ કાર્યવાહીથી બચવા સેકડો હજારો કિલોમીટર દૂર ભાગે તે પહેલા રાજ્યકક્ષાના મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડ, તેમજ તેમના ભાણેજ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.પોલીસની ટીમોએ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા તમામને ધોરીમાર્ગ પરથી ધરપકડ કરી છે. જેના પગલે રાજકીય ક્ષેત્રે તેમજ અધિકારી વર્તુળોમાં સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આજે કરેલી કાર્યવાહીમાં મંત્રી પુત્ર સહિત બે એજન્સીના પ્રોપોરાઇટર તેમજ ડેપ્યુટી ડીડીઓ ક્લાસ વન ઑફિસર તેમજ ત્રણ જેટલા કરાર આધારિત કર્મચારીઓ, સહિત પાંચ લોકોને ઝડપી લીધા છે. સમગ્ર રાજ્યભર ને હચમચાવી મૂકનાર આ મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં એજન્સીના પ્રોપરાઇટરો સરકારી કર્મચારી,અધિકારીઓ સહિત 12 લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
દાહોદ પોલીસે પણ સરકારી બેડા સહિત રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જનાર મનરેગા કૌભાંડ જેમાં દેવગઢ બારીયાના કુવા રેઢાણા, તેમજ ધાનપુરના સીમામોઇ ગામમાં અધૂરા કામોને કાગળ ઉપર પૂર્ણ બતાવી દીધા હતા.એટલું જ નહીં સરકારી કર્મચારી,અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ તથા એજન્સીઓના મેળાપીપણાથી L1 સિવાયની ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ ન લેનાર બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને લાભ પહોંચાડવાના બદ ઇરાદા સાથે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે 71 કરોડનો મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યો હતો. જેમાં સ્થળ ચકાસણીના વચગાળાના અહેવાલના આધારે 25 એપ્રિલે 35 જેટલી માલ સપ્લાય કરનાર એજન્સીઓ, કૌભાંડમાં સામે સરકારી કર્મચારી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે પ્રથમ મનરેગા શાખાના ચાર જેટલા કરાર આધારિત કર્મચારીઓ, ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ, ને ઝડપી લીધા હતા. અને બે દિવસ પૂર્વે જ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી તેમજ પંચાયતી રાજના મંત્રી બચુભાઈ ખાબડ ના મોટા પુત્ર બળવંત ખાબડને ઝડપી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉપરોક્ત કૌભાંડમાં પોલીસ અને પંચાયતની બે અલગ અલગ બિંદુઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ બાદ 71 કરોડના મનરેગા કૌભાંડમાં ટેકનિકલ, ડિજિટલ તેમજ દસ્તાવેજી સજ્જડ પુરાવા મળી આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ધરપકડનો શરૂ કર્યો હતો અને આજે મંત્રી બચુભાઈ ખાબડ ના બીજા પુત્ર કિરણ ખાબડ, તેમજ મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ અને મનરેગા શાખા ધાનપુરમાં એપીઓ તરીકે પદસ્થ દિલીપ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ભાવેશ રાઠોડ, ધાનપુરના તત્કાલીન ટીડીઓ તેમજ હાલમાં જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે પદસ્થ રસિક રાઠવા તેમજ એન.જે.કન્ટ્રક્શનના પ્રોપરાઇટર પાર્થ બારીયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
*પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ ધોરીમાર્ગથી દબોચ્યા.*
મનરેગા કૌભાંડમાં ફરિયાદ દાખલ થયા બાદ કૌભાંડમાં સામેલ મંત્રી પુત્ર કિરણ ખાબડ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોલીસ કાર્યવાહીથી બચવા માટે જિલ્લા બહાર નીકળી ગયા હતા. દાહોદ થી સેકડો કિલોમીટર દૂર ભૂગર્ભમાં ઊતરે તે પહેલા SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ નિયુક્ત કરેલી છ અલગ અલગ ટીમોએ એક સાથે ધરપકડ કરવા માટે નીકળ્યા હતા. જે બાદ મંત્રી પુત્ર કિરણ ખાબડને હાલોલ વડોદરા ધોરીમાર્ગ પરથી, તત્કાલીન ટી.ડી.ઓ. અને હાલ ડેપ્યુટી ડી.ડી.ઓ રસિક રાઠવાને છોટાઉદેપુરના બોડેલીથી એ.પી.ઓ ભાવેશ રાઠોડને સુરતના માંગરોળથી, મંત્રીના ભાણેજ તેમજ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર દિલીપ ચૌહાણને પોલીસે રાજકોટ પીછો કર્યો હતો અને તારાપુર ખાતે ધોરીમાર્ગ પરથી ઝડપી લીધો હતો.
*પકડાયેલા મંત્રી પુત્રો સહિત કૌભાંડીઓએ સરકારનો કરોડોનું કરી નાખ્યું.*
મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડની ગેરરીતિ સામે આવી છે.જેમાં પકડાયેલા બંને મંત્રીપુત્રોએ 29.45 કરોડના કામો કર્યા હતા.જેમાં બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે 9 કરોડના કામો કર્યા હતા. જે પૈકી 82 લાખના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખબરની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021 થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યું છે. તે જ પ્રમાણે પોલીસે પકડેલા એન.જે કન્ટ્રક્શનના પ્રોપરાઇટર પાર્થ બારીયાએ સરકારનો 5.2 કરોડનું કરી નાખ્યું છે.
*મંત્રી બચુભાઈના ભાણેજ હોવ APO દિલીપ ચૌહાણે મનરેગા કૌભાંડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.*
ધાનપુરમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે પદસ્થ દિલીપ ચૌહાણ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ હોવાથી કૌભાંડ મામલે ખુલ્લો દોર મળ્યો હતો. મામાને મળેલી સત્તાના જોરે બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપરો તેમજ કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સને મળેલા કામોને અગ્રીમતા આપી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે મળેલી તેમની સત્તાઓના દુરુપયોગ કરી મનરેગા કૌભાંડમાં બિલો બનાવડાવી,સિક્કા મારવા, મંજુર કરાવવા સહિતના કામોમાં અંગત રસ દાખવ્યો હતો. તે સિવાય ધાનપુર તેમજ બારિયામાં કામ કરનાર એજન્સીઓને પણ પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી એજન્સીઓને લાભ પહોંચાડ્યો હતો.
*અધિકારી તરીકેની કારકિર્દીના છેલ્લા સમયમાં મનરેગા કૌભાંડમાં ક્લાસ વન અધિકારી પર સંડોવાયા.*
મનરેગા કૌભાંડમાં પકડાયેલા રસિક બારીયા અત્યારે જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડી.ડી.ઓ તરીકે તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અગાઉ તેઓ ધાનપુરમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે કામ કરી ચૂક્યા હતા અને થોડા જ સમય પહેલા જ TDO માંથી પ્રમોશન મેળવી જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજાધિન હતા. સાથે તેઓ વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ગણાતા મહેસુલ વિભાગ તેમજ પંચાયત વિભાગની જવાબદારી સંભાળી રહ્યા અને આગામી જૂન માસમાં નિવૃત થવાના હતા.પરંતુ સરકારી નોકરીમાં કેરિયરના છેલ્લા સમયમાં મનરેગા કૌભાંડમાં આરોપી તરીકે પ્રસ્થાપિત થયા છે.
*પુરાવા સાથે ચેડાની આશંકાએ મંત્રીપુત્રોની ઓફિસ ઉપર પોલીસ તૈનાત કરાઈ, મનરેગા શાખામાં CCTV ગોઠવાયા..*
મનરેગામાં ગેરરીતિ સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ થતા કૌભાંડીઓમાં દોડધામ મચી હતી. તપાસને કોઈ અસર ન થાય તે માટે DDO ના આદેશોથી ધાનપુર તેમજ બારિયાની મનરેગા શાખામાં તાળા મારી દેવામાં આવ્યા હતા. તેમજ કચેરીમાં મૂકેલા દસ્તાવેજો સાથે ચેડા ન થાય તે માટે CCTV કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બંને મંત્રી પુત્રોની શ્રી રાજ ટ્રેડર્સ તેમજ શ્રી રાજ કન્સ્ટ્રકશન કૂ. ની ઓફિસે તાળા હોઈ પુરાવાનું નાશ ન થાય તે માટે પોલીસે 24 કલાક ઓફિસથી બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હવે બંનેની ધરપકડ થયા બાદ આરોપીઓને સાથે રાખી ઓફિસ ખોલવામાં આવશે અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી પ્રોસેસ ફોલો કરી કબજે લેવામાં આવશે.
*લવારીયામાં મનરેગાના કામોમાં ગેરરીતિ બદલ ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ જીઆરએસને DDO એ છૂટા કર્યા હતા.*
મનરેગા કૌભાંડમાં તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામમાં પર્વતભાઈ માનસિંગભાઈ દ્વારા રજૂઆત કરી મનરેગાના 79 કામોમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યો હોવાની રજૂઆત મળી હતી. જે સંદર્ભ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરતા મનરેગાના 79 પૈકી 21 કામોમાં 18.41 લાખના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા જિલ્લા વિકાસ અધિકારીએ જે તે સમયે દેવગઢ બારીયાના ટેકનીકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિ ધનસુખલાલ ને ફરજ મુક્ત કર્યા હતા. જોકે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી નાણાંની ઉચાપત મામલે ફરિયાદ દાખલ કરવા માટે દેવગઢ બારીયા ના તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કર્યા હતા. પરંતુ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી.
*દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં SIT મારફતે તપાસ કરાવી જોઈએ, કૌભાંડીઓના ત્યાં GST,ED,IT ની રેડ થવી જોઈએ : અમિત ચાવડા કોંગ્રેસના નેતા.*
મનરેગા કૌભાંડ મામલે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરી, એકલું દેવગઢબારિયા તેમજ ધાનપુર જ નહીં પરંતુ સમગ્ર દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં SIT દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે સાથે મંત્રી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા, અધિકારીઓ કર્મચારીઓના ત્યાં જીએસટી ઇન્કમટેક્સ તેમજ ED દ્વારા તપાસ હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના ડેલિગેશને દેવગઢ બારીયા તેમજ ધાનપુરના ગામોમાં સ્થળ વિઝીટ કરી હતી. અને ગ્રામજનોના એફિડેવીટ સાથે કૌભાંડ અંગે દસ્તાવેજો વિધાનસભામાં રજૂ કર્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.