
રાજેશ વસાવે :- દાહોદ
NTPCના સોલાર પ્રોડક્શન યુનિટના ગોડાઉનમાં ભીષણ આગ: અકસ્માત કે ષડયંત્ર.??
ભાઠીવાડામાં એનટીપીસી રિન્યુઅલ એનર્જીના યુનિટમાં લાગેલી ભીષણ આગ 16 કલાકે કાબુમાં આવી:334 કરોડના નુકસાનનો અંદાજ.!!
ફાયર ફાઇટરોએ પાણી ભરવા 50 થી વધુ ફેરા માર્યા: ભારે પવને આગ વધુ વિકરાળ બની
દાહોદ સાથે ગોધરા, છોટાઉદેપુર અને ઝાલોદથી ફાયર ફાઇટરોની મદદ લેવાઈ, મારામારીના કેસમાં 10 સામે નામજોગ ગુનો દાખલ.
દાહોદ તા.22
દાહોદ તાલુકાના ભાઠીવાડા ઝેર ફળિયામાં નિર્માણાધીન નેશનલ એલ એન્ડ ટી તેમજ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના સોલાર પ્લાન્ટના ખુલ્લા ગોડાઉનમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગી હતી.જે આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જેમાં 16 કલાકે આગ પર આંશિક કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ બપોર સુધી ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાતા સાંજ સુધી ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાની પ્રક્રિયામાં જોડાયા હતા. સોમવારની રાત્રે 9.30 વાગ્યાના અરસામાં ગોડાઉનમાં આગની ઘટના બનતા તાત્કાલિક દાહોદ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દે .બારીયા અને છોટાઉદેપુર તેમજ ગોધરા, મહીસાગર માંથી ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવા માટે 50 થી વધુ ફેરા માર્યા હતા અને સતત પાણીનો છંટકાવ કર્યો હતો.અહીં ખુલ્લી જમીનમાં સોલાર પેનલ સહિત વિવિધ પ્રકારનો 300 કરોડ રૂપિયા અંદાજિત કિંમતનો સામાન મુકી રાખવામાં આવ્યો હતો.આગ લાગ્યા બાદ તુરંત જ ત્યાં હાજર ક્રેઇનોની મદદથી ગોડાઉનમાં પડેલી સોલાર પેનલો અને અન્ય કિંમતી સામાનને આગથી દૂર ખસેડી લેવામાં આવ્યો હતો.જેના કારણે 60 કરોડ રૂપિયાનું નુકસાન અટકાવી શક્યુ હતું. આ આગની ઘટનામાં સોલાર પેનલોનો જથ્થો, ટ્રાન્સફોર્મર, કેબલ, ઇન્વર્ટર ટ્રાન્સફોર્મર,જીઆઇ પાઇપ સહિતનો અન્ય સામાન બળીને ખાખ થતાં 350 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ માંડવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, આ મામલે તાલુકા પોલીસે જાણવા જોગ નોંધ કરીને ચોક્કસ કારણ શોધવાની દિશામાં તપાસ શરૂ કરી છે. ઘટના પગલે કલેક્ટર, એસ.પી, એસડીએમ, મામલતદાર સહિતના તમામ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇને તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
આગની ભીષણતા: પાંચ કિલોમીટર સુધી આગની લપટો દેખાઈ.
ભાઠીવાડાના ઝેર ફળિયામાં એનટીપીસીના ગોડાઉનમાં મુકેલા સામાનમાં આગ લાગ્યા બાદ ભારે પવનને કારણે આગ વધુ વિકરાળ બની ફેલાઇ હતી. જેથી ત્યાં પડેલો તમામ જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો.જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે રાતના સમયે તેની લપટો 5 કિમી દૂરથી જોવાઇ રહી હતી.
128 એકરમાં સોલાર પ્લાન્ટથી દૈનિક 70 મગાવોટ વીજળીની અપેક્ષા હતી
એલ એન્ડ ટી દ્વારા મેળવેલ સોલાર પ્રોજેક્ટમાં એનટીપીસી કંપની દ્વારા 128 એકરમાં સોલારથી વીજ ઉત્પાદનનો પ્લાન્ટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.જેમાં 70 મેગાવોટ વીજળી પ્રતિદિન ઉત્પન થવાની અપેક્ષા હતી. જોકે, આગને કારણે આગની આ ઘટનાએ પ્રોજેક્ટના ભવિષ્ય અને સમયમર્યાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અજુગતી ઘટનાથી પ્રોજેક્ટના સમયપત્રક અને ખર્ચમાં વધારો થશે તેમ જોવાઇ રહ્યુ છે.
*NTPC કંપની અને ગ્રામજનો વચ્ચે જમીન મામલે વાદવિવાદ કાનૂની જંગ કારણભૂત હોવાની પ્રબળ આશંકા..!!
એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ નાખવા માટે કામગીરી શરૂ થતા જ સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદની શરૂઆત થઈ હતી. આ મામલે રેવેન્યુ રાહે મામલતદાર પ્રાંત અને કલેક્ટર કચેરીમાં આરટીએસ દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં કંપનીના હિતમાં કલેકટરે હુકમ કરતા એનટીપીસી કંપની દ્વારા બાઉન્ડ્રી વોલ પર સારની ફેન્સીંગ કરી જમીન કવર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે મામલે બબાલ થતા ચાર એપ્લી થી 18 એપ્રિલ સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ કામ બંધ થયો હતો. અને ગઈકાલે કામ શરૂ થયા બાદ બપોરે 12:00 વાગે મારામારીની ઘટના બની હતી અને સાંજે આગનો બનાવ સામે આવતા કોઈ ષડયંત્રના ભાગરૂપે સોલાર પ્રોટેક્શન યુનિટ ને આગને હવાલો કરી દેવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવેલું છે.