
રાજેશ વસાવે :- દાહોદ
મનરેગામાં 71 કરોડના અધુરા કામો પૂર્ણ બતાવી આચરેલા કરોડોના ખેલમાં…
ધાનપુર- દે.બારીયા મનરેગા કૌભાંડમાં પકડાયેલા મનરેગાના કરાર આધારિત 4 કર્મચારીઓ જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયા…
બિનપાત્રતા ધરાવતી એજન્સી તેમજ મનરેગાના કર્મચારીઓ વચ્ચે સાંઠગાંઠ અંગે તપાસોનો ધમધમાટ શરૂ..
દાહોદ તા.25
દાહોદ જિલ્લાના બે તાલુકાના ત્રણ ગામોમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી (મનરેગા ) llઅંતર્ગત થયેલા 71 કરોડના કામોમાં ગેરેરીતિ આચરી કરેલા કથિત કૌભાંડમાં પકડાયેલા દે. બારીયા તેમજ ધાનપુરના મનરેગા શાખામાં ફરજ બજાવતા બે એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ બે GRS ગ્રામ રોજગાર સેવકના આજરોજ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જ્યુડિશિયલ કચેરીમાં મોકલવાનો હુકમ કરતા ત્રણેયને પોલીસ જાપ્તામાં ડોકી સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.દાહોદ જીલ્લા સહિત રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર મનરેગા કૌભાંડમાં સ્થળ પર અધુરા કામો કરી કાગળ ઉપર પૂર્ણ બતાવી બિલ પાસ કરી લીધા તેમજ બિન પાત્રતા ધરાવતી એજન્સીને રકમ ચૂકવાઈ જતા આવી ગંભીર બેદરકારી સામે ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ બેસાડી સરકારને ચૂનો ચોપડવાના આ ખેલનો પર્દાફાશ કર્યો છે.સાથે સાથે દેવગઢ બારીયા ની 28 તેમજ ધાનપુરની સાત મળી 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવી દીધી છે. જોકે આ એજન્સીઓ જે બિન પાત્રતા ધરાવતી હતી તેમના પ્રોપોરાઈટર કોણ છે. તે અંગેના ખુલાસા ગુનો દાખલ થયાના ચાર દિવસ બાદ પણ પોલીસ કે જિલ્લા પંચાયત પાસે આશ્રર્યજનક રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયુ છે. ત્યારે બિનપાત્રતા ધરાવતી આ એજન્સીઓ મંત્રી પુત્ર કે ભાજપના નજીકના વ્યક્તિઓની હોવાનું ચોરે અને ચૌટે ચર્ચાઇ રહ્યું છે ત્યારે પ્રોપોરાઈટરોના નામ જાહેર ન થવા પાછળ કોઈ પરિબળો તો કામ નથી કરી રહ્યા ને.? તેવી અનેક શંકા કુશંકા વચ્ચે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. અને ડી.આર.ડી.એ તેમજ પોલીસ દ્વારા એજન્સીના માલિકોના નામ તાલુકા પંચાયત પાસેથી મંગાવ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે ત્યારે હવે ક્યારે એજન્સીના મૂળ માલિકો ના નામ અને તેમના રોલ વિશે સચ્ચાઈ બહાર આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે.