રાજેશ વસાવે :- દાહોદ
સાયબર પોલીસને મળી સફળતા:શેર માર્કેટના ટ્રેડિંગમાં રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપી 68 લાખ ઉપરાંત પડાવનાર પાંચ ઈસમો સુરતથી ઝડપાયા
દાહોદ તા.૦૯
દાહોદમાં શેર માર્કેટમાં ટ્રેડીંગમાં રોકાણ પર ઉંચા વળતર આપવાની લાલાચ આપી રૂપીયા ૬૮,૮૨,૦૦૦નું ફ્રોડ કરનારા પાંચ ઈસમોને દાહોદની સાયબર ક્રાઈમ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
થોડા દિવસો પહેલા દાહોદમાં એક વ્યક્તિને શેર માર્કેટમાં ટ્રેડીંગમાં રોકાણ પર ઉંચા વળતર આપવાની લાલચ આપી ઠગોએ રૂા.૬૮,૮૨,૦૦૦નું ફ્રોડ કર્યું હતું. આ મામલે દાહોદની સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાંઈ હતી. ફ્રોડના ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે સઘન તપાસોના આદેશો સાથે આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે દાહોદની સાયબર પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં દાહોદની સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો જેમાં ઘટના પ્રમાણે ફરીયાદીને આરોપીઓ દ્વારા વોટ્સએપ ઉપર એક લીંગ મોકલી હતી અને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રોકાણ માટે ઉંચા વળતરની લાલચ આપી હતી. અલગ અલગ સમયે ખાતાઓમાં રૂપીયા ૬૮,૮૨,૦૦૦ના રોકાણ સામે એપ્લીકેશનમાં કુલ રૂપીયા ૧,૮૩,૫૮,૫૮૩ બતાવતાં ફરીયાદી દ્વારા આ રૂપીયા ઉપાડવા જતાં વધુ ૪૦,૦૦,૦૦૦નું રોકાણ કરવા જણાવાયું હતું ત્યારે ફરીયાદીને પોતે છેતરાયો અને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું મામલુ પડ્યું હતું અને ફરીયાદી દ્વારા આ મામલે દાહોદની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાંવી હતી. આ સમગ્ર ઉપરોક્ત બાબતીન પોલીસે ઝીણવટપુર્વક તપાસ કરી પોલીસે ટેકનિકલ એનાલીસીસી કરી આરોપીઓ સુરત ખાતે હોવાનું માલુમ પડતાં પોલીસે સુરત ખાતે ગતરોજ ધામા નાંખ્યા હતાં અને આ ફ્રોડ કરનાર રમેશભાઈ ચનાભાઈ કતારીયા, નરેશભાઈ હિમ્મતભાઈ સુરાણી, ચીરાગભાઈ જયસુખભાઈ લક્કડ, કિશનભાઈ કમલેશભાઈ કાછડીયા અને અર્પીતભાઈ લાભુભાઈ નાવડીયા (તમામ રહે. સુરત) નાઓને ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવ્યાં હતાં. આ સંબંધે દાહોદ સાયબર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.