
પુનાકોટામાં 6 અને ડાંગરીયામાં 1 કાચા મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી સહિત બળીને ખાખ
ઉચવણમાં ખેતરમાં પશુઓ માટે મુકેલા ઘાસમાં આગથી દોડધામ
આગથી મકાનમોમાં ભારે નુકસાન, સદનસીબે કોઇ જાનહાની નહી થતાં હાશકારો
દાહોદ તા.19
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બામણીયા ફળિયા પુનાકોટા ગામે વહેલી સવારે અચાનક આગ લાગતા લાકડા વાળા છ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા દેવગઢ બારિયાથી ફાયર ફાયટર આવતા અન્ય મકાનોને નુકસાન થતા બચાવ્યા હતા.
જ્યારે પુનાકોટા ગામના બામણીયા સકરાભાઈ નરસુભાઈ, બામણીયા મલજીભાઈ કાળીયાભાઈ, બામણીયા કમલેશભાઈ મલજીભાઈ, ધર્મેશભાઈ મલજીભાઈ, લાલાભાઇ મલજીભાઈ અને ફકરુભાઈ નરસુભાઇ આમ છ મકાનો આગમાં સંપૂર્ણપણે ઘરવખરી સાથે બળી ગયા હતા. જ્યારે દેવગઢ બારીયાના ફાયર આવીને અન્ય મકાનોમાં લાગતી આગને કાબુમાં મેળવતા અન્ય મકાનોને નુકસાન થવા પામ્યું ન હતું. હાલ આ છ કુટુંબ જનોને નીચે ધરતી અને ઉપર આકાશ જેવી પરિસ્થિતિ હાલમાં થઈ છે. ત્યારે આ પરિવારજનોને ભોજનની પણ વ્યવસ્થા ગામના સંચાલકોને ભોજનની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર વગેરેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી નુકસાન અંગેનો પચકયાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી ઘટના દેવગઢ બારિઆ તાલુકાના ડાંગરિયા ગામે સિમોડા ફળિયામાં રહેતા વિનોદ અભેસિંહ કોળીના મકાનમાં સવારના સમયે આકસ્મિક એકાએક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. આગે એકા એક વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હોય તેમ આગના ગોટે ગોટા આખા ઘરમાં ફરી વળતા ઘરમાં મુકેલા સર સામાન તેમજ ઘરવખરી સામાનમાં પણ આગ લાગી ગઈ હતી. દેવગઢ બારિઆ નગરપાલિકા ના ફાયર વિભાગમાં જાણ કરતા નગરપાલિકામાં એક મીની ફાયર ફાઈટર હોઈ અને તે પણ ધાનપુર ગયું હોવાથી ફાયર ફાઈટર ન આવવાના કારણે ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં મહિલાઓ સહિત ગ્રામજનોએ એક સંપ થઈ આસપાસથી પાણી લાવી પાણીનો છંટકાવ કરતા ભારે જેહમદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ સવારના સમયે લાગતા ઘરમાં કોઈ હાજર ન હોવાના કારણે સદનસીબે જાનહાનિ થઇ ન હતી. જ્યારે આગની અંદર ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ જતા મકાન માલિકને મોટું નુકસાન થયું હતું. હોય તેમ જોવાઈ રહ્યું હતું. જ્યારે ઉચવણ ગામે પણ એક ખેતરમાં પશુઓ માટે મુકેલા ઘાસમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગમાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું.