બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પોલીસે બલૈયા ક્રોસિંગ ખાતેથી અકસ્માત ગ્રસ્ત બોલેરો પીકપ ડાલા માંથી પાંચ ગૌવંશ ઝડપી તપાસ હાથ ધરી*
*વાછરડા ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા બોલેરો ચાલક ભાગી છૂટ્યો*
*દાહોદ જિલ્લામાં પશુ વહન કરતાં વાહનોના માલિકો સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે*
સુખસર,તા.25
ફતેપુરા તાલુકામાંથી પસાર થતાં અને કતલખાને જતા તથા પાલતુ પ્રાણીઓની હેરાફેરી કરવા સરકારના પરિપત્રનુ સરેઆમ ઉલ્લંઘન કરી પશુઓ વહન કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક વાહનો ઝડપી પાડવામાં આવે છે.તેવીજ રીતે આજરોજ બલૈયા ક્રોસિંગ પાસેથી પસાર થતાં ગૌવંશ ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા પીકપ ડાલાનો ચાલક પોતાના કબજાની ગાડીને સ્થળ પર છોડી ભાગી છૂટ્યો હતો.ત્યારે પીકપ બોલેરો સાથે પાંચ ગૌવંશને સુખસર પોલીસે કબજે લઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ સવારના 10 વાગ્યાના અરસામાં સંતરામપુર થી ઝાલોદ તરફ જતા બોલેરો પીક-અપ ડાલા નંબર જીજે-23.એટી.3880 ને બલૈયા ક્રોસિંગ પાસે શિફ્ટ કાર નંબર જીજે-6 એચએલ.3228 સાથે અકસ્માત સર્જાતા બોલેરો તથા શિફ્ટ કારને નુકસાન પહોંચવા પામ્યું હતું.જેમાં બોલેરો પીઅ કપ ડાલાનો જોઈન્ટ તૂટી જતા બોલેરો પીઅ કપ ડાલા ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ ઉપર છોડી ભાગી છૂટ્યો હતો.જ્યારે આ પીક અપ ડાલામાં તપાસ કરતા પાંચ નાના વાછરડા મળી આવ્યા હતા.જેથી તાત્કાલિક સુખસર પોલીસને જાણ કરવામાં આવી હતી.અને પોલીસે સ્થળ ઉપર આવી બોલેરો ડાલા સહિત પાંચ ગૌવંશને કબજે લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.આ ગૌવંશ કતલખાને લઈ જવામાં આવતા હતા કે પાળવા માટે?તેના માટે સુખસર પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે આ જે ગૌવંશ ઝડપાયાછે તે પશુ દાહોદ સાઈડના શ્રમિક લોકો પાળવા માટે લઈ જઈ રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.પરંતુ ખરેખર આ પશુ પાળવા માટે લઈ જઈ રહ્યા હતા કે શ્રમિકો ની આડમાં કતલખાને?તે પોલીસ તપાસનો ખાસ વિષય છે.જોકે આ પશુઓ પાળવા માટે લઈ જવામાં આવી રહ્યા હોય તો પણ વાહનમાં પશુ વહન કરવા માટેના સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જે નીતિ નિયમો છે તેનું સરેઆમ ઉલ્લંઘન નજરે પડ્યું હતું.
*-બોક્સ-*
*પશુઓની હેરાફેરી કરવા માટે નિયત કરાયેલ સરકારી નિયમોનુ ધરાર ઉલ્લંધન?*
પશુઓની હેરાફેરી માટે કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો ટ્રકમાં ચારથી છ અને ટેમ્પોમાં બે થી ચાર પશુઓ ભરી શકાય.વાહનમાં પશુ દીઠ બે ચોરસ મીટર જગ્યા ફરજિયાત ફાળવવી જરૂરી છે.તેમજ એનિમલ વેલ્ફર બોર્ડના સર્ટિફિકેટ વગર પશુઓની હેરાફેરી થઈ શકે નહીં.જોકે પ્રાણી ક્રુરતાની નિવારણ માટેના નિયમો જળવાતા નથી.તથા મુસાફરી દરમિયાન પશુ માટે પૂરતું પાણી અને ઘાસચારો રાખવો પણ ફરજિયાત છે. તેમજ સૂર્યાસ્ત પછી પ્રાણીઓને ચલાવવા ઉપર પ્રતિબંધ છે.પ્રાણીઓને ડામર કે કાંકરાવાળા રોડ ઉપર પાંચ કિ.મી થી વધુ દૂર ચલાવી ન શકાય. તથા પશુઓની હેરાફેરી દરમિયાન વેટરનરી ડોક્ટરનુ સર્ટિફિકેટ આવશ્યક છે.જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ કે,પશુ જે-તે મુસાફરી કરવા માટે સંપૂર્ણ તંદુરસ્ત છે.તેમજ પશુનું વહન કરતા દરેક વાહનની બહાર સ્પષ્ટ વાંચી શકાય તેવા મોટા લાલ અક્ષરોમાં પશુઓ મોકલનાર અને સ્વીકારનારના નામ,સરનામા,ટેલીફોન નંબર તથા પશુઓની સંખ્યા દર્શાવવી ફરજીયાત છે.તેમજ ખોરાકની ચીજ વસ્તુઓ અને જથ્થો દર્શાવો પણ જરૂરી છે.