
પહેલગામ હુમલાનો ઝાલોદમાં વિરોધ: હિન્દૂ-મુસ્લિમ સમાજે એકજૂટ થઈ બંધ પાળ્યો, બાઈક રેલી અને શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
દાહોદ તા. ૨૫
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 નિર્દોષ લોકોના મૃત્યુના વિરોધમાં ઝાલોદ નગરમાં જડબેસલાક બંધ પળાયો છે. હિન્દુ સંગઠનોએ આપેલા બંધના એલાનને મુસ્લિમ સમાજે પણ સમર્થન આપ્યું હતું.સવારે હિન્દૂ સંગઠનો દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ભરત ટાવર ખાતે ધરણા યોજાયા. આ દરમિયાન આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આતંકવાદની નિંદા કરી હતી.
સાંજે 27 મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો. ડોક્ટરો અને કેમિસ્ટ એસોસિએશને પણ રેલી કાઢી આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા હતા. આ ઘટનાએ ઝાલોદના નાગરિકોમાં એકતાનું પ્રદર્શન કર્યું છે. હિન્દુ અને મુસ્લિમ સમાજે એકજૂટ થઈ આતંકવાદની નિંદા કરી. નગરજનોએ આતંકવાદ સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.